________________
sabada\2nd proof
૨૫
૨૬
આવેશ ક્રવાની આદતથી મન અપવિત્ર બને છે
ધર્મ સંવેદનાનો રખેવાળ છે
ધર્મની શરૂઆત આચાર-પરિવર્તનથી થાય છે. વિચાર-પરિવર્તન અને સંસ્કાર-પરિવર્તન ધર્મની સાધનાનો મધ્યકાળ છે. આત્મપરિવર્તન ધર્મનું લક્ષ્ય છે. આત્મ-પરિવર્તન ‘મન’ દ્વારા સાધી શકાય છે. મન સંસારનું કારણ છે તેમ મોક્ષનું પણ કારણ છે. મનને વશમાં રાખવું યોગીઓ માટે પણ દુર્લભ છે. શાંત મનમાં જ જ્ઞાનનું અને પરમાત્માનું અવતરણ થાય છે. જનકને બે ઘડીમાં ઈશ્વરપ્રાપ્તિનો ઉપાય બતાવવા ઋષિ અષ્ટાવક્ર બે ઘડી માટે જનકનું મન માગ્યું હતું. મન બદલાય તો દુનિયા બદલી શકાય છે. આપણી સોમાંથી નવ્વાણું દુ:ખનું કારણ પરિસ્થિતિ નથી પણ મનઃસ્થિતિ છે. આપણાં મનને આવેશ કરવાની આદત પડી છે. આ આદતને કારણે જ મન અપવિત્ર બને છે. આપણા વિચારો પર કુસંસ્કારો અને કુવાસનાઓની ઘેરી અસર છે. સારા વિચારો આવતા નથી, આવે તો સ્થિર રહેતા નથી. મનના કુસંસ્કારો સારા વિચારની અસરને ધોઈ નાંખી છે. કુસંસ્કારો નકારાત્મક અભિગમ જન્માવે છે. મનને પવિત્ર રાખવાના બે સૂત્રો છે. મૌન અને મૈત્રી. મનને પકડવા મૌન પકડો, મનને પવિત્ર કરવા મૈત્રી કરો.
મૈત્રી, પ્રીતિ, અને શાંતિ પ્રભુની હૃદયમાં ઉપસ્થિતિ બતાવે છે. સારા વ્યક્તિનો સંસર્ગ અને સારાં કામની પ્રશંસા સારા વિચારોને સ્થિર કરે છે.
શરીર શ્વાસથી ચાલે છે. પણ જીવન કેવળ શ્વાસથી નથી ચાલતું. જીવન ચાલે છે, સંવેદનશીલતાથી. જે માણસના શ્વાસ ચાલે છે, પણ સંવેદનશીલતા નથી ચાલતી તે માણસ જીવતેજીવત મરેલો સમજવો. સંવેદનશીલ વ્યક્તિ શ્વાસ અટકી ગયા પછી પણ જીવંત રહે છે.
ધર્મ અને સંવેદનશીલતાનો સંબંધ અત્યંત નજદીકનો છે. બન્ને એકબીજાના પૂરક છે. ધર્મથી દૂર જનાર વ્યક્તિ સંવેદનશીલતા ગુમાવી બેસે છે. સંવેદનશીલતાથી દૂર જનાર વ્યક્તિ ધર્મના મર્મને ગુમાવી દે છે. ધર્મ તમારા આત્માની સંવેદનાનો રખેવાળ છે, સંવેદના વિનાનો ધર્મ દર્શનીય નહીં પણ પ્રદર્શનીય બની જાય છે.
ધર્મનો દેખાવ કરવો એક ચીજ છે અને ખરેખર ધર્મ કરવો એ તદ્દન અલગ ચીજ છે. દેખાવના ધર્મના ઇમિટેશન જવેલરી જેવી ચમક દેખાશે પણ તેની કિંમત કંઈ નહીં આવે. સાચો ધર્મ ઓછો ચમકશે પણ તેની કિંમત ઘણી ઊંચી અંકાશે. ગાયનું પૂતળું દૂધ આપતું નથી, તેમ દેખાવનો ધર્મ ભાવ જન્માવતો નથી. દિલથી કરેલો ધર્મ જ સાચું ફળ આપે છે. સચ્ચાઈ, પ્રામાણિકતા અને સમર્પણના સથવારે પાંગરતો ધર્મ સંવેદનશીલતાનો વાહક બને છે.