________________
નાગકેતુ ઢાલ-૨૩ નાગકેત જિમ પૂજા કરી, કેવલકમલા સ્ત્રી તેણઈ વરી /
ભવ સમુદ્રથી જીવ ઊદ્ધરી, તે નર વસીઓ જિહાં સિદ્ધપુરી // ૪૫ // સાચી શ્રદ્ધાથી તપ-જપ કરવાથી કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. તે વાત ‘વૈરાગ્ય શતક'માં આપેલ નાગકેતુના દષ્ટાંત કથાનકમાં વર્ણવી છે. ઉપરોક્ત કડીમાં કવિએ પણ તે જ ભાવને દર્શાવ્યો છે જે નીચેની કથા દ્વારા સમજાય છે.
પૂર્વભવમાં નાગકેતુ કોઈ વણિકના પુત્ર હતો. નાનપણમાં જ એમની માતા મરી ગઈ હતી. સાવકી માતા તેને ખૂબ જ દુ:ખ આપતી હતી. એકવાર તે ઘર છોડી ભાગી ગયો. ત્યારે તેના મિત્રે તેને સાંત્વન આપતા અઠ્ઠમ તપ કરવાનું કહ્યું. આવતા વર્ષે પર્યુષણ પર્વમાં અઠ્ઠમ તપ જરૂર કરીશ એવી ભાવના ભાવી ઘરે પાછો ફર્યો અને ઘરની બહાર ઘાસની ગંજી હતી તે પર સૂઈ ગયો. રાતે અપર માતાએ તેને ગંજી સાથે સળગાવી દીધો. મરતાં મરતાં પણ અઠ્ઠમ કરવો છે એવી ભાવના છેલ્લી ક્ષણે પણ રહી. ત્યાંથી મરીને શ્રીકાંત શેઠને ઘરે જમ્યો. તેનું નામ નાગકેતુ પાડ્યું. પર્યુષણ આવતાં હોવાથી ઘરમાં અઠ્ઠમ તપ કરવાની વાતો થઈ. આ સાંભળતાં નાગકેતુને જાતિસ્મરણ જ્ઞાન થયું અને એ જ્ઞાન બળે તેણે પણ અઠ્ઠમ તપ કર્યો. અશક્તિના કારણે તરત જન્મેલા બાળકને મૂર્છા આવી ગઈ. આથી લોકોએ મરી ગયેલો માની એને જંગલમાં દાટી દીધો. પોતાનો પુત્ર મરી ગયો એ આઘાતથી માતા-પિતા પણ મરણ પામ્યાં. જ્યારે અપુત્રનું ધન રાજા લેવા આવે છે ત્યારે ધરણેન્દ્રના રૂપમાં બ્રાહ્મણ તેમને અટકાવે છે અને કહે છે કે, “આનો પુત્ર તો જીવે છે?' બ્રાહ્મણ તે બાળકને ભૂમિમાંથી બહાર કાઢીને કહે છે કે, “આ બાળક રાજ્ય પર એક મોટો ઉપકાર કરશે.” એમ કહી ધરણેન્દ્ર જતા રહે છે. આમ નાગકેતુ મોટો થઈને એકવાર રાજ્યને વ્યંતરદેવના ઉપદ્રવથી બચાવે છે. (તપના બળે બચાવે છે.) ત્યાર બાદ એક દિવસ નાગકેતુ ભગવાનની પૂજા કરી રહ્યા હતા અને પુષ્પથી ભરેલી પૂજાની થાળી પોતાના હાથમાં હતી. તેમાંના એક ફૂલમાં રહેલો સર્પ તેમને કરડ્યો. સર્પ કરડવા છતાં પણ નાગકેતુ જરાપણ વ્યગ્ર ન થયા, પણ સર્પ કરડ્યો છે એ જાણીને ધ્યાનારૂઢ બન્યા. ધ્યાનારૂઢ પણ એવા બન્યાં કે ત્યાંને ત્યાં કેવળજ્ઞાન પામ્યા. કાળે કરી આયુષ્ય પૂર્ણ થતાં મોક્ષે ગયા.
.: સંદર્ભસૂચિ : જૈનશાસનના ચમકતા હીરા – પ્રકાશક – વરજીવનદાસ વાડીલાલ શાહ....
..... પૃ. ૨૮૭ વૈરાગ્યશતક-ભાગ-૧ - પં. મુનિ શ્રી વિનયચંદ્રજી મહારાજ.
.......................... પૃ. ૩૯
સંગમ ઢાલ-૨૪ દાંની વખાણું સંગમો એ, ખીર ખાંડ વ્રત જય / એ.
સાલિભદ્ર પણિ ઊપનો એ, નર ભવિ સૂર સૂખ હોય // ૬ ૭ // દાનધર્મના પ્રભાવથી વિપુલ સમૃદ્ધિ તેમ જ દેવો જેવા સુખો મળે છે. આ વાત “શ્રી ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર' વગેરે ગ્રંથોમાં સંગમના દષ્ટાંત કથાનકમાં વર્ણવી છે. ઉપરોક્ત કડીમાં કવિએ આ ભાવને આલેખ્યો છે જે નીચેની કથા દ્વારા જણાય છે.