________________
(૨૬) સમાચારી :- ૫૩ ગાથાનાં આ અધ્યયનમાં સાધુ મહારાજની સામાન્ય દિનચર્યાનું અને રાત્રિચર્યાનું વર્ણન છે. સાધુની સમાચા૨ીનું દિગ્દર્શન કરાવેલ છે.
(૨૭) ખલુંકીય :- ખલુંકનો અર્થ દુષ્ટ બળદ છે. ૧૭ ગાથાની અંદર દુષ્ટ બળદના દૃષ્ટાંત દ્વારા અવિનીત શિષ્યોની રહેણી-કરણી બતાવેલ છે. તેનું પરિણામ શું ? તેનું કથન કરેલ છે.
(૨૮) મોક્ષમાર્ગગતિ :- ૩૬ ગાથાના આ અધ્યયનમાં મોક્ષના માર્ગ સ્વરૂપ રત્નત્રયીનું વર્ણન છે.
(૨૯) સમ્યક્ત્વપરાક્રમ ઃ- દર્શન, જ્ઞાન, ચારિત્રનાં વિભિન્ન તત્ત્વોને નજર સમક્ષ રાખી ૭૩ પ્રશ્નો અને ૭૩ ઉત્તરોમાં આધ્યાત્મિક વિકાસની સીડીઓ બતાવી છે. આખું અધ્યયન ગદ્યબદ્ધ છે
(૩૦) તપોમાર્ગ :- ૩૭ ગાથાનાં અધ્યયનમાં મોક્ષ માટેના શોર્ટકટ જેવા સમ્યકૃતપનું વર્ણન છે. બાહ્ય-અત્યંતર ભેદ ભિન્ન તપથી શું શક્ય નથી ?
(૩૧) ચરણવિધિ :- ૨૧ ગાથાનાં આ અધ્યયનમાં ૧ થી લઈને ૩૩ સંખ્યા સુધી દર્શન-જ્ઞાન-ચારિત્રની આરાધનામાં લાગતી આશાતનાનું પ્રતિપાદન છે. સાથે ચારિત્રવિધિનું પ્રતિપાદન પણ છે. અને અંતમાં ૩૩ બાબતમાં જે હંમેશા ઉપયોગવંત છે. દરેક પ્રવૃત્તિ ઉપયોગપૂર્વક કરે છે તે સાધુ સંસારમાં પરિભ્રમણ નથી કરતા, એમ દર્શાવ્યું છે.
(૩૨) પ્રમાદસ્થાનીય :- ૧૧૧ ગાથાનાં આ અધ્યયનમાં મનોજ્ઞ અને અમનોજ્ઞ વિષયો તરફ રાગ-દ્વેષની પ્રવૃત્તિ-નિવૃત્તિ અનાદિકાળથી કરતા આવ્યા છીએ. તેને ફંગોળવાની વાત મુખ્ય છે. ઇન્દ્રિયોની રાગ-દ્વેષમય પ્રવૃત્તિ જ પ્રમાદનું સ્થાન છે. તેને મૂળથી ઉખેડી કાઢવા કેવા ઉપાયો કરવા જોઈએ તે વિસ્તારથી બતાવ્યું છે. અને બ્રહ્મચર્ય પાલન ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો છે.
(૩૩) કર્મપ્રકૃતિ :- ૨૫ ગાથાનાં આ અધ્યયનમાં કર્મની મૂલ તથા ઉત્તરપ્રકૃતિનું વર્ણન છે. કર્મનાં સ્થિતિબંધ આદિ પણ નિરૂપેલ છે.
(૩૪) લેશ્યા :- છ લેશ્યા-જંબૂવૃક્ષનાં દૃષ્ટાંત દ્વારા બતાવેલ છે, લેશ્માનો અર્થ શું ? ઇત્યાદિ પ્રતિપાદન આ અધ્યયનની ૬૧ ગાથામાં સુંદર રીતે કરાયેલ છે.
(૩૫) અનગાર ઃ- ગૃહવાસનો ત્યાગ કરી, પ્રવ્રજ્યા ગ્રહણ કરનારા મુનિનું શ્રમણ જીવન કેવું હોવું જોઈએ, તથા મુનિએ આરંભ વિગેરેનો ત્યાગ કરવો જોઈએ તેનું વર્ણન આ અધ્યયનની ૨૧ ગાથામાં છે.
(૩૬) જીવાજીવવિભક્તિ :- જીવવિભાગ અને અજીવવિભાગનું ભેદ-પ્રભેદ સહિતનું વર્ણન ૨૭૨ ગાથામાં કરાયેલ છે. અંતમાં જીવનને સમાધિમય બનાવી સમાધિમરણ પ્રાપ્ત કરવાની વાત બતાવતાં સમાધિમરણનું વર્ણન છે અને ઉત્તરાધ્યયનને પ્રભુ મહાવીરનો અંતિમ ઉપદેશ કહેલ છે.