________________
સમાધિમરણ કરેલ ઉત્તમ મહાપુરુષોના દ્રષ્ટાંતો
૪૩
સાડા સાત વાગ્યે જે બિછાનામાં પોઢ્યા હતા, તેમાંથી એક કૉચ ઉપર ફેરવવા મને આજ્ઞા કરી. મને લાગ્યું કે અશક્તિ ઘણી જણાય છે માટે ફેરફાર ન કરવો, ત્યારે તેઓશ્રીએ આજ્ઞા કરી કે ત્વરાથી ફેરફાર કર, એટલે મેં સમાધિસ્થ ભાવે સૂઈ શકાય એવી કૉચ ઉપર વ્યવસ્થા કરી, જે ઉપર તે પવિત્ર દેહ અને આત્મા સમાધિસ્થ ભાવે છૂટા પડ્યાં; લેશ માત્ર આત્મા છૂટો થયાનાં ચિહ્ન ન જણાયાં. જેમ જેમ પ્રાણ ઓછા થવા લાગ્યા તેમ તેમ મુખમુદ્રાની કાંતિ વિશેષપણે પ્રકાશ પામવા લાગી.”
કૉચ ઉપર પાંચ કલાક સમાધિમાં રહ્યાં. “વઢવાણ કેમ્પમાં જે સ્થિતિમાં ઊભાં ઊભાં ચિત્રપટ પડાવેલ તે જ સ્થિતિમાં કૉચ ઉપર સમાધિ પાંચ કલાક રહી. લઘુશંકા, દીર્ઘશંકા, મોઢે પાણી કે આંખે પાણી કે પરસેવો કંઈ પણ પોણા આઠથી બે વાગ્યા સુધી પ્રાણ છૂટા પડ્યા તોપણ કશું જણાયું નહોતું. એક કલાકે દૂધ પીધા પછી હમેશાં દિશાએ જવું પડતું તેને બદલે આજે કાંઈ પણ નહીં. જેવી રીતે યંત્રને ચાવી દઈ આધીન કરી લેવામાં આવે તે રીતે કરેલ. આવા સમાધિસ્વભાવે તે પવિત્ર આત્મા અને દેહનો સંબંધ છૂટ્યો. પાંચ-છ દિવસ અગાઉ તેઓશ્રીએ કેટલાંક પદ લખાવેલાં તે પૂ. ધારશીભાઈ અને નવલચંદભાઈની પાસે છે. પોતે તદ્દન વીતરાગ ભાવે પ્રવૃત્તિ કરેલી એટલે કોઈ પણ પ્રકારે તેઓશ્રીએ પોતાનું માની પ્રવૃત્તિ કરેલી નહીં, ઉદાસીનપણું જ યોગ્ય ધાર્યું હતું. હવે આપણે કોનું અવલંબન રહ્યું? માત્ર તેઓશ્રીનાં વચનામૃતોનું અને તેમના સદ્વર્તનનું અનુકરણ કરવું એ જ મહાન અવલંબન હું માનું છું.” (જીવનકળા પૃ.૨૬૭)