________________
પ્રાશકીયમ્
પરમ રોમાંચ
સાધુના વિહાર પૃથ્વીતલને પાવન કરે છે. વિહાર દરમ્યાન જે બને છે. તે સમાચાર તરીકે છપાતું હોય છે. સમાચાર અને સાહિત્યમાં ફરક છે. સમાચારમાં જે બન્યું તેનો ઉતારો કરવાનો હોય. સાહિત્યમાં જે અનુભૂતિ થઈ તે આલેખવાની. પ્રસંગો બન્યા તે સમાચારમાં પ્રધાન. પ્રસંગો દરમ્યાન જે સંવેદના અનુભવી તે સાહિત્ય, આત્મપ્રશંસા, સ્વપ્રચાર અને આપવડાઈથી પર રહીને પોતાના અનુભવને શબ્દમાં ઉતારવા જોઈએ. તો જ એ સાહિત્ય બને. ‘સાધુ તો ચલતા ભલા’ અનુભૂતિના ઓવારેથી વહી આવતી ભાવધારાનું પુસ્તક છે.
સૂરિરામના વિદ્વાન શિષ્યરત્નો પ્રવચનકાર બંધુબેલડી પૂ. મુનિરાજશ્રી વૈરાગ્યરતિવિજયજી મ. પૂ. મુનિરાજશ્રી પ્રશમરતિવિજયજી મ. કરાડથી કલકત્તા થઈને પૂર્વદેશની તીર્થયાત્રાએ પધાર્યા તે દરમ્યાન આ પુસ્તક લખાયું છે.
આ તીર્થયાત્રામાં અનુભવચિત્રોની હૃદયંગમ ગાથા છે. એક તરફ તીર્થભક્તિ છે. બીજી તરફ ઊંડી સંવેદના છે, ત્રીજી તરફ વર્તમાન સમય અને ઇતિહાસનું સંધાન છે. આ ત્રિવેણીસંગમમાં સ્નાન કરાવવા આ પુસ્તક આપનાં હાથ સુધી આવ્યું છે. પાવન થવાનું ચૂકશો નહીં.
એ દિવસો યાદ રહેવાના છે. રોજના લાંબા વિહાર હતા. અમે બંને એકલે હાથે પૂરવની જમીન ખૂંદી રહ્યા હતા. કલકત્તામાં ચોમાસું થયું તેની પહેલાં અને પછી અમારા વિહારો આકરા હતા. રહેવાનું અને રોકાવાનું અનિયત. આગતા સ્વાગતાની પ્રતીક્ષા રખાય જ નહીં. તકલીફો ગોઠવણપૂર્વક જ આવે. ચાલતા થાકી જવાય તેવા લાંબા વિહારોમાં એક તસલ્લી મળતી. તીર્થયાત્રા થતી. બધો શ્રમ લેખે લાગી જતો. આ જનમમાં એકી સાથે આટલાં બધાં તીર્થોની યાત્રા થશે તે માની શકાતું નહીં, પરંતુ એ બન્યું. દેવ અને ગુરુની પરમ કૃપાથી એ બન્યું. તીર્થયાત્રા અને વિહારયાત્રાનાં સંવેદન અને સ્પંદન મારા સદાસંગાથી લઘુ બંધુ મુનિવર શ્રી પ્રશમરતિવિજયજીએ આ પુસ્તકમાં ઝીલ્યાં છે. મને યાદ છે, હું થાકીને આરામ કરતો હોઉં ત્યારે આ બધું તે લખતા. સાધુ તો ચલતા ભલા તીર્થયાત્રાની અનુભવગાથા છે. આ ગાથામાં ધબકતી અનુભૂતિની ભાગીદારી અને સાથીદારી મને મળી છે, તેના પરમ રોમાંચ સાથે...
જૈન મર્ચસ સોસાયટી, અમદાવાદ,
વૈરાગ્યરતિવિજય ભાદરવા વદ ૧૪, વિ. સં. ૨૦૫૮
– પ્રવચન પ્રકાશન, પૂના