________________
(૨) આજે ય જિનપૂજાનિષેધ જેવા અનેક ઉસૂત્રોની પ્રરૂપણા થઇ રહી છે. જેના નિરાકરણની અત્યંત આવશ્યકતા અનુભવાય છે. એવા અનેક ઉસૂત્રોનું નિરાકરણ પણ પ્રસ્તુત ગ્રંથમાં કરેલું છે. માટે વર્તમાન વિશ્વને પણ આ ગ્રંથ ઉપયોગી છે.
(૩) ઉસૂત્ર પ્રરૂપક તે ગ્રંથો કે તેની સમાન અન્ય ગ્રંથો ભવિષ્યમાં પ્રગટ થાય ત્યારે પ્રાચીનતા આદિને કારણે જૈન-જૈનેતર જગત ગેરમાર્ગે દોરવાય, ઘણા વિવાદો ઊભા થાય, એવી શક્યતાઓ રહેલી છે. પ્રસ્તુત પ્રકાશનથી તેવા અનિષ્ટોનું નિવારણ કરી શકાશે.
(૪) સાધુ-શ્રાવક આચાર આદિ અનેકાનેક ઉપયોગી બાબતોનું જ્ઞાન પ્રસ્તુત ગ્રંથથી થાય છે. માટે અભ્યાસ માટે પણ આ ગ્રંથ ઉપયોગી છે.
(૫) જિનાગમ એટલું વ્યવસ્થિત છે, કે કોઇ જરા પણ આઘી-પાછી પ્રરૂપણા કરે, તો અનેક શાસ્ત્રો સાથે વિરોધ આવી જાય, અને પેલાની પોલ પકડાઇ જાય. આ વાસ્તવિકતા પ્રસ્તુત પ્રકરણના પાને પાને છતી થઇ છે. આ પ્રકરણ ઉસૂત્રપ્રરૂપકો માટે એક લાલબત્તી સમાન છે. જે આ પ્રકરણથી પરિચિત થશે, તે જિનવચન સાથે ચેડા કરતા પહેલા સો વાર વિચાર કરશે.
આ લાભોને જોઈને પ્રસ્તુત ગ્રંથ પર વિષમપદવિવરણ તથા અનુવાદની રચના કરી છે. સંક્ષેપથી અતિદિષ્ટ શાસ્ત્રવચનો, ગંભીર વાક્યોના વિવરણો અધ્યેતાઓને ઉપયોગી થશે. જેમનું નિરાકરણ કરાયું છે, તે ગ્રંથો ઉપલબ્ધ ન હોવાને કારણે કેટલાક સ્થળોએ તાત્પર્ય સમજી શકાતું નથી. પણ એવા સ્થળો અત્યંત અલ્પ છે. મોટા ભાગે પ્રકરણકારશ્રીએ તે ગ્રંથોના વચનોને ઉદ્ભૂત કરીને તેમનું નિરાકરણ કર્યું છે. આ પ્રકરણ પ્રથમ વાર પ્રકાશિત થઇ રહ્યું છે, તેનું સંશોધન નિદર્શિત ત્રણ હસ્તાદર્શો પરથી કરવામાં આવ્યું છે. ત્રણે હસ્તાદર્શી શ્રીહેમચન્દ્રાચાર્ય જ્ઞાનમંદિર-પાટણના છે.