________________
104
આત્મ સેતુ
જીવનના રોજિંદા કામકાજ અને જવાબદારીઓ આત્મા આડે દિવાલ બની ખડા છે, એવી માન્યતા ભલે ભાંગવા માંડે. આ માન્યતાની દિવાલને ભાંગવા દેજો. આ માન્યતાની દિવાલને તૂટી પડવા દેજો. તમારા જીવનના પ્રવાહને આત્મ માર્ગે ચડવા દેજો. આધ્યાત્મિક ઉન્નતિ માટે, ઝાડા-ઝાંખરા ભરેલું, મનનું મેદાન સાફ કરતાં કરતાં અંતરયાત્રાની કેડી કંડારવાની સૂઝ આવશે. આ સૂઝને વિકસવા દેજો. આ તમારી સંસાર-દીક્ષા છે. સંસાર દીક્ષામાં, ઘરને પ્રેમ મંદિર, કુટુંબીજનોને જીવતી જાગતી પ્રતિમા, કામ-કાજ જવાબદારીઓને સેવાપૂજા સમજી આત્માર્થે આગળ ચાલજો. સંસારનું ખરૂ રૂપ સમજવા કોશિશ કરજો. કોઈ પણ રસ્તો બે દિશામાં જાય છે. જે રસ્તે ઘરની બહાર જવાય છે એ જ રસ્તે ઘરની અંદર અવાય. આપણને સામાન્ય રીતે એક જ દિશામાં જવાની ખબર છે. સ્વની બહાર!
આત્મિક માર્ગ બીજી દિશામાં જાય છે. સ્વની ભીતર!
જવાબદારીઓને મુક્તિનો માર્ગ બનવા દેજો!
સત્સંગી : આમાં એવું થાય છે કે નથી આ પાર, કે નથી પેલે પાર, ધર્મ વિશે સાવ ન જાણતા હોત તો ચિંતા ન હતી. કદાચ એવા લેવલ પર પહોંચી ગયા હોઈએ તો પણ ચિંતા ન રહે. જીવનમાં એવો સમય આવ્યો છે કે, નથી શોક કરી શકતાં કે નથી સ્વસ્થ રહી શકતાં. શોક થાય છે તો એમ થાય છે કે, આ ખોટું છે. સ્વસ્થ તો રહી જ નથી શકાતું. કરવું શું?
બહેનશ્રી : નદીને સામે કિનારે પહોંચવા ઝંપલાવ્યું છે, તો હિંમતથી તરવાની મહેનત કર્યા કરવાની. કિનારો છોડ્યો છે. ઇચ્છા-અરમાનોના ધસમસતા પ્રવાહમાં સામે પૂરે તરવાની હામ ભીડી છે. ક્યારેક આગળ વધવાની બદલે પાછા પડાય એમ પણ બને. ક્યારેક વૃત્તિઓના વમળમાં ફસાવાનું થાય. આ કિનારો છૂટ્યો છે, પેલે કિનારે પહોંચ્યા નથી, વચ્ચે આવતી મુસીબતોની આરપાર નીકળવાનું છે. અજંપો ઘેરી વળ્યો છે. અસ્વસ્થતાનો જોરદાર વેગ છે. તેમાં ઘસડાઈ જવાય છે. મન છે. સ્વસ્થ પણ રહે, અસ્વસ્થ પણ રહે. અસ્વસ્થતાનો સ્વીકાર કરવાનો. અંદર માંહ્યલો બેઠો છે ને! તેને સદ્ધર થવા દો.
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
સત્સંગી : આ સાંભળવાનું સારું લાગે છે. એકદમ ગળે ઊતરી જાય છે. જે સાંભળીએ તે તરત આચરણમાં આવતું હોય તો મનની સ્વસ્થતા ઘણી વધી જાય. પણ મન ત્યાં જ પાછું પડે છે. વિચારો બહ ચાલે છે. આ વિચારો એનલાઈઝ કર્યા કરાય છે. શાંતિ નથી રહેતી.