________________
૫૭
૫૮
પ્રભુ તો ચાલ્યા. પહેલી દેશના પછી તીર્થસ્થાપના થશે તે જોવાની ઉત્સુકતાને ધક્કો પહોંચ્યો. દૂર રહેલા દેવોએ અવધિજ્ઞાન કામે લગાડ્યું હોય તો દેશનાની ક્ષણભર સમજાય. વાત એમ હતી કે આખો માહોલ જ જયારે કૈવલ્યસિદ્ધિની ઉજવણીનો હતો ત્યારે વ્યાખ્યાનની શરૂઆતમાં જ ઘડિયાળ જોવા જેવી નાદાનિયત દેવો ન જ દાખવે. એ તો આજના શ્રોતાઓનું કામ.
સામે સાંજ ઢળતી હતી. અંધારાય દેશના સાંભળવા માંગતા હોય તેમ આકાશ પર ઉમટ્યા. આજ લગીના દીક્ષાપર્યાયમાં પ્રભુએ અંધારે વિહાર નથી કર્યો, આજે પ્રભુ ચાલી રહ્યા છે તો અજવાળાં અમે પાથરશું, અમારી આંખોમાં પ્રભુનું અજવાળું, પ્રભુના રસ્તે અમારું અજવાળું, દેવોએ આકાશ ધરતી ઝળાહળા કર્યા. પ્રભુ ચાલી નીકળ્યા. ઋજુવાલુકા રોઈ હશે. એ પ્રભુ સાથે જઈને દેશના સાંભળી શકવાની નહોતી.
પગલાની દેવકુલિકાને પ્રદક્ષિણા આપતી વખતે આ અનુભવ થતો રહ્યો.
તે અજીબ વિદાય હતી, પ્રભુ કેવલી થયા, સમવસરણમાં બિરાજયા ને છતાંય તીર્થકર ન થયા. કેવલી બન્યા પછીનો અને તીર્થંકર થયા પૂર્વનો એકમાત્ર પ્રભુવીરનો આશ્ચર્યભૂત વિહાર રાતના સમયે થયો. અજવાળાની ભગવાનને જરૂર ન હતી. કેવળજ્ઞાનથી જ બધું દેખાતું. દેવોને જરૂર હતી અજવાળાની, કેમ કે પ્રભુનાં, ચાલી રહેલ પ્રભુનાં સાક્ષાત્ દર્શન કરતા રહેવું હતું. કદાચ, વ્યવહારધર્મનો સંકેત ઇન્દ્ર મહારાજાએ અકબંધ અજવાળાં દ્વારા માનવલોકને આપ્યો. આજે આપણા સવારના વિહાર અંધારિયા થઈ ગયા છે. ઇન્દ્રમહારાજ એનાથી નારાજ હોવા જોઈએ. એટલે તો એ આવવાનું ટાળે છે.
પોષ સુદ ચૌદશ : મધુબન ઋજુવાલુકાથી વિહાર કર્યો. આ જ નદીનો પુલ આવ્યો. એ વચ્ચે તૂટી ગયેલો. ત્યાં લોખંડના પાટિયા ગોઠવી રોડ સમથળ રાખ્યો છે.વહેલી સવારે તેની પર ચાલવાની દસ-બાર સેકંડોમાં પગનાં તળિયાં પીગળીને અલોપ થઈ ગયા હોય તેવું લાગ્યું. આખી રાતની ઠંડીથી સિંચાઈને એ પાટિયાં બરફથી વધારે ઠંડા પડી ગયાં હતાં. પગનું લોહી જ જાણે ઊડી ગયું. મગજનાં સંકેતોને થાપ ખાવી પડી. ચાલતા ચાલતા ટટ્ટાર થઈ જવાયું. નીચેથી નદીનો શીતલ સ્પર્શ ઉપર
આવતો હતો ને આભમાંથી હિમવર્ષા જેવી ઠંડી ઝરતી હતી. પગને ખુલ્લા રાખવાથી ઉનાળામાં દાઝવું પડે છે તે ખબર હતી. આ ઠંડીનો દાઝકો તો તીખો તમતમતો નીકળ્યો. ડામરિયા સડક પર પહોંચ્યા પછી કેટલીય વારે પગનાં તળિયે સંવેદન આવ્યું.
કાલ સાંજે ધર્મશાળાની અટારીએથી શિખરજીનાં વિરાટ દર્શન કર્યા હતા. સૂરજ ડૂબી ગયો હતો. શિખરજીની પાછળનું આકાશ ગુલાબી રંગ પકડી રહ્યું હતું. રેખાબદ્ધ ચિત્રને એક જ રંગની જુદી જુદી છટા (અંગ્રેજી માં શેડ કહે છે) નો સ્પર્શ મળ્યો હોય તેવો શિખરજીનો દેખાવ હતો. કાળો રંગ મુખ્ય, ક્યાંક તપકીરી ઝાંય, ક્યાંક રાખોડી રંગત, કયાંક ઊંડો શ્યામવર્ણ, ક્યાંક ઘટ્ટ લીલી છાંટ, અને બધું મળીને ઉઠતી અમાસની રાતના ઘનઘોર મેઘાડંબર જેવી સંકુલ રમણીયતા. એના આભને અડતા ત્રણ ખૂણા ટોચદાર લાગતા હતા. તો જમીનને અડતો આદિમાગ મહાસાગરની ભરતીને પાછી ધકેલે તેવો ભવ્ય જણાતો હતો.
આજે આ ગિરિરાજના ખોળે પહોંચી જવાનું છે એના આનંદમાં પગ ઝડપથી ઉપડતા હતા. આખો રસ્તો બેય તરફ જંગલથી છવાયેલો રહ્યો હતો. લૂંટફાટ થાય તો ખબર ના પડે તેવી ગીચ ઝાડી હતી. જંગલી જાનવરો તો ઘણા હશે. આરપાર ન નીકળી શકાય તેવા અડાબીડ વૃક્ષો. સૂરજનો તડકો ઉપર અટકી જાય તેવો ફેલાવો. ધરતી પર ખરતાં પાંદડામાં જમીન ગરક થયેલી. નાની ટેકરીના બે-ત્રણ ઘાટે, રાતના સમયે અહીંથી વાહનો નીકળે તો તે લુંટાય છે. પોલીસો બાઘા રહી જાય તેવા હલ્લા થાય છે. ગાડીઓ પૂરપાટ ભાગે તો જ બચે, ધીમી પડે તો પિસ્તોલવાળા વચ્ચે આવ્યા જ સમજો . જંગલની ઓથમાં રહીને પોતાનું સામ્રાજ્ય જમાવી રહેલા ચોર-લૂંટારાને લીધે આ વિસ્તાર બદનામ થયો છે. ક્યારેક આપણા યાત્રાળુઓ લૂંટાય છે તેને લીધે તીર્થના દર્શનાર્થીઓ પણ આતંકિત રહે છે. ગઈ કાલે રાતે જ બરાકરની ધર્મશાળા પર ગોળીબાર થયેલો. ચોકીદાર આખી રાત પાડ પાડતા રહ્યા હતા.
વનપ્રદેશની સુંદરતા પર ક્રૂર ગ્રહની છાયા પડી છે. આ જંગલ જોનારા ગભરામણ જે અનુભવે છે. જંગલોમાં તીરથ હોય તેને કારણે સાધનાનું એકાંત મળે છે. નિસર્ગની સંનિધિમાં પ્રભુનું સામીપ્ય સુકર બને છે. શહેરી કોલાહલથી છૂટકારો સાંપડે છે. નસીબ અવળા હોય તો ઘેર બેઠાય લૂંટાવાના. નસીબ