________________
૧૭૦
પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨
આદિ દેવના ઉત્તમ ચરિત, જે જન વૃત્તિ વાળે, તે વૈરાગ્યાદિ સૌ પામી સ્વરૂપ નિજ સંભાળે રે. પ્રભુજી બોથબો ભવ તરીએ.
અર્થ :– આદિનાથ શ્રી ઋષભ જિનેશ્વરના ઉત્તમ ચરિત્રમાં જે જન પોતાની વૃત્તિને સ્થિર કરશે તે વૈરાગ્ય, ઉપશમ, ત્યાગ, ભક્તિ આદિ સર્વને પામી, પોતાના આત્મસ્વરૂપની સંભાળ લેશે. જેના ફળસ્વરૂપ કેવળજ્ઞાન પ્રગટ થઈ શાશ્વત સુખસ્વરૂપ એવા મોક્ષપદને પામશે. માટે હે પ્રભુજી! જન્મ મરણથી મુક્ત થવા અમને પણ બોધ આપો; જેથી આપના બોઘબળે અમે પણ ભવસાગરને તરી જઈએ. ૫૮૪ના
ઋષભદેવ ભગવાન શુદ્ધ આત્મતત્ત્વને વિચારી પોતાના પરમાત્મપદને પામ્યા; તેમ હું પણ મારા પરમાત્મ સ્વરૂપને પામવા અર્થે, પરમકૃપાળુદેવને મારા આત્માના હિતકારી એવા હિતાર્થી પ્રશ્નો જેમકે હું આત્મા છું તો તેને કેવી રીતે જાણવો, આત્મા નામનો પદાર્થ નિત્ય છે તેનું શું પ્રમાણ? જીવ કર્મનો કર્તા છે અને તેનો ભોક્તા છે તે કેમ જાણી શકાય? જીવનો મોક્ષ છે તો તે કેમ થતો નથી? વળી મોક્ષ હોય તો તે પ્રાપ્તિના ઉપાય શું? વગેરે પ્રશ્નો પૂછી શંકાનું નિવારણ કરું. જેથી સત્ય શું છે તે જાણીને તે પ્રમાણે વર્તવા પુરુષાર્થ કરું. એવા પ્રશ્નોના ખુલાસા આગળના પાઠમાં આપવામાં આવે છે તે નીચે પ્રમાણે છે ઃ
(૧૦૬)
હિતાર્થી પ્રશ્નો
ભાગ-૧
(રાજ સમર તું, રાજ સમર તું, રાજ હૃદયમાં રાખીને—એ રાગ)
特
શ્રીમદ્ સદ્ગુરુ રાજચંદ્ર-પદ, ચંદ્ર-ચંદ્રિકા સમ ચળકે, સૌ સંશય ટાળક બાળકના, વંદન કરું હું ઉમળકે; ત્રિવિધ તાપ બાળે કળિકાળે, મહામોહ મૂંઝી મારે, સુરતરુ સમ સદ્ગુરુ જૅવને ત્યાં, આશ્રય દઈને ઉગારે. ૧
અર્થ :— પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુનું સદ્ગુરુ પદ તે ચંદ્રમાની શીતલ ચંદ્રિકા એટલે ચાંદની સમાન સર્વત્ર જ્ઞાનનો પવિત્ર પ્રકાશ ફેલાવનાર છે. તે જ્ઞાનવર્ડ મારા જેવા અજ્ઞાની બાળકના સર્વ સંશયો નાશ પામે છે. માટે આપના ચરણકમળમાં હું ઉમળકાથી પ્રણામ કરું છું, આ કળિકાળમાં જીવોને આધિ, વ્યાધિ, ઉપાધિરૂપ ત્રિવિધતાપ વિશેષપણે બાળી રહ્યો છે. અને મહામોહ એટલે દર્શનમોહ અથવા અજ્ઞાન કે મિથ્યાત્વ કહો, તે જીવને ઇન્દ્રિયોના ભોગોમાં સુખ બુદ્ધિ કરાવી, તે મેળવવા માટે મૂંઝવી મારે છે. તેવા સમયમાં સુરતરુ એટલે કલ્પવૃક્ષ સમાન સદ્ગુરુ ભગવંતનો જે આશ્રય ગ્રહણ કરે તેને શરણ આપી તે જીવનો ઉદ્ધાર કરે છે. ।।૧।