________________
૧૦૭
૧૦૮
સુધરવાનો જ નહીં.
સ્મશાનનો વૈરાગ્ય વગોવાયેલો છે કેમ કે તે ભૂંસાઈ જાય છે છતાં એને ભૂંસાતા વાર લાગે છે. જો એ ભૂંસાતો ન હોત તો દુનિયામાં જેટલા અગ્નિદાહ થાય છે તેટલા જ વૈરાગીઓ નીકળી પડત, પહેલી વાત, મડદું બળતું જોવું એ જેવી તેવી વાત નથી. બળતું મડદુ એ જીવતું મોત હોય છે, ભડકદાર. પાણી ઉકાળવાના ભઠ્ઠામાં લાકડું નાંખીએ તે આગને લીધે તડતડ થાય તે જ રીતે એક શરીરના અંગેઅંગ તડતડ થતા હોય છે, સ્મશાનમાં. એક સાથે બે ચિતા જલતી હતી. બીજી જરા દૂર હતી. ગંગાનાં પાણી સ્તબ્ધ ભાવે વહી જતાં હતાં. કાંઠે નાવ લાંગરી હતી તેમાં લાકડાનો ગંજ હતો. ઘાટના ઊંચા ચોતરા પર પણ લાકડાનું ખુલ્લું ગોદામ હતું. પાછળ દુકાનમાં સફેદ કાપડ ને ચૂંદડી મળતાં હતાં. ધુમાડાની વિચિત્ર વાસમાં સન્નાટો ભળી જતો હતો. આ ઘાટને જલતી ચિતાનું વરદાન મળેલું છે તેમ કહેવાય છે. અહીં બારેય મહિનાના ચોવીસ કલાક ચિતા બળતી જ હોય છે. લાકડાં અને મડદાં બદલાય છે. આગ અને ધુમાડા નથી બદલાતા. કમઠે આ ઘાટ પર પંચાગ્નિ તપ આદર્યું હતું, ત્યારે પાર્શ્વપ્રભુએ પધારીને બળતા નાગને ઉગાર્યો હતો તેવી નોંધ વિવિધ તીર્થકલ્પમાં છે. આજે અહીં ઠરી ગયેલાં શરીરો સર્વાગ્નિ તપમાં ગરક થઈ જાય છે. ગંગામાં રાખ ઠલવાતી જાય છે. ક્યારેક અડધાં બળેલાં શરીર તરતાં દેખાય છે. કોઈ એને અડતું નથી. મૃત્યુ પછી શરીર અસ્પૃશ્ય બની જાય છે. અલબત્ત, મૃત્યુ પછી શરીર માટે કશું જ અસ્પૃશ્ય રહેતું નથી. ચિતાની આગ તેનો પુરાવો.
ચૈત્ર સુદ એકાદશી : બનારસ અને બનારસનાં પુસ્તકસંસ્થાનો. એમનું મૂક આહ્વાન ઝીલવાની તાકાત નહોતી. એક પણ અક્ષર બોલ્યા વિના એ પરાજય આપતાં હતાં. લખવા-વાંચવાનો બધો ફાંકો ઉતરી ગયો. ઘણું ભણવાનું બાકી છે તે સમજાતું હતું તો લખવાની દિશામાં ઘણું શીખવાનું અને પામવાનું રહે છે તે કબૂલ કરવું જ પડ્યું હતું. અત્યાર સુધીમાં કશું જ વાંચ્યું નથી તેમ લાગી આવતું હતું. મૂળ મેઘદૂતખ્તર ભાષામાં અનુવાદ સાથે છપાયું હતું. એક જ ગ્રંથમાં, સચિત્ર. એમાંથી ત્રણચાર ભાષા માંડ આવડતી હતી. બાકીની ભાષામાં ભોંઠ હોવાનું વસમું લાગતું હતું. કુતકનું વક્રોક્તિજીવિત હાથમાં લીધું તો એના અક્ષરો જ
ઉકલ્યા નહીં. ભારતીય લિપિ હતી તોય તે ન આવડી એ તો તમાચો વાગવાની અનુભૂતિ હતી. તંત્રવિદ્યાનો એક ગ્રંથ હતો તેમાં સેંકડો મુદ્રાઓનાં ચિત્ર હતા, મસાણિયા અગમનિગમનું આટલું ઊંડાણ ? જોકે, વાંચવાની હિંમત ન ચાલી. સંગીતશાસ્ત્રની અલમારી ભરી હતી, એક પણ સૂર સદતો ન હતો. નૃત્યશાસ્ત્ર દળદાર ગ્રંથોમાં ફેલાયું હતું, વાંચવા છતાં એ સમજાવાનું નહોતું. તબિયત બગડે તો આયુર્વેદના ગ્રંથો હતા, સદ્ભાગ્યે છીંકથી આગળ ગડબડ ના થઈ. આર્યાવર્તનો ઇતિહાસ મોટા ચોપડામાં સમાયો હતો, ભારતનો ઇતિહાસ તો ઢગલાબંધ પુસ્તકોમાં. ઊંડી શોધખોળ કરવાની તાકાત છે ? સંશોધકો અને ઇતિહાસકારોનાં નામો વંચાતાં. રામાયણ-મહાભારતનાં અગણિત સંપાદનો. આસ્તિકતા અને આર્યધર્મને વહેતો રાખનારા આ કથાનકો લાખોના હિસાબે વેચાતાં હતાં. સાંખ્ય અને યોગ, બૌદ્ધ અને વૈદિક દર્શન, વ્યાકરણ અને શબ્દકોશ, ન્યાયશાસ્ત્ર અને વૈશેષિક સૂત્રો, સૂચી લાંબી હતી. હારીને જમીનદોસ્ત થઈ જવાતું હતું. આટલા ગ્રંથો સાંગોપાંગ અભ્યસ્ત કરવાનું ક્યાં શક્ય હતું હવે ? કવિતા ઠપકારવી સહેલી છે. ચારેબાજુથી ભેગું કરીને એના ઉતારા કરવા સરળ છે, શબ્દબ્રહ્મનો પરમાર્થ પામવો મુશ્કેલ છે. અર્થબદ્ધ રજૂઆતના નિષ્ણાત થવું અઘરું છે. એવી રજૂઆત સમજવાનું જ અઘરું છે તો એ રજૂઆત કરવાની વાત શી કરવી ? પદાર્થનું અવગાહન અને શૈલીની ઓળખની સાથે અનુય્ત સકલતત્વનો સારબોધ ખૂબ ઊંચી વાત છે. સંસ્કૃત ભાષાનું એક વિશેષ સ્તર છે. તે વ્યાકરણની પરિભાષા કે દર્શનશાસ્ત્રની ફઝિકાઓ સાથે ઉકેલવાની હોય તો માથાના વાળ ઉખડી જાય, બચે તો એ ધોળા થઈ જાય. આ બ્રાહ્મણો એટલે જ મુંડન કરાવતા હશે. વાળની તબિયત તો ન બગડે.
મુનશીની પૃથિવીવલ્લભનું સંસ્કૃતનાટ્યમાં રૂપાંતર હતું. સંસ્કૃતના અનુવાદ ગુજરાતીમાં થાય છે ત્યારે સંસ્કૃતનો પ્રાણ ઉડી જાય છે તેમ ગુજરાતીનો અનુવાદ સંસ્કૃતમાં થયો તેને લીધે ગુજરાતીનું તેજ ઓઝપાઈ ગયું હતું એમાં. ભાષા માત્રની મૌલિક તાકાત હોય છે. એક દુર્લભ ગ્રંથ-ભારતીય પ્રાચીન લિપિમાળા-નવમુદ્રિત રૂપે મળ્યો. લોહી સૂકવી દેતો પરિશ્રમ કરનારા વિદ્યાસાધકો આજે કેટલા ? બૌદ્ધ વ્યાખ્યાનનું એક પુસ્તક હતું એના મુખપૃષ્ઠ પર, આપણી પરમેષ્ઠીમુદ્રાનું ચિત્ર હતું, બંને અંગૂઠા કનિષ્કા સાથે જોડાયેલા.