________________
sabada 2nd proof
૨9
૨૮
નિંદા દુર્જનતાની નિશાની છે
પ્રાર્થના દ્વારા સરજાયેલું પુણ્ય પરનિંદાથી ધોવાઈ જાય છે
જીવનને દોષમુક્ત બનાવવું હોય તો નિંદા કરવાનો અને સાંભળવાનો ત્યાગ કરજો . દોષો જીવનમાં પ્રવેશે છે, કાનના દરવાજેથી, કાનથી આગળ વધી આંખમાં આવે ત્યારે બીજાના દોષ દેખાય છે. ત્યાર પછી જીભ ઉપર આવે છે, ત્યારે નિંદાનું સ્વરૂપ ધારણ કરે છે. વ્યક્તિ પોતાની જાતને ઊંચી સાબિત કરવા અને પોતે માની લીધેલા પ્રતિસ્પર્ધીને પછાડવા નિંદા કરે છે. દોષકથન પાછળ સ્વાર્થવૃત્તિ હોય તો નિંદા કહેવાય છે. હૃદયમાં સદ્ભાવ ટકાવી રાખીને બીજાના દોષોને બતાવવા કઠિન કાર્ય છે. તુલસીદાસ કહે છે.
परहित सरिस धरम नहि भाई,
परनिंदा सम नहि अधमाई. ખરાબ માણસની ખરાબ પ્રવૃત્તિને પણ વ્યક્તિગત કારણસર વખોડવીએ નિંદા છે. આપણને મળેલું સત્ય, લાકડી જેવું છે. તેનો ઉપયોગ ચાલવા માટે કરવાનો છે. બીજાને મારવા માટે નહીં.
નિંદા નામની નબળાઈને કારણે આપણાં અંતરમાં ગુણાનુરાગ ખીલતો નથી. ગુણાનુરાગ ખીલવવા ત્રણ કામ કરો
ક્યારેય કોઈની નિંદા કરવી નહીં, કોઈની નિંદા સાંભળવી નહીં, નિંદાનો જવાબ નિંદાથી આપવો નહીં.
તમારી નિંદા કરનારા માણસો ઉપર પણ દ્વેષ ન જાગે પણ અનુકંપા જ જાગે ત્યારે તમારો ધર્મ ચરિતાર્થ થયો છે એમ સમજજો . કળિકાળમાં સારા માણસોને ખરાબ થતા વાર નથી લાગતી. ખરાબ માણસને સારા થતા ખૂબ વાર લાગે છે.
ધર્મ આપણાં અસ્તિત્વને પ્રેમપૂર્ણ બનાવતી પ્રક્રિયા છે આપણી ચેતનાને બાઝેલા દોષોના જાળાં દૂર કરતું તત્ત્વ છે. ધર્મનો સીધો નાતો આપણી ચેતના સાથે છે. પૈસાથી ધર્મ ખરીદી શકાય નહીં. પૈસાથી સંપન્ન બની શકાય, સંપૂર્ણ નહીં. ધર્મ જીવનને સંપૂર્ણ બનાવે છે. ધર્મ એટલે કેવળ ક્રિયાકાંડ નહીં. ધર્મનો સીધો અર્થ છે, સ્વ-ભાવ. તમારી જાતને ઓળખો. તમારા સ્વભાવને પહેચાનો.
ધર્મ દેખાડવાનો નથી, અનુભવવાનો છે. બીજાને દેખાડવા માટે થતો ધર્મ દંભને પોષે છે. દંભના આંચળા હેઠળ અનેક દોષો પોષાતા હોય છે. બીજાના દોષોને મેગ્નિફાય કરવાની મનોવૃત્તિ સંવેદનહીનતાની નિશાની છે. પ્રાર્થના દ્વારા બંધાયેલું પુણ્ય પર નિંદાથી ધોવાઈ જાય છે. સંવેદનશીલતા આપણું સર્વસ્વ છે. તેને જગાડો. બીજાના આંસુને, બીજા ની વેદનાને સંવેદના તમારી ચેતનાને સક્રિય કરો. આપણી સુખાંધતા જ ચેતનાને જગાડવામાં બાધક છે. તુચ્છ સુખોના સ્વાર્થને ઘડીભર બાજુ પર મૂકો. તે વિના ચેતના જાગૃત બને તે સંભવિત નથી.
- ર૮ -