________________
આપનું જ આપને અર્પણ હે શાસનના શણગાર સૂરિવર! સંયમજીવનના ૫૮ વર્ષના પર્યાય દરમ્યાન આપશ્રીએ અપૂર્વ આરાધના સાધના સિદ્ધાંતરક્ષા શાસનપ્રભાવના કરી. આપના જીવનને ધન્યાતિધન્ય બનાવ્યું. સદાય અપ્રમત્ત આપશ્રીનું નિર્મળ જીવન, જિનાજ્ઞા પ્રત્યેની ખુમારીવાળી આપની મુખમુદ્રા, હરહંમેશ ચિત્તપ્રસન્નતા
વહાવતું આપનું મુખારવિંદ! આ બધા આપના ગુણોની સુવાસ અમારાથી ભૂલાય તેમ નથી.
પરમ વાત્સલ્યમય ગુરૂદેવ!આરાધનાની મહેક જગતમાં ફેલાવી, અમારા દષ્ટિ પથમાંથી અમને નોંધારા મૂકીને આપશ્રી વિદાય થયા, પણ આપશ્રી અમારા હૈયામાંથી વિસર્યા વિસરાય તેમ નથી.
હે કરુણાના ભંડાર ગુરુદેવ!! પાષાણ જેવા મને આપશ્રીએ શિલ્પી બની પોતાની આગવી શૈલીથી ઘડતર કરી માનવ બનાવ્યો.
માનવ બનેલા મને જીવનની ક્ષણભંગુરતા સમજાવી આપે જ વૈરાગ્યવાસિત બનાવ્યો.
વૈરાગ્યવાસિત મને આપશ્રીજીએ જ વાત્સલ્યના અમીસિંચન સાથે શાસ્ત્રામૃતનું પાન કરાવી સંયમ માર્ગમાં સ્થિર કર્યો.
પરમ પૂજ્ય, પરોપકારી, પ્રાતઃસ્મરણીય સિદ્ધાંતનિષ્ઠ પૂજ્ય હે ગુરૂદેવ આચાર્ય ભગવંત શ્રી ! આ રીતે આપ મારા યોગક્ષેમમાં સતત જાગ્રત રહેતા હતા, તે ઉપકારોની કોઈ સીમા નથી, એ ઉપકારોના ઋણ અદા કરવા આપશ્રી કૃપાળુના ચરણારવિંદમાં નત મસ્તકે ઉપકારોની સ્મૃતિરૂપે આ શ્રાદ્ધવિધિ” નામક પુસ્તક આપના કરકમલમાં સાદર સમર્પણ કરતાં આપનું જ આપને અર્પણ કરી રહ્યાની અનુભૂતિ માણી રહ્યો છું.
- આપનો સદા ઋણી આજ્ઞાંકિત
પાદપઘરેણુ સેવક સોમસુંદર