________________
55
આત્મ સેતુ વીમેન્સ-લીબરેશન - નારી સ્વાતંત્ર્ય એટલે આપણે શું સમજીશું? તરત એમ ખ્યાલ આવે કે “પુરૂષ સમાન હક્ક નારીને મળવા જોઈએ. તેણે પણ ઘરમાં મારી જેમ કામ કરવુ જોઈએ.” કુદરતે નારીને “વિશેષ” હક્ક આપ્યા છે તેનું શું? માતા બનવાના અધિકારનો સમાન હિસ્સો, નારી, પુરૂષને કઈ રીતે આપશે? બાળક માટે સર્વસ્વ ન્યોચ્છાવર કરતું અમી ઝરણુ, નારી, નર સાથે કેવી રીતે વહેંચશે? કુદરતે નારીને કોમળ અને વાત્સલ્યભરી સર્જી, તેને ફૂલ જેવું સુકોમળ બાળ સોંપ્યું એટલે કુટુંબની સાર-સંભાળ તેને આવી. પુરૂષને મજબૂત અને “યોદ્ધો” સર્જી તેને ધન ઉપાર્જન અને રક્ષણની જવાબદારી સોંપી. તેને બહારનું કામ આવ્યું. વર્ષો પહેલા એવો સમય હતો, જ્યારે નારીને મળેલા “વિશેષ” અધિકારને લીધે તે “અબળા” હતી. તેની પર ઘણી મુશ્કેલી આવી પડતી. ઘરમાં દબાઈને રહેવું પડતું. સમાજમાં ડરીને ચાલવું પડતું. એક એક પાઈ માટે લાચાર અને નિરાધાર થઈ હેરાન થવું પડતું. આવી સ્થિતિમાંથી બહાર નીકળવા નારી સ્વાતંત્ર્ય અને સમાન હક્કની ઝુંબેશ ચાલી. નારી ભણી-ગણીને શક્તિશાળી થઈ. તેની લાચારી ઓછી થઈ. સમાજની બીક ઘટી. નોકરીની અને ઘરની બન્ને જવાબદારી આવી મળી. થોડા સમય પહેલા એક યુગલને મળવાનું થયું. બન્નેનું આકર્ષક સુંદર વ્યક્તિત્વ. બન્ને સારૂ કમાય. બન્ને શક્તિશાળી. નાની નાની વાતમાં “સમાન” થવા મોટા મોટા ઝગડા થાય. ઘરમાં નવજાત શિશુનો જન્મ થયો. નારી કહે “હું જેટલા કલાક બાળકનું ધ્યાન રાખે તેટલા કલાક તારે પણ સંભાળ લેવાની.” સમાન હક્ક! નર કહે, “હું જેટલા ડોલર ઘરમાં આપું તેટલા તારે પણ આપવાના.” સમાન ફરજ! બાળક બિમાર હોય, તાવમાં કણસતું હોય, તેને માતા-પિતાની સંભાળ અને હૂંફની જરૂર હોય, અને મમ્મી-ડેડી સમાનતાની ઉગ્ર દલીલો કરતાં હોય. સમાનતાની સીમારેખા કઈ? નારી સ્વાતંત્ર્યની સીમા કઈ? જીવનના પાયામાં, બન્નેના કાર્યક્ષેત્ર કુદરતે અલગ સોંપ્યા છે. એકને ઘરની જવાબદારી છે. બીજાને બહારની જવાબદારી છે. બન્નેએ સમજીને પોતાની જવાબદારી સંભાળતાં પરસ્પરના કામમાં સહકાર આપવાનો છે. સમજ, સહકાર, સ્નેહ અને સંપથી જીવનરથ ચલાવવાનો છે. પરસ્પર સ્નેહ અને સમજણની સમાનતા વિકસાવવાની છે. સમાનતાની સમજણ કેળવવાની છે. બન્નેએ એક બીજાની શક્તિ બની રહેવાનું છે. જે પરિસ્થિતિ પોતાને નસીબે આવી પડે તેને સ્વીકારીને સર્જનાત્મક અભિગમ (પોઝીટીવ એપ્રોચ) સાથે આગળ ચાલવાનું છે. ધર્મ જીવન જીવવાની રીત છે. આપણે જે ચેતન શક્તિ, જે ગુણો ધારણ કરીએ છીએ તે ચેતના શુદ્ધપૂર્ણ પ્રગટે તે રીતે જીવન જીવવાનું છે. આત્મચેતન પર ચડેલા અશુદ્ધિના રંગ વધુ ને વધુ ઘેરા થાય એ રીતે અતિક્રમણ કરતાં કરતાં જીવી શકાય છે.