________________
तथा अघभीरुणा पातकभयशीलेन, एवम्भूतो ह्यसमञ्जसवक्ता न भवतीति । सहेति गम्यते । तत्त्वधिया तत्त्वबुद्ध्या । यः कथाबन्धः स धर्मवादो धर्मप्रधानो वादः प्रकीर्तितः ।।८-४।।
“પોતે સ્વીકારેલા શાસ્ત્રના તત્ત્વના જાણકાર; મધ્યસ્થ એવા પાપભીરુ આત્માની સાથે તત્ત્વની બુદ્ધિથી જે વાત થાય છે; તેને ધર્મવાદ કહેવાય છે.” - આ પ્રમાણે ચોથા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે જેની સાથે વાત કરવાની છે; તે વ્યક્તિ પોતાના શાસ્ત્રની જ્ઞાતા હોવી જોઇએ. જે પણ શાસ્ત્રને તેઓ માનતા હોય, તેના તેઓ જ્ઞાતા હોય તો સામા માણસની વાત સાંભળવાથી પોતાના શાસ્ત્રને દોષથી રહિત અથવા સહિત તેઓ સમજી શકે છે. અન્યથા પોતાના દર્શનમાં દોષ છે કે નહિ – તે તેઓ સમજી શકે નહિ. આવા માણસોની સાથે વાત કરવાથી કોઈ લાભ ન હોવાથી પોતાના શાસ્ત્રના જ્ઞાતાની સાથે વાત કરવાનું અહીં જણાવ્યું છે.
પોતાના શાસ્ત્રના જ્ઞાતા પણ પોતાના દર્શન પ્રત્યે અત્યંત રાગી અને બીજાના દર્શનની પ્રત્યે અત્યંત દ્વેષી ન હોય એવા મધ્યસ્થ હોવા જોઇએ. આવા મધ્યસ્થ આત્માઓને તત્ત્વ સારી રીતે સમજાવી શકાય છે. જ્યાં સુધી તત્ત્વનું વાસ્તવિક જ્ઞાન ન હોય ત્યાં સુધી સ્વપરદર્શનની પ્રત્યે અનુક્રમે રાગ-દ્વેષ તો હોય પરંતુ તે એવા ઉત્કટ ન હોવા જોઈએ કે જેથી તેને લઇને બીજાની વાત પણ આપણે સમજીને સ્વીકારી ના શકીએ ! મધ્યસ્થ આત્માઓને પોતાના અને બીજાના દર્શન પ્રત્યે અનુક્રમે અત્યંત રાગ અને અત્યંત દ્વેષ હોતો નથી. તેથી સ્વશાસ્ત્રના જ્ઞાતા એવા મધ્યસ્થની સાથે વાત કરવી જોઇએ.
સ્વશાસ્ત્રના જ્ઞાતા અને મધ્યસ્થ આત્માઓ પણ પાપના ભીરુ હોવા જોઇએ. જેથી તેઓ કોઈ વાર બીજાની વાત ન સમજાય તોપણ અસંગત વાતો કરે નહીં. પોતાને સમજાય નહિ; તેથી તેઓ સામા માણસની વાત ન પણ માને પરંતુ પોતે પાપભીરુ હોવાથી જેમ-તેમ બોલતા નથી. આથી જ વાત કરવા માટે સ્વશાસ્ત્રના જ્ઞાતા, મધ્યસ્થ એવા પાપભીરુ આત્માઓ જ યોગ્ય છે. આવા સુયોગ્ય આત્માઓની સાથે તત્ત્વના નિર્ણય માટે વાત કરવી જોઈએ. પોતાની વિદ્વત્તા વગેરે પ્રદર્શિત કરવાનો આશય ન હોવો જોઈએ. અન્યથા એવા સુયોગ્ય આત્માઓની સાથેની પણ વાતચીત “ધર્મવાદ' સ્વરૂપ નહીં બને. ઉપર જણાવ્યા મુજબ સ્વશાસ્ત્રના જ્ઞાતા, મધ્યસ્થ અને પાપભીરુ આત્માઓની સાથે જે કથાપ્રબંધ - વાતચીત તત્ત્વબુદ્ધિથી થાય છે; તેમાં ધર્મની પ્રધાનતા હોવાથી તેને “ધર્મવાદ' કહેવાય છે. ધર્મની પ્રાપ્તિ માટે “ધર્મવાદ' એક અદ્ભુત સાધન છે. એ સાધનની પ્રાપ્તિ માટેની યોગ્યતા માટે; સ્વશાસ્ત્રનું જ્ઞાન, મધ્યસ્થતા અને પાપભીરુતાની અપેક્ષા છે. વાત કરવા માટેની એ યોગ્યતા ન હોય તો વાદી-પ્રતિવાદી : બંન્ને માટે તે વાદ ધર્મની પ્રાપ્તિનું કારણ નહીં બને. ધર્મવાદ ધર્મ માટે છે. I૮-૪ો.
ધર્મવાદની ધર્મપ્રધાનતાને જણાવવા વાદી-પ્રતિવાદીને આશ્રયીને “ધર્મવાદના ફળનું નિરૂપણ કરાય છે– એક પરિશીલન