________________
૧૧૦
બનારસના ગંગાકાંઠે સૂર્યોદય લાંબો ચાલે છે. સૂરજે ગંગામાં પોતાનું મોટું જોયું. પછી ઉપર ઉપડ્યો. પ્રતિબિંબની એક લાંબી તેજરેખા પાણી પર પથરાઈ. પાણી સાથે લકીરો હાલતી હતી.
૧૦૯ બંને અનામિકા તર્જની સાથે સંયુક્ત. બંને મધ્યમાં એકબીજાના ખભે ટેકો લઈને ઉન્નત.
- પ્રશ્નપુસ્તકો ઘણાં હતાં. સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં એની જ ખપત રહે છે. મયૂખ ટીકાઓનો જયજયકાર છે. વિદ્યાર્થીઓની માંગ ઊંચી પણ ખરી. એક છોકરડો આવ્યો હતો, કહે : શિવરાજવિજય ચાહિયે, દો ઉચ્છવાસ તક. આધુનિક સંસ્કૃત ભાષાનો આ દિગ્ગજ ઉજાસ ધૂમ વેચાય છે. સંસ્કૃત ભાષા અહીં શાનથી જીવે છે. નવા ગ્રંથો રચાય છે, વેચાય છે. પ્રાચીન શાસ્ત્રો પ્રકાશિત થતાં જ રહે છે. છેલ્લે, જ્યોતિષ શાસ્ત્રના ગ્રંથો જોયા. મનના નવેય ગ્રહ ઉચ્ચના થઈ ગયા. અબોધ હોવાની સાડાસાતી ઉતરવાની નથી તે સમજાઈ ગયું. આ ખજાનો આમ ઊભા ઊભા ઉલેચાય તેવો નહોતો. એ માટે તો ધામા નાંખવા પડે.
બનારસમાં દુનિયાભરમાંથી વિદ્યાર્થીઓ ભણવા આવે છે. સંસ્કૃત વિદ્યાની તમામ શાખાઓ ભણાવનારા પંડિતો અહીં છે. સંસ્કૃત વિશ્વવિદ્યાલયોનો સંપૂર્ણ વહેવાર સંસ્કૃતમાં ચાલે છે. વિદ્યાર્થીઓની ચૂંટણીઓ થાય તેનાં પોસ્ટર (વિજ્ઞાપનપત્રમ્) સંસ્કૃતભાષામાં તૈયાર થતાં હોય છે. અહીં વિદ્યાલયોમાં સંશોધનો થાય છે તેમાં ઉંદરો પર પ્રયોગ કરવામાં આવે. ઉંદરરાણા થાકીને બેહોશ થાય કે મરે તે આ વિદ્યાપુરુષોથી સહન ન થયું એટલે એમણે ઉંદરોને શીર્ષાસન શીખવ્યાં. હવે ઉંદરો પૂરી ઝીંક ઝીલે છે. બનારસનું આ ભારતીય વિજ્ઞાન છે. આવાં વિદ્યાલયોના આધારે પુસ્તક સંસ્થાનો અડીખમ ઊભાં છે. એ સંસ્થાઓની મુલાકાત લીધી. નિજી અજ્ઞાનનો બોધ સાંપડ્યો. મચી પડવાનું મન થયું. દર મહિને આટલું વાંચવું એવો સંકલ્પ સુદ્ધાં કર્યો. અલબત્ત, આ સ્મશાનવૈરાગ્ય હતો તે યાદ હતું.
ચૈત્ર સુદ બારસ : બનારસ ભલુપુરથી સીધા રસ્તે ગંગા તરફ નીકળીએ તો પહેલો ઘાટ કેદારઘાટ આવે. જમણા હાથે ઘાટે ઘાટે ચાલ્યા જઈએ તો ખૂબ આગળ જૈન ઘાટ આવે, ભદૈની તીર્થ. વહેલી સવારે ઘાટ પરથી ચાલવાનો અનુભવ વિલક્ષણ હતો. હવા ખુલ્લી હતી. આકાશના લાલ રંગમાં પીળી ઝાંય ભળી હતી. થોડીવારમાં ત્યાં કેસરિયો રંગ ઉઘડી આવ્યો. સૂરજે બહાર આવવામાં ઘણી વાર લગાડી હતી.
નદીમાં નાવો સરકતી હતી. એકએક નાવમાં વિદેશીઓ હતા. શ્રદ્ધા નહીં, કૌતુક હતું એમનામાં. રખડવા નીકળેલા એ લોકો બેફામ હતા. ફોટા ખેંચે, ગાઈડની વાત બેપરવાઈથી સાંભળે. કોઈ એકલું હોય, કોઈ ચાલીસપચાસ હોય. એક નાવ તો ખીચોખીચ હતી, તેની પાછળ બે નાવ ભરીને ખાવાનું એમની માટે તણાઈ આવતું હતું. એ લોકો ખાય, પીએ, ફૂકે, કોઈ મર્યાદા ન પાળે. આ ગંદા લોકો ઘાટ પર કપડાં પટકતા ધોબીની મશ્કરી કરતા હતા. ભારતના, ગરીબ લોકોને એ સૌ તુચ્છકારથી જોઈ લેતા હતા. કિનારે ગંગાસ્નાનમાં ને કપડાં ધોવામાં વ્યસ્ત લોકોને એમની તરફ જોવાની ફુરસદ નહોતી. ધોળિયાઓની ઉપેક્ષા થાય તે કેમ ન ગમે ? કોઈ નાના છોકરા એકલદોકલ પરદેશી સાથે કુતૂહલથી વાત કરતું તે જુદી વાત. બાકી બે ધારા અલગ હતી. નાવમાં બેસેલા ગોરાઓ. કિનારે આમ પ્રજા. એકબીજા સાથે લેવાદેવા ન હોય તેવો નિજી વ્યસ્તભાવ.
રસ્તે હરિશ્ચંદ્ર ઘાટે આવ્યો. ત્યાં પણ સ્મશાન છે. જોકે, મણિકર્ણિકા જેવો દબદબો ન મળે. આખરે જૈન ઘાટ આવ્યો. ઊંચાં પગથિયાં ચડીને ભદૈની તીર્થમાં પ્રવેશ કર્યો. આ દેરાસર નદીથી ૬૦ ફૂટ ઊંચે છે. ચોમાસામાં ગંગા ૪૦ ફૂટ ઉપર આવી જાય છે ત્યારે માત્ર ૨૦ ફૂટની દૂરી રહે છે. ક્યારેક તો તેય ઘટી જાય છે.
પ્રભુના ધામમાં બેઠા પછી ઉઠવાનું મન ન થયું. દુનિયા ભૂલાઈ ગઈ. વાતાવરણ બહાર રહી ગયું. સમયનાં બંધનનો ખ્યાલ ન રહ્યો. ભગવાનની પ્રેમાળ મુદ્રામાં ડૂબી જવાયું. શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનાં ચાર કલ્યાણકની પાવનભૂમિ પર આવવા મળ્યું તેના કૃતાર્થ ભાવે વાચાને રૂંધી. સાક્ષાત્ પ્રભુનાં દર્શન જેવો રોમાંચ અનુભવ્યો.