________________
૨૦૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ
ઉડાડીને લઈ જતો નથી? તેનું કારણ એ છે કે, પવનના મનમાં એવો ભય રહે છે કે, હું એ યાચકોને લઈ જઉં તો મારી પાસે એ કાંઈ માંગશે.
રોગી, ઘણા કાળ સુધી પ્રવાસ કરનાર, નિત્ય પારકું અન્ન ભક્ષણ કરનાર અને પારકે ઘેર સુઈ રહેનાર એટલા માણસોનું જીવિત મરણ સમાન છે. એટલું જ નહીં પણ મરણ પામવું તે એમને સારી વિશ્રાંતિ છે. ભિક્ષા માગીને નિર્વાહ કરનારો માણસ નિષ્કાળજી, બહુ ખાનારો, આળસુ અને ઘણી નિદ્રા લેનારો હોવાથી જગતમાં તદ્દન નકામો થાય છે. કહ્યું છે કે -
ભિક્ષાનું ખાવાથી થતો અનર્થ કોઈ કાપાલિકના ભિક્ષા માંગવાના ટીકરામાં એક ઘાંચીના બળદે મોઢું ઘાલ્યું ત્યારે ઘણો કોલાહલ કરીને કાપાલિકે કહ્યું કે, "મને બીજી ઘણી ભિક્ષા મળશે, પણ એ બળદે ભિક્ષાના વાસણમાં મોટું ઘાલ્યું, તેથી રખેને એનામાં ભિક્ષાચરના આળસ, બહુ નિદ્રા આદિ ગુણ આવ્યાથી આ નકામો થઈ પડે, માટે મને બહુ દિલગીરી થાય છે.
ભિક્ષાનાં ત્રણ ભેદ શ્રી હરિભદ્રસૂરિએ પાંચમા અષ્ટકમાં ત્રણ પ્રકારની ભિક્ષા કહી છે. તે એ કે-તત્ત્વનાં જાણ પુરુષોએ ૧ સર્વસંપન્કરી, ૨ પૌરુપદની, અને ૩ વૃત્તિભિક્ષા. આ રીતે ત્રણ પ્રકારની ભિક્ષા કહી છે. ગુરુની આજ્ઞામાં રહેલા, ધર્મધ્યાન આદિ શુભ ધ્યાન કરનારા અને માવજીવ સર્વ આરંભથી નિવૃત્તિ પામેલા સાધુઓની ભિક્ષા સર્વસંપન્કરી કહેવાય છે. જે પુરુષ પંચ મહાવ્રતને અંગીકાર કરીને યતિધર્મને વિરોધ આવે એવી રીતે ચાલે, તે ગૃહસ્થની જેમ સાવદ્ય આરંભ કરનારા સાધુની પૌરુષની કહેવાય છે. કારણ કે, ધર્મની લઘુતા ઉત્પન્ન કરનારો તે મૂઢ સાધુ, શરીરે પુષ્ટ છતાં દીન થઈ ભિક્ષા માગીને ઉદરપોષણ કરે, તેથી તેનો કેવળ પુરુષાર્થ નાશ પામે છે. દરિદ્રી, આંધળા, પાંગળા તથા બીજા પણ જેમનાથી કાંઈ ધંધો થઈ શકે એમ નથી; એ લોકો જે પોતાની આજીવિકાને અર્થે ભિક્ષા માગે છે તે વૃત્તિભિક્ષા કહેવાય છે. વૃત્તિભિક્ષામાં બહુ દોષ નથી, કારણ કે તેના માગનારા દરિદ્રી આદિ લોકો ધર્મને લઘુતા ઉપજાવતા નથી, મનમાં દયા લાવી લોકો તેમને ભિક્ષા આપે છે. માટે ગૃહસ્થ અને વિશેષ કરી ધર્મી શ્રાવકે ભિક્ષા માગવી વર્જવી.
બીજાં કારણ એ છે કે, ભિક્ષા માગનાર પુરુષ ગમે તેટલું શ્રેષ્ઠ ધર્માનુષ્ઠાન કરે તો પણ જેમ દુર્જનની મૈત્રીથી દોષો છે તેમ તેનાથી લોકમાં અવજ્ઞા, નિંદા વગેરે થાય અને જે જીવ ધર્મની નિંદા કરાવનારો થાય, તેને સમ્યકત્વ પ્રાપ્તિ આદિ થવું મુશ્કેલ છે.
ઓઘનિર્યુક્તિમાં સાધુ આશ્રયી કહ્યું છે કે, જીવનિકાય ઉપર દયા રાખનાર સંયમી પણ, આહાર-નિહાર કરતાં તથા ગોચરીએ અન્નગ્રહણ કરતાં જો કાંઈ ધર્મની નિંદા ઉપજાવે, તો બોધિલાભ દુર્લભ થાય. ભિક્ષા માગવાથી કોઈને લક્ષ્મી અને સુખ વિગેરેની પ્રાપ્તિ થતી નથી. કહ્યું છે કે -પૂર્ણ લક્ષ્મી વ્યાપારની અંદર વસે છે, થોડી ખેતીમાં છે. સેવામાં નહીં જેવી છે અને ભિક્ષામાં તો બિલકુલ છે જ નહીં. ઉદરપોષણ માત્ર તો ભિક્ષાથી પણ થાય છે. તેથી અંધ પ્રમુખને તે આજીવિકાનું સાધન થઈ પડે છે.