________________
એ વેશ્યા જેનું નામ મહસેના હતું એણે હસ્તિપાલકને કહ્યું- હે પ્રિય ! આ રાજહસ્તિનું જે ચંપકમાળા આભૂષણ છે તે મારે આજના મહોત્સવમાં પહેરવું છે માટે મને એ પહેરવા આપો. એ પહેરીને હું મારા સખીવર્ગમાં મારી શોભા દેખાડીશ. તમારા પ્રસાદરૂપી કલ્પવૃક્ષથી મારા મનોરથ સિદ્ધ કરો. પણ એ હસ્તિપાલકે તો ઉત્તર આપ્યો કે-હે વિવેકશાળી સ્ત્રી ! જો રાજાને ખબર પડે કે આ આભૂષણ મેં તને આપ્યું છે તો મને એક ચોર ગણીને રાજા મારો વિનાશ જ કરે. માટે મને અને મારા સ્વજનોને વિપત્તિમાં લાવી નાખનારું એ કાર્ય મારાથી નહીં થાય. કારણ કે “વિચક્ષણ પુરુષ કદિ ઘર બાળીને તીર્થ કરે નહિ.” એ પરથી વેશ્યા બોલી-જો તમે મને નિશ્ચયે જ એ નહીં આપો તો હું સાહસ કરીને પ્રાણ આપીશ. પછી તમને પશ્ચાતાપ થશે; કારણ કે મારી સાથે ભોગવેલા વૈભવો તમને યાદ આવશે. પણ મને લાગે છે કે તમારા આ કૃત્રિમ સ્નેહથી હું પૂરેપૂરી ઠગાણી છું.
હસ્તિપાલકને કહ્યું-તું પ્રાણત્યાગની વાત કરે છે; પરંતુ તારા વિના અનેક સુંદર નાયિકાઓ આ પૃથ્વી પર પડેલી છે તે શું તું નથી જાણતી ? ચીભડી હશે તો જ પરણાશે કે ? વળી બીજું-કદાપિ તું દેહત્યાગ કરીશ તો એમાં મારી ગાંઠ કાંઈ જવાની નથી; કેવળ તું તારા જીવની જઈશ; અને દુશ્મનોનું ધાર્યું થશે. માટે આવો નિમિત્ત વિનાનો દુરાગ્રહ ત્યજી દે, અને મારી સાથે રહે છે તેમ રહે. જીવ દેવાને તૈયાર થઈ છે તો આગળ કાંઈ આંબા નથી રોપી મૂક્યા !
હસ્તિપાલક અને મહસેનાનો આ સંવાદ સાંભળીને પાસે ઊભેલા મહાવતે પોતાના મિત્રને કહ્યું- હે સખે ! એને છૂટી મૂક; ભલે એને કરવું હોય એ કરે. ખેંચતાણનું ઔષધ “ઢીલું મૂકવું” એજ છે, એ તે નથી સાંભળ્યું ? વળી જે નરમાશથી-સહેલાઈથી ગ્રાહ્યમાં આવતા નથી-માની જતા નથી એવાઓની સાથે તો કાંઠા વિનાના ઘડાની જેમ કઠોર વર્તન જ રાખવું જોઈએ; બ્રાહ્મણે કેશુડાના વૃક્ષના સંબંધમાં રાખ્યું હતું તેમ.
હસ્તિપાલકે પૂછ્યું-એ શી વાત છે ? મહાવતે ઉત્તર આપ્યો-જાણવાની હોંશ હોય તો સાંભળ:અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ છછું)
૩