________________
તેઓ, પાપથી નિર્ભય બન્યા અને અનેક આરંભજનક વ્યાપારો કરવાને પણ તૈયાર થયા. અતિશય ધનતૃષ્ણાને આધીન બનેલા તેઓ હવે ભયંકર પાપવ્યાપારોને કરવા લાગ્યા. કપાસ અને તેલ આદિની ભાંડશાલાઓ એટલે કે વખારો પણ તેઓએ કરી, ખેતીને પણ તેઓ કરાવવા લાગ્યા અને શેલડીનાં ક્ષેત્રો કરાવવાને પણ તેઓ ચૂક્યા નહિ. વળી તેઓ ત્રસ જીવોથી ભરેલા તલોને પણ પીલાવા લાગ્યા અને ગુલિકા આદિના પણ વ્યાપારો કરાવવા લાગ્યા. આ રીતિએ તેઓ પોતાની તૃષ્ણાના જોરે અનેક પ્રકારના પાપવ્યાપારોને કરે છે. એવા અનેક પ્રકારના પાપવ્યાપારો દ્વારા, પૂર્વનું પુણ્ય હોવાને લઇને, તેઓ પાસે પાંચ હજાર સોનૈયા થયા. ભયંકર ભયંકર પાપોને આચરીને તેઓએ ત્રણ હજાર સોનૈયા વધાર્યા અને પૂણ્યની મુડી વટાવી. પુણ્ય ખોયું અને ભયંકર પાપોની ખરીદી કરી. સંસારની પ્રવૃત્તિઓ મોટે ભાગે આવી હોય છે. લાભથી લોભની વૃદ્ધિ :
લોભનો સ્વભાવ લાભથી વધવાનો છે, પણ ઘટવાનો નથી. લોભ અને પરિગ્રહનો અભિલાષ, એ જો લાભથી શમતા હોત, તો જગતની આવી કરૂણ દશાનું દર્શન ન થતું હોત : પણ એ બે તો જેમ જેમ લાભ થાય, તેમ તેમ પ્રાયઃ વૃદ્ધિ જ પામતા જનારા હોય છે. લાભથી વૃદ્ધિ પામનારા એ બે જણા, લોભ અને પરિગ્રહાભિલાષની ગાઢ મૈત્રીના પ્રતાપે, બે હજારથી પાંચ હજારને પામેલા બન્યા તો પણ, સંતોષને પામી શક્યા નહિ. પાંચ હજાર સોનૈયાની મુડી થતાં, તેઓના હૈયામાં દસ હજાર સોનૈયા મેળવવાની ઇચ્છા જન્મી. ભયંકર પાપોના સેવનથી તેઓને દશ હજાર સોનૈયા પણ મલ્યા. તે પછી ક્રમસર દશ હજારમાંથી વીસ હજારની, વીસ હજાર મલ્યા પછી ત્રીસ હજારની, ત્રીસ હજાર મલ્યા પછી ચાલીસ હજારની, ચાલીસ હજાર મલ્યા પછી પચાસ હજારની, પચાસ હજાર મલ્યા પછી સાઠ હજારની, સાઠ હજાર મલ્યા પછી સીત્તેર હજારની, સીત્તેર હજાર મલ્યા પછી એંસી હજારની, એંસી હજાર મલ્યા પછી નેવું હજારની અને અનેકાનેક પાપોના આસેવનથી તે પણ મલ્યા પછી, લાખ સોનૈયા મેળવવાની ઇચ્છા પણ તેઓના હૈયામાં જન્મી. પાપારંભોથી તેઓની તે ઇચ્છા પણ, પૂર્વના પુણ્યના પ્રતાપે, પૂર્ણ થઇ એટલે કે-એક લાખ સોનૈયાના પણ તેઓ સ્વામી થયા. કોડ સોનૈયા મળવા છતાં તૃષ્ણા ન શમી :
આમ લાભથી તેઓનો લોભ વધતો જ ગયો. પુણ્યની મહેરબાનીથી જેમ જેમ લાભ મળતો ગયો, તેમ તેમ મિત્ર બની બેઠેલા લોભ અને પરિગ્રહાભિલાષ પણ પુષ્ટ થતા ગયા. પુષ્ટ થયેલા એ બે પાપ-મિત્રોના પ્રભાવથી, તેઓની ઇચ્છા વૃદ્ધિ જ પામતી થઇ અને અંતે તેઓને એક ક્રોડ સોનૈયા પૂર્ણ કરવાની ઇચ્છા થઇ. આ ઇચ્છાને પૂર્ણ કરવાના હેતુથી, તેઆએ ઘોર પાપોનું આચરણ આવ્યું. ક્રોડ સોનૈયાની પ્રાપ્તિના હેતુથી તેઓએ મોટાં મોટાં ગાડાંઓના સમુદાયોને વિવિધ દેશાંતરોમાં મોકલ્યા, સાગરમાં ઝહાજો વહેતાં મૂક્યાં, ઉંટોની મંડલિઓ ઘુમાવવા માંડી, રાજકુલમાંથી પટ્ટે અનેક શુક્લસ્થાનો ગ્રહણ કર્યા, ઘણી ગણિકાઓને રાખીને કુટણખાનાં શરૂ કર્યા અને ઘોડા આદિની હેડો બાંધી. આવાં અનકવિધ પાપાચરણોને તેઓએ આચર્યા એવાં ક્રોડો પાપોથી તેઓની પાસે પૂર્વના પુણ્યોદયથી એક ક્રોડ સોનૈયા પણ પૂર્ણ થયા. બે હજાર સોનૈયાથી વધતાં
Page 177 of 197