________________
(૧૩)
નિત્ય આત્મા, બૌદ્ધદર્શનની દૃષ્ટિએ ક્ષણિક આત્મા, મીમાંસક અને વેદાન્તદર્શનની દૃષ્ટિએ એકાત્મવાદ અર્થાત્ અદ્વૈતાત્મવાદની વાત રજુ કરીને તે સર્વે માન્યતાઓનું ખંડન કરવાપૂર્વક તેની સામે આત્માસંબંધી યથાર્થ વાત રજુ કરવામાં આવી છે. આત્મા એક સ્વતંત્ર દ્રવ્ય છે. ચૈતન્યગુણવાળું છે. અનંત આત્માઓ છે. તે સર્વે નિત્યાનિત્ય છે. દેહમાત્ર વ્યાપી છે. પરલોકગામી છે. વર્ણાદિ પૌદ્ગલિક ગુણોથી રહિત છે. અર્થાત્ અરૂપી છે માટે જતુંઆવતું તે દ્રવ્ય દેખાતું નથી. ન દેખાતું એવું પણ તે દ્રવ્ય નથી એમ નહીં, પણ છે જ. આવી વાતો તર્ક અને ઉદાહરણપૂર્વક આ વાદમાં સમજાવવામાં આવી છે. વેદના પાઠોના સાચા અર્થ કરીને પણ આત્મતત્ત્વની સ્વતંત્રરૂપે સિદ્ધિ કરેલી છે.
(૨) બીજા ગણધરવાદમાં “કર્મતત્ત્વ”ની ચર્ચા કરવામાં આવી છે. જગતમાં પ્રત્યક્ષ દેખાતી ચિત્ર-વિચિત્રતાનું કોઈક કારણ હોવું જોઈએ. તે કારણને જ “કર્મ” કહેવાય છે. આ વિષયમાં ન્યાય-વૈશેષિક દર્શનકારો “ધર્મ-અધર્મ” નામના આત્મગુણોને લીધે આ વિચિત્રતા છે એમ સમજે-સમજાવે છે. વેદાન્તદર્શન અને ઉપનિષદો અદૃષ્ટ નામનું કારણ જણાવે છે. કોઈક દર્શનકારો ભાગ્ય-નસીબ-અવિદ્યા વગેરે નામો આપીને વિચિત્રતાનું તેને કારણ માને છે. જૈનદર્શનમાં “કાર્પણ વર્ગણા” નામના સૂક્ષ્મ પુદ્ગલ દ્રવ્યોનું જ જીવ વડે કર્મરૂપે રૂપાન્તર કરીને જીવની સાથે લોહાગ્નિની જેમ એકમેકરૂપે સંબંધિત (બદ્ધ) કરવામાં આવે છે. જેમ જીવ વડે જ લોટની બનાવેલી મીઠાઈ સુખનું કારણ બને છે. વિષરૂપે બનાવેલી દવા મૃત્યુનું કારણ બને છે. એમ જીવ વડે જ કાષાયિક પરિણામથી તીવ્ર-મંદ ભાવે બંધાયેલું પુણ્ય-પાપાત્મક કર્મ જ જીવના સુખ-દુઃખનું નિમિત્તકારણ બને છે. તે કર્મવાદ ઉપર જુના-નવા કર્મગ્રંથો, કમ્મપડિ અને પંચસંગ્રહાદિ અનેક ગ્રંથો છે. દિગંબરાસ્નાયમાં પણ જીવકાણ્ડ અને કર્મકાણ્ડ રૂપે ગોમ્મટસારાદિ અનેક ગ્રંથો છે.
ઘણા દર્શનકારો બાહ્ય પૂજા-પાઠાદિ પુણ્યાનુષ્ઠાનોને અને હિંસા-જૂઠ આદિ પાપ અનુષ્ઠાનોને જ સુખ-દુઃખનું કારણ માની લે છે. અંતરંગ કારણ સુધી ઊંડા જતા નથી અને તેથી જ હોમ-હવન આદિ પૂજાનુષ્ઠાનોને જ સ્વર્ગાદિનો હેતુ માની લે છે. જીવસૃષ્ટિના વૈવિધ્યના અભ્યાસમાં કર્મને કારણ માનવાને બદલે કોઈ કોઈ દર્શનકારો કાલને જ, સ્વભાવને જ, નિયતિને જ અને ઈશ્વરાત્મક પુરુષને જ કારણ માનવા તરફ પ્રેરાઈ જાય છે. તેમાંથી જે તરફનો એકાન્ત પક્ષ મનમાં બેસી જાય છે તેમાંથી જ કાલવાદ, સ્વભાવવાદ, નિયતિવાદ અને પુરુષવાદના એકાન્તવાદનો પ્રાદુર્ભાવ થાય છે. જૈનદર્શન આ બધા જ એકાન્તવાદનું ખંડન કરીને સાપેક્ષપણે બધાંની કારણતા સમજાવે છે. હાથમાં રહેલી પાંચે આંગળીઓ સાથે મળે તો જ કોઈ વસ્તુ ઉંચકવાનું કામ જેમ થાય છે તેમ આ પાંચેની કારણતા સાપેક્ષતાપૂર્વકની છે આમ સમજાવે છે.