________________
૩૧
જિનશાસન-અનુરાગી પંડિતજી
સ્પ્રે પૂ.આ.ભ.શ્રી. વિજયશીલચન્દ્રસૂરિજી. મ.સા.
વિક્રમની વીસમી સદીમાં જૈનશાસનને અને સંઘને અજવાળનારી કેટલીક મહત્ત્વપૂર્ણ ઘટનાઓ બની, તેમાંની એક ખાસ ઘટના તે શેઠ વેણીચંદ સુરચંદ દ્વારા સ્થાપવામાં આવેલી મહેસાણાની શ્રીયશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા. અગાઉ એવી પરિસ્થિતિ સામાન્ય હતી કે જૈન અથવા શ્રાવકનું સંતાન હોય તેને અમુક શાસ્ત્રો અને ગ્રંથોનું જ્ઞાન હોય જ અને તે અમુક હદ સુધી વ્રત-નિયમ-સ્વાધ્યાયમાં ઓતપ્રોત હોવાનો જ. વીસમી સદીના ઉત્તરાર્ધમાં આ પરિસ્થિતિએ ઝડપથી પલટો લેવા માંડતાં શાસનપ્રેમીઓને ભણેલા શ્રાવકો તૈયાર કરવાની આવશ્યકતા વરતાઈ, અને તેના પ્રાયોગિક અમલીકરણ રૂપે જે વિવિધ સંસ્થાઓનું નિર્માણ થયું, તેમાંની એક પ્રમુખ સંસ્થા તે મહેસાણા-પાઠશાળા.
જ્ઞાન પુષ્પાંજલિ
વીતેલાં સો વર્ષોમાં આ પાઠશાળાએ સેંકડો શ્રાવક વિદ્વાનો તથા અધ્યાપકો સંઘને ભેટ આપ્યા છે, જેમણે ભારતમાં ઠેર ઠેર સમ્યજ્ઞાન-અધ્યયનની જ્યોત પ્રજ્વલિત રાખી છે. આ વિદ્વાન શ્રાવકોમાં જેમનું નામ આગલી કે પ્રથમ પંક્તિમાં લઈ શકીએ તેવું એક નામ તે પંડિતવર્ય શ્રી છબીલદાસ કેશરીચંદ સંઘવી.
કિશોરવયમાં જ તેઓએ આ પાઠશાળામાં અભ્યાસ કર્યો, પછી વ્યાકરણના વધુ ઊંડા અભ્યાસમાટે તે વિષયના વિખ્યાત પ્રકાંડ વિદ્વાન આચાર્ય શ્રી વિજય લાવણ્યસૂરિજી મહારાજ વગેરે પૂજ્યો પાસે રહ્યા અને તે વિષયમાં પાંડિત્ય હાંસલ કરીને ‘પંડિત' બન્યા. એ પછી અધ્યાપક બનીને અધ્યાપન ક્ષેત્રે પ્રવેશ કર્યો. અન્યાન્ય ક્ષેત્રોમાં થોડોક સમય વીતાવીને તેઓ ખંભાત આવ્યા, અને ત્યાં લગભગ પચાસવર્ષ જેવો ગાળો અધ્યાપન કરાવ્યું. ખંભાતની પાઠશાળા અને ત્યાંના સંઘ સાથે એ એવા તો એકરસ બની ગયા કે મૂળ વતન ભાભર હોવા છતાં તેઓ ખંભાતવાળા તરીકે જ પ્રખ્યાત બન્યા.
ખંભાત-સંઘની ચડતીકળાના એ દાયકાઓમાં પંડિતવર્યનું અને પાઠશાળાનું પરિબળ એક એવું આકર્ષણ બનેલું કે સેંકડો સાધુ-સાધ્વીજીઓ ઉચ્ચ અધ્યયન માટે ખંભાત આવવાનું અને સ્થિરતા કરવાનું વિશેષ પસંદ કરતા. અને માત્ર મૂર્તિપૂજક સંઘના જ નહિ, સ્થાનકવાસી સંપ્રદાયના સંત-સતીઓ પણ ઘણીવાર આ જ આકર્ષણે ખંભાત આવીને રહેતા. તેમના કુશળ અધ્યાપનને કારણે તેઓ ‘માસ્તર', ‘અધ્યાપક'ની સરહદ ઓળંગી જઈને ‘પંડિતજી’ના હુલામણાં નામે સકલ સંઘમાં પ્રતિષ્ઠિત થઈ ગયા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org