________________
૧૪૧
૧૪૨
- પ્રાચીન તીરથ સાથે જોડાતી લોકવાયકાઓ ઘણી હોય છે. ચમત્કાર, પરચો, મહિમા અને પ્રભાવ. અધિષ્ઠાયક દેવો ભગવાનની સેવામાં હોય છે એ નક્કી વાત છે. આપણે ભગવાન દ્વારા અધિષ્ઠાયકદેવો સુધી પહોંચવાનો વિચાર કરીએ છીએ. સ્વાર્થભાવ આવી જાય છે ભક્તિમાં. જો અને તો. જો માટેની શરતો જળવાય છે એટલે પછી તો તરીકે વધુ ભક્તિ થતી રહે છે. ભગવાન સાથેનું સાક્ષાત્ સંધાન નથી થતું.
એક જ પાષાણમાંથી ઘડાયેલા ચૌમુખજી બિરાજે છે. તે પણ અતિશય પ્રાચીન છે. આસપાસનો વિશાળ ભૂખંડ તીરથની માલિકીનો છે. તેમાંથી ખોદકામ દરમ્યાન ઢગલાબંધ અવશેષો નીકળે છે. મૂર્તિઓ તો હજારથી વધુ નીકળી છે. જે મોટાં શહેરોનાં સંગ્રહાલયમાં જમા થઈ છે. એક દેવી મંદિર હતું તે જૈનેતરોએ પોતાના કબજે કરી લીધું.
શરૂઆતના વરસોમાં ધર્મશાળા સાવ નાની, વિસ્તાર પૂરો જંગલવાળો. યાત્રિક આવે ને સાંજ થઈ હોય તો રેલ્વેસ્ટેશન જ રોકાઈ જાય. સાંજ ઢળતાની સાથે જ વન્ય પશુઓ સહેલગાહે નીકળતા. રસ્તા રખડી પડતા. જિનાલયનાં ચોગાનમાં આવીને સિંહરાજા આરામ ફરમાવતા. મંદિરનું વાતાવરણ રાતના સમયે અગમ્ય બની જતું. પૂજારી પણ કેદમાં બેસી જતા. અંધારી સૃષ્ટિના વનેચરો અહીં ઉમટી પડતાં. કોઈને હેરાન કર્યા હોય તેવું તો બન્યું નથી પણ માહોલ હોનહાર રહેતો. ઉદ્યોગીકરણના ચક્કરમાં જંગલો કપાયાં. નવાં રહેઠાણો બંધાયાં. ધીમે ધીમે એ પ્રાણીઓ દેખાતા બંધ થયાં.
આજે ઘણી ધર્મશાળાઓ છે. બહાર આખું ગામ અને બજાર વસ્યું છે. તીરથની જમીનમાં કેવળ ઝાંખરાં બચ્યાં છે. હા, અવારનાવર નાગ, સાપ નીકળે છે. દરેક વખતે નવી જ જાતના દેખાવ હોય છે. હમણાં પોષ પૂર્ણિમાના દિવસે જ અજગરનું બચ્ચું નીકળ્યું હતું. એની લાંબી, કાળી જીભ અને એનો ફૂત્કાર ભયાવહ, થોડી વખત પહેલાં એક ભાઈને દસ ફૂટ લાંબી કાંચળી મળી હતી. એક વખત તો રાતે ભાવનામાં જાદુ થયો. ગાવાવાળો અને વગાડવાવાળો બે જ જણ. બેય અંધ. મસ્તીથી સ્તવન ચાલતું હતું. ગવૈયાની બરોબર બાજુમાં એક નાગ ફણો કાઢીને બેઠો. સ્તવનો સાંભળતો હોય તેવી અદા. લોકોની ભીડ થઈ એટલે ચાલી નીકળ્યો. અહીં ભુજંગમ દેખાય છે તે અચૂક પકડાય છે. તે કોઈને કરડતા નથી. એમને જંગલમાં છોડી દેવાય છે. કામ કરનારા કહે છે : યે તો ઉનકી હી ભૂમિ હૈ, કુછ નહીં કરતે.
ભગવાનનાં મંદિરમાં અડધી રાત્રે વાજીંત્રનાદ થતો હોય તેવું ઘણાએ અનુભવ્યું છે. નિયમિત દર્શને આવનારા એમ કહે છે કે ભગવાન દિવસમાં ત્રણ રૂપે દેખાય છે. સવારે અલગ, બપોરે અલગ, સાંજે સાવ અલગ,
ત્રણ હજાર વરસ જૂનાં અતીતને નિહાળી ચૂકેલી મૂર્તિને જોઈને તો સાક્ષાતુ પાર્શ્વપ્રભુ જ યાદ આવવા જોઈએ. પ્રભુના હાથે આ પ્રતિમાની પ્રતિષ્ઠા થઈ હોય તેવું ન બને ? પ્રભુના ગણધરોએ આ પ્રતિમાજી પર વાસક્ષેપ નાંખ્યો હોય, પ્રભુની સમવસરણપર્ષદાના ઇન્દ્રમહારાજા આ પ્રતિમાજીની પૂજા કરવા આવ્યા હોય, આ પ્રતિમાજીનાં આલંબને મહાત્માઓએ ક્ષપકશ્રેણિ સાધી હોય, હજારો-લાખો ભક્તોએ એકી સાથે સ્નાત્ર મહોત્સવ ઉજવીને અલૌકિક દર્શન શુદ્ધિ મેળવી હોય અને પ્રભુમૂર્તિ આ જ મનોહર સ્મિતમુદ્રાથી નિહાળતી હોય એ સંપૂર્ણ જગતને. આજે પ્રભુ આપણને એવા જ વત્સલભાવે નિહાળે છે. આપણે જોવી પડે છે તે દુનિયાની ફરિયાદો પ્રભુ સામે કરવા બેસીએ છીએ એમાં થાય છે શું ? પ્રભુ જે દુનિયા જોઈ ચૂક્યા છે તે યાદ જ નથી આવતી. ત્રણ હજાર વરસથી પ્રભુ પાસે ભક્તો આવતા રહ્યા છે. એ પુરાતન ભક્તોની સરખામણીમાં ભગવાન આગળ આપણે કોઈ જ સ્થાન નથી. આપણે તો પ્રભુનાં ચરણની ધૂળ થવાને લાયક નથી. પ્રભુને શિરે પર લેવા સત્ત્વ જોઈએ. આપણા તો પગ જ માટીના છે. કેસરિયા દાદાની જીવંત આંખોમાંથી ઝરતો પ્રેમભાવ રહસ્યમય રીતે આપણને આવકારે છે કેમ કે ભગવાનને આપણે ભલે ન ઓળખીએ, ભગવાન આપણને જરૂર ઓળખે છે.
આ સ્વપ્નદેવનાં દર્શન કરવા બિહાર જેવા દૂરદેશાંતરથી લોકો આવે છે. આસ્થાળુઓ તો દર મહિને અને દર વરસે આવવાના સંકલ્પ લઈને જ પાછા જાય છે. પ્રભુનું મધુરમંગલ સ્મિત દરેક વખતે પ્રત્યુત્તર અને પ્રેરણા આપે છે. એમાંથી આશ્વાસન અને આહ્વાન અવશ્ય સાંપડે છે. જેણે એની ભાષા ઉકેલી તે જંગ જીત્યો.