________________
ઈત્યાદિ વાદચર્ચા ત્યાં નિર્યુક્તિમાં નથી. પરંતુ પ્રસંગ જોઈને તે નિર્યુક્તિનું વિવેચન કરનારા શ્રી જિનભદ્રગણિજીએ વિશેષાવશ્યક ભાષ્યમાં ગાથા નં. ૧૫૪૯ થી ૨૦૨૪ સુધીમાં કુલ ગાથા ૪૭૬ માં આ વાદ ઘણા જ વિસ્તારથી આલેખ્યો છે. તેને જ “ગણધરવાદ” કહેવાય છે. ગણધરવાદનો સૌથી વધારે વિસ્તાર આ વિશેષાવશ્યકભાષ્યમાં જ છે. તેના ઉપરથી કલ્પસૂત્રની વિનયવિજયજી રચિત ટીકામાં ઘણો સંક્ષિપ્ત ગણધરવાદ છે. જે ભાદરવા સુદ બીજના દિવસે બપોરના વ્યાખ્યાનમાં વંચાય છે. શ્રી વિશેષાવશ્યકભાષ્ય ઉપર ટીકા -
શ્રી વિશેષાવશ્યકભાષ્ય ઉપર ગ્રન્થકર્તા શ્રી જિનભદ્રગણિજીની પોતાની જ રચેલી સ્વોપણ ટીકા, કોટ્યાચાર્યજીની ટીકા અને શ્રી માલધારી હેમચંદ્રાચાર્યજીની રચેલી ટીકા વગેરે ઘણું સાહિત્ય રચાયેલું છે. પ્રથમની બન્ને ટીકા સંક્ષિપ્ત અને કંઈક કઠીન છે. જ્યારે મલધારીજીની ટીકા વિસ્તૃત, સરળ અને સુખબોધ છે. આ ટીકાની રચના થતાં પ્રથમની બે ટીકાઓ પઠન-પાઠનનો અવિષય બની ગઈ. મલધારીજીની ટીકા ૨૮૦૦૦ શ્લોક પ્રમાણ છે. વિશેષાવશ્યકના સર્વ વિષયોને સરળ રીતે ન્યાયયુક્ત ભાષામાં વિસ્તૃતપણે રજુ કરનારી આ ટીકા છે. તેમાં જ આ ગણધરવાદ સારી રીતે ચલો છે. આ રીતે આ ગણધરવાદના વિષયને નીચેના ચાર ગ્રન્થો સાથે પૂર્વાપર સંબંધ છે.
(૧) શ્રી ગણધરભગવંત રચિત - આવશ્યકસૂત્ર (૨) શ્રી ભદ્રબાહુસ્વામીજી રચિત - આવશ્યક નિર્યુક્તિ (૩) શ્રી જિનભદ્રગણિજી રચિત - વિશેષાવશ્યકભાષ્ય
(૪) મલધારી શ્રી હેમચંદ્રાચાર્ય રચિત - સંસ્કૃત ટીકા ગણધરોના નામ તથા સંદેહ :
ભગવાન શ્રી મહાવીર પ્રભુના ૧૧ ગણધર થયા, તે પ્રત્યેકના મનમાં એક એક વિષયનો સંદેહ હતો. સર્વજ્ઞપણાના માનને કારણે તેઓ કોઈ કોઈને પુછતા જ નહીં. ભગવાનને જિતવાની બુદ્ધિથી આવ્યા, પરંતુ પરમાત્માની અમૃત તુલ્ય વાણીના કારણે તથા પોતાની કલ્યાણપ્રાપ્તિની નિયતિ પાકી ગઈ હોવાથી તત્ત્વ સમજ્યા, પરમાત્મા પાસે દીક્ષા લીધી. ગણધર પદે તેઓની સ્થાપના થઈ અને તેઓએ દ્વાદશાંગીની રચના કરી. જેમાંના ૧૧ અંગો આજે પણ ઉપલબ્ધ છે.
(૧) પહેલા ગણધર ઈન્દ્રભૂતિ, જીવ છે કે નહીં? તે સંદેહ (૨) બીજા અગ્નિભૂતિ, કર્મ છે કે નહીં ? તે સંદેહ (૩) ત્રીજા વાયુભૂતિ, શરીર અને જીવ એક જ છે કે ભિન્ન છે ? તે સંદેહ