________________
(૪૦૫) ૧૪. જો ઉદયમાં આવ્યા પહેલાં રસમાં મોળાશ કરી નાખવામાં આવે તો આત્મપ્રદેશથી કર્મ ખરી જઈ નિર્જરા થાય, અથવા મંદ રસે ઉદય આવે.
૧૫. જ્ઞાનીઓ નવી ભૂલ કરતા નથી, માટે તે અબંધ થઈ શકે છે.
૧૬. જ્ઞાનીઓએ માનેલું છે કે આ દેહ પોતાનો નથી; તે રહેવાનો પણ નથી; જ્યારે ત્યારે પણ તેનો વિયોગ થવાનો છે. એ ભેદવિજ્ઞાનને લઈને હંમેશાં નગારાં વાગતાં હોય તેવી રીતે તેના કાને પડે છે, અને અજ્ઞાનીના કાન બહેરા હોય છે એટલે તે જાણતો નથી.
૧૭. જ્ઞાની દેહ જવાનો છે એમ સમજી તેનો વિયોગ થાય તેમાં ખેદ કરતાં નથી. પણ જેવી રીતે કોઈની વસ્તુ લીધી હોય ને તેને પાછી આપવી પડે તેમ દેહને ઉલ્લાસથી પાછો સોંપે છે; અર્થાત્ દેહમાં પરિણમતા નથી.
૧૮. દેહ અને આત્માનો ભેદ પાડવો તે ભેદજ્ઞાન'; જ્ઞાનીનો તે જાપ છે. તે જાપથી દેહ અને આત્મા જુદા પાડી શકે છે. તે ભેદજ્ઞાન થવા માટે મહાત્માઓએ સકળ શાસ્ત્રો રચ્યાં છે. જેમ તેજાબથી સોનું તથા કથીર જુદાં પડે છે, તેમ જ્ઞાનીના ભેદવિજ્ઞાનના જાપરૂપ તેજાબથી સ્વાભાવિક આત્મદ્રવ્ય અગુરુલઘુ સ્વભાવવાળું હોઈને પ્રયોગી દ્રવ્યથી જુદું પડી સ્વધર્મમાં આવે છે.
૧૯. બીજો ઉદયમાં આવેલાં કર્મોનું આત્મા ગમે તેમ સમાધાન કરી શકે, પણ વેદનીયકર્મમાં તેમ થઈ શકે નહીં; ને તે આત્મપ્રદેશે વેદવું જ જોઈએ; ને તે વેદતાં મુશ્કેલીનો પૂર્ણ અનુભવ થાય છે. ત્યાં જે ભેદજ્ઞાન સંપૂર્ણ પ્રગટ થયું ન હોય તો આત્મા દેહાકારે પરિણામે, એટલે દેહ પોતાનો માની લઈ વેદે છે, અને તેને લઈને આત્માની શાંતિનો ભંગ થાય છે. આવા પ્રસંગે જેમને ભેદજ્ઞાન સંપૂર્ણ થયું છે એવા જ્ઞાનીઓને અશાતાવેદની વેદતાં નિર્જરા થાય છે, ને ત્યાં જ્ઞાનીની કસોટી થાય છે. એટલે બીજાં દર્શનોવાળા ત્યાં તે પ્રમાણે ટકી શકતા નથી, ને જ્ઞાની એવી રીતે માનીને ટકી શકે છે.
૨૦. પુદ્ગલદ્રવ્યની દરકાર રાખવામાં આવે તો પણ તે જ્યારે ત્યારે ચાલ્યું જવાનું છે, અને જે પોતાનું નથી તે પોતાનું થવાનું નથી; માટે લાચાર થઈ દીન બનવું તે શા કામનું ?