________________
જ્યારે ડાંસ અને મચ્છરો આદિનો ઉપદ્રવ ચાલુ હોય અને એના દ્વારા પીડા થતી હોય, ત્યારે પણ એ રીતિએ પીડાતા એવા મુનિઓ, વસ્ત્રોના અન્વેષણમાં તત્પર બને નહિ. એ સંબંધથી છઠ્ઠો પરીષહ કહેવાય છે- “અચેલ-પરીષહ'. કલ્પાદિનો ખ્યાલ રાખ્યા વિના- “મુનિઓ વન્ન આદિ રાખે જ નહિ” -એમ કહેનારા અજ્ઞાન છે, આ વાત આપણે પ્રથમ પણ થોડી વિચારી છે અને અહીં એનો સ્વતંત્ર પ્રસંગ નહિ હોવાથી માત્ર આપણે એટલું જ કહીને એ વાત છોડી દઇએ છીએ કે- “વસ્ત્રાદિ જે અનંતજ્ઞાનિઓની આજ્ઞા મુજબ ભૂમિકા પ્રમાણે રાખે તે ધર્મોપકરણ છે. એને પણ અન્ય પરિગ્રહ રૂપ માનનારા શરીરને પણ પરિગ્રહ કેમ નથી માનતા, એ જ આશ્ચર્ય છે.' આગ્રહી બની આજ્ઞાથી પર બનનારા પરમ અજ્ઞાન જેવા બની ઉન્માર્ગના જ આરાધક અને પ્રચારક બને છે. લબ્ધિસંપન્ન નિલ્પી મુનિઓને છોડીને સઘળાય સ્થવિરકલ્પી મુનિઓ આજ્ઞા મુજબ વસ્ત્રોના ધરનારા હોય છે. એવા પણ મહાત્માઓને “અચેલ-પરીષહ' સહવાના પ્રસંગો આવે છે. પાસેના વસ્ત્રો જીર્ણ બની ગયાં હોય, એવા સમયે મુનિ- “મારી પાસે ગ્રહણ કરેલું બીજું વસ્ત્ર નથી અને કોઇ તેવા પ્રકારનો દાતા પણ નથી, એટલે હું થોડા દિવસોમાં વસ્ત્ર વિનાનો થઇ જઇશ.” –આવા વિચારથી દીન ન બને : અથવા - “મને જીર્ણ વસ્ત્રવાળો જોઇ કોઇ શ્રદ્ધાળુ સદંતર વસ્ત્રો આપે તો ઠીક થઇ જાય.' -આવો પણ વિચાર ન કરે : તેમજ વસ્ત્રોના લાભની સમભાવનાથી પ્રમુદિત મનવાળો પણ ન થાય. આજ્ઞા મુજબ વસ્ત્રોને રાખનારા મુનિઓ પણ આ રીતિએ
અચેલ-પરીષહ ના વિજેતા બની શકે છે. જેઓ વસ્ત્ર અને પાત્રના મોહમાં જ પડ્યા છે, તે આ માટે આ પરીષહને જીતવાનું તો દૂર રહ્યું, પણ આ વિષયમાં અનંતજ્ઞાનિઓની આજ્ઞાનું સામાન્ય પાલન પણ અશક્ય જેવું બની જાય છે. સુંદર વસ્ત્રાદિના સંગ્રહમાં આનંદ માનનારા મુનિઓ, પ્રભુ-આજ્ઞાના વિરાધક બનીને, પોતાના પાંચમા મહાવ્રતનો પણ ભંગ કરનારા બને છે. મુનિઓને માટે સુંદર વસ્ત્ર આદિનો સંગ્રહ કરનારા બનવું, એ ખરાબ જ છે : આમ છતાં પણ જેઓ એથી બચી શકતા ન હોય, તેઓ ય જો હૃદયથી બળતા રહેતા હોય, “આ પોતે ખોટું કરી રહ્યા છે.' એવું હદયથી માનતા રહેતા હોય અને પોતાની પામર લાલસાને માટે પોતાને ધિક્કાર્યા કરતા હોય, તો વાત જુદી છે : બાકી તો તેઓ મિથ્યાત્વના જ સ્વામી બની જાય છે. પ્રભુશાસનના મનિપણાની પ્રાપ્તિ પછી વસ-પાત્ર આદિ ઉપર મમતા, એ તો ખરે જ કારમી મનોદશા ગણાય, એવી દશાવાળાઓ, રસલપટોની માફક, પ્રભુ માર્ગની આરાધના માટે પોતાની જાતને નાલાયક જેવી જ બનાવી દેનારા છે. પ્રભુશાસન જેવા શાસનન પામીને પણ, આવી દશાથી બચવા માટેનો પ્રયત્ન નહિ કરવો, એ તો ઇરાદાપૂર્વક આત્માનું અનંત પરિભ્રમણ વધારવાનો ધંધો છે. અનંત પરિભ્રમણથી બચવા ઇચ્છનારા ભાગ્યવાન મુનિઓએ અનંતજ્ઞાનિઓની આજ્ઞા મુજબનાં જ વસ્ત્રાદિ ઉપકરણો રાખી, એની જીર્ણાવસ્થામાં દીન બનવું જોઇએ નહિ : બીજાં મેળવવાની ઇચ્છામાં પડી દુર્ગાનના ઉપાસક બનવું જોઇએ નહિ. આ રીતિએ વર્તતાં થકાં “અચેલ-પરીષહ ના વિજેતા બનવા માટેનો જ પ્રયત્ન કર્યા કરવો એ હિતાવહ છે. સાતમો અરતિ-પરીષદ
આજ્ઞા મુજબ વસ્ત્રોને રાખતા અને પરીષહના વિજ્ય માટે સજ્જ રહેતા મુનિઓ વસ્ત્રધારી છતાં અચેલ એટલે વસ્ત્ર વિનાના જ ગણાય છે. એવા મહર્ષિઓ જ અપ્રતિબદ્ધ, એટલે કે-કોઇ પણ ક્ષેત્ર આદિના રાગમાં બદ્ધ થયા વિના, પ્રભુની આજ્ઞા મુજબના મુનિમાર્ગમાં વિહરતા ગણાય છે. એવા મહર્ષિઓને શીતાદિ દ્વારા અરતિ થવાની સંભાવના છે, માટે ‘અરતિ પરીષહ નામે સાતમો પરીષહ આવે છે. મોહનીય કર્મનો પ્રભાવ ગજબ છે. એના પ્રતાપે, ગ્રામાનુગ્રામ અપ્રતિબદ્ધપણે વિહરતા અપરિગ્રહી
Page 177 of 325