________________
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય : એક અનુશીલન
પર કરી ક્રિયાની ભાષામાં પણ બહુ ઉપદેશ આપવામાં આવ્યો છે. આખો ચરણાનુયોગ અને પ્રથમાનુયોગ એ જ શૈલીમાં લખાયા છે તથા દ્રવ્યાનુયોગમાં પરિણામોમાં એકત્વ અને કર્તૃત્વબુદ્ધિ છોડાવી દ્રવ્યદૃષ્ટિ કરાવવાના પ્રયોજનથી પર્યાયોથી ભિન્ન ત્રિકાળી જ્ઞાયકભાવનું વર્ણન કરવામાં આવ્યું છે.
૯૮
પ્રશ્ન :- કરણાનુયોગમાં વર્ણવેલી કર્મપ્રકૃતિઓ તથા ભૂગોળાદિના વર્ણનથી આત્મહિતના પ્રયોજનની સિદ્ધિ શી રીતે થાય છે ?
ઉત્તર :- જો આપણને સ્વર્ગ-નરક ત્રણ લોકાદિનું સામાન્ય જ્ઞાન પણ ન હોય તો પુણ્ય-પાપનું યથાર્થ જ્ઞાન પણ નહી થઇ શકે, કારણ કે પુણ્ય-પાપનું ફળ ભોગવવાના સ્થાનો તે જ છે. જો પુણ્ય-પાપનું ફળ સિદ્ધ ન થાય તો જીવનું સંસાર-ભ્રમણ, જન્મ-મરણ વગેરે પણ સિદ્ધ નહી થાય. પછી પર્યાયો પરથી દૃષ્ટિ ખસેડી દ્રવ્યદૃષ્ટિ કરવાની શી આવશ્યકતા રહે ? તેમજ કર્મપ્રકૃતિઓની ભાષામાં જીવના વિકારીભાવો તથા બાહ્ય સંયોગવિયોગની વ્યવસ્થાનું વર્ણન કરવામાં આવે છે. માટે કરણાનુયોગ પણ આત્મહિતના પ્રયોજનમાં સહાયક છે.
આ વિષયો ઊંડાણપૂર્વક અને સૂક્ષ્મતાથી સમજવાથી સર્વજ્ઞતા અને સર્વજ્ઞ સ્વભાવી ભગવાન આત્માનો મહિમા આવે છે. માટે દૃષ્ટિને સ્વભાવ સન્મુખ થવા માટે બળ મળે છે.
આ પ્રમાણે વિભિન્ન બિંદુઓથી ક્રિયા, પરિણામ અને અભિપ્રાયનું વિવેચન કરવામાં આવ્યું.
પ્રશ્ન :- આ વિષયને સમજવાથી શો લાભ છે ?
ઉત્તર :- આત્મહિત માટે આ પ્રકરણને સમજવું અત્યંત આવશ્યક છે. તેને સમજવાથી વસ્તુ-સ્વરૂપનો નીચે જણાવ્યાનુસાર નિર્ણય થાય છે. (૧) આત્મા બાહ્ય ક્રિયાઓનો કર્તા-ભોકતા નથી. (૨) માત્ર બાહ્યાચરણથી ધર્મ અર્થાત્ મુક્તિમાર્ગ નથી મળતો. (૩) માત્ર શુભ પરિણામોથી ધર્મ અર્થાત્ મુક્તિમાર્ગ નથી મળતો.