________________
નદીમાં તરનારાઓનો એક અનુભવ હોય છે કે એમણે કશું કરવાનું હોતું નથી. નદીનો પ્રવાહ એમને વહાવ્યા કરે છે.
અનુમોદના આ જ કામ કરે છે.
યાદ આવે પ્રભુ મહાવીર દેવની અનરાધાર કૃપાવર્ષાની એક ઘટના. ચંડકૌશિક સર્પને પ્રભુએ પ્રતિબોધિત કર્યો. પ્રતિબુદ્ધ થયો એ સર્પ. હિંસાની ધારામાંથી એ અહિંસાની, પરમ અહિંસાની ધારામાં આવ્યો. પોતાની આંખોમાં રહેલ ઝેર વડે હજારોને ખતમ કરનાર એ સર્પ એવો તો અહિંસક બન્યો કે ભરવાડણો દ્વારા થયેલ દૂધ-ઘીનાં છાંટણાંની સુગંધ વડે આવેલ હજારો કીડીઓ એના શરીરે ચોટી ગઈ ત્યારે પણ એ સાપ પૂંછડી પટપટાવતો નથી કે શરીરને હલાવતો નથી; પેલી કીડીઓની રક્ષા માટે જ તો !
પ્રભુ દ્વારા મળેલ સાધનાને એણે સ્વીકારી. પછીની ઘટના અદ્ભુત છે. પ્રભુ પંદર દિવસ સુધી ત્યાં જ રોકાયા : પોતાનાં દિવ્ય આન્દોલનો વડે એની સાધના સુરક્ષિત રહે એ માટે.
સર્પનું નિધન થયું, પછી પ્રભુ આગળ પધાર્યા.
સાધના આપે સદ્ગુરુ. સાધનાને ઘૂંટાવે સદ્ગુરુ. સાધનાને સાધકના અસ્તિત્વ સાથે એકમેક બનાવે સદ્ગુરુ. સાધક શું કરે ?
સદ્ગુરુના આ પ્રદાનને એ ઝીલે. એ ઝીલવાની ક્ષણો બને હર્ષાશ્રુથી ભીની, ભીની.
સાધકનો માર્ગ છે આ ભીનાશ.
પોતે વહાવેલ આંસુની ધારા એ જ છે સાધકનો માર્ગ. આંસુના પૂરમાં બસ, વહ્યા જ કરવાનું છે...
અનુમોદનાની આ ધારા સાધક પાસે તો છે જ. એને સાધનાનું હાર્દ આપનાર સદ્ગુરુ પાસે પણ એ જ છે.
સૂત્રોના યોગોદ્રહનની પ્રક્રિયામાં જ્યારે શિષ્ય કહે છે કે મને સૂત્ર આપો ! ત્યારે સદ્દગુરુદેવ એમ નથી કહેતા કે હું તને આ સૂત્ર આપું છું; પણ તેઓ કહે છે : “ખમાસમણાણું હત્યેણું...' ગુરુઓના (અતીતના સદ્દગુરુઓના) હાથે હું આ સૂત્ર તને આપું છું.
સદ્ગુરુ કહેવા માગે છે કે ગુરુઓની પરંપરા વિના ગણધર ભગવંતે રચેલ આ સૂત્ર મારી પાસે પણ ક્યાંથી આવત !
આવી જ એક વાત પરંપરામાં છે. શિષ્ય (પાક્ષિક ખામણામાં) જ્યારે કહે છે કે, ગુરુદેવ ! આપે મને સૂત્ર, પદ આદિનું જ્ઞાન આપ્યું... હું આપનો ખૂબ ખૂબ ખૂબ આભારી છું. ત્યારે ગુરુદેવ કહે છે : “આયરિયસંતિય...' આમાં મારું પોતાનું કંઈ જ નથી. ગુરુદેવોએ મને આપેલું હું તને આપું છું.
કર્તુત્વની ધારા છૂટે. અનુમોદનાની ધારામાં રહેવાનું ચાલ્યા કરે.
૮૮ % મોલ તમારી હથેળીમાં
ભીનાશનો દરિયો જ ૮૯