________________
sabada 2nd proof
૧૦
આધ્યાત્મિક સફળતાનાં પાંચ સૂત્રો
સાચી વાતનો આગ્રહ
સાગરમાં ઠલવાતું નદીનું પાણી ખારું બની જાય છે તેમ આપણને મળતા સારા વિચારો પણ પોતાનો પ્રભાવ ગુમાવી બેસે છે. બીજી બાજુ જીવનમાં સારા વિચારો પ્રવેશ કરી શકે તે માટે આપણાં દિલના દરવાજા ખુલ્લા નથી. આપણા બોધને આગ્રહનો લૂણો લાગેલો છે. તેમાં ઉમેરાતા તમામ વિચારો ખારા બની જાય છે. વિચારોના શુદ્ધિકરણ માટે આગ્રહરહિત મન જોઈએ. નવા વિચારો સ્વીકારવાની તૈયારી હોવી જોઈએ. આગ્રહ સારી વાતોનાં ફળને નિષ્ફળ બનાવી દે છે. સાંભળતા પહેલા સુધરવા માટેનું પ્રાણિધાન જોઈએ. સુધરવાની ઇચ્છા વગર સાંભળવું એટલે ઊંધા ઘડા પર પાણી ઝીલવું. જે ગમતું હોય તે સાંભળીએ તો પરિવર્તન આવતું નથી. જે સાંભળવા મળે તે ગમવા માંડે તો પરિવર્તન આવે છે. આગ્રહમાં જડતા છે. અનાગ્રહમાં મોકળાશ છે. અનાજ પોચી ધરતી પર ઊગે છે, પથ્થર પર નહીં. ગમે તેટલા ખરાબ માણસને સુધારી શકાય જો તે અનાગ્રહી હોય. દોષ નાનો હોય પણ તેની સાથે આગ્રહ ભળ્યો હોય તો સુધારણા મુશ્કેલ છે. આ ગ્રહ બુદ્ધિએ પેદા કરેલું દૂષણ છે. પણ જો એની સાથે શ્રદ્ધા સાથે જોડાય તો ઉપકારક પણ બની શકે છે. સાચી વાતનો આગ્રહ દુરાગ્રહને દૂર રાખવામાં સહાયક બની શકે છે. શ્રદ્ધાનાં ઘરનો આગ્રહ દોષ નથી પણ ગુણ છે. દુરાગ્રહ નામના ગ્રહની ચાલ રાહુની જેમ ઊલ્ટી દિશાની છે.
સંસારમાં રહીને દુર્ભાવોથી બચતા રહેવું કઠિન છે. સંસાર નિમિત્તોનો દરિયો છે. સંસારમાં પતનનાં નિમિત્તો વધુ મળે છે. અને માનવીનું મન પાણી જેવું છે. જ્યાં ઢાળ મળે ત્યાં જતું રહે છે. ભક્તિનું માધ્યમ સંસારમાં રહીને પણ દુર્ભાવોથી બચવાની અદભુત કળા શીખવે છે. ભક્તિની કેવળ ક્રિયાનાં સ્તર પર નહીં. આંતરમનનાં સ્તરની હોવી ઘટે. અધ્યાત્મનાં સ્તર પર સફળતા પ્રાપ્ત કરવાના પાંચ સૂત્રો છે.
(૧) તમે જે કાર્ય કરવા ધારો છો તે કેવી રીતે કરી શકાય તેની સમજ હોવી જોઈએ.
(૨) જ્યારે તમે કાર્ય ચાલુ કરો ત્યારે તમારા વિચારો માત્ર તમારાં લક્ષ્ય ઉપર કેન્દ્રિત હોવા જોઈએ.
(૩) કામ સિવાયના સમયમાં પણ તમે તમારા કામને સમર્પિત હો તે જરૂરી છે.
(૪) તમે જે પ્રાપ્ત કરવા માંગો છો તે વિશેની કલ્પનાઓ મુક્ત રહેવું જોઈએ. તમારા લક્ષ્યની વાસ્તવિક ઓળખાણ હોવી જોઈએ.
(૫) તમે તમારા લક્ષ્યને અને તમારી કાર્યપ્રણાલીને પ્રેમ કરતા હો તે આવશ્યક છે.
આપણું લક્ષ્ય ભગવાન બનવાનું છે. તો ભગવાન પર પ્રેમ હોય. ધર્મ ભગવાન બનવાની પ્રક્રિયા છે. તેની ઉપર પ્રેમ કરો. ભગવાન વિશેની સાચી સમજ કેળવો. ભગવાન પાસે ભગવાન બનવા સિવાય કોઈ અપેક્ષા ન રાખો. જ્યારે ધર્મ કરો ત્યારે બીજા વિચારો ન કરો. ધર્મ કરવાની વિધિ સમજી લો. આ પાંચ સૂત્રો જે અપનાવે છે, અંતરંગ આનંદ મેળવવાની દિશામાં તે સફળ બને છે.
- ૧૦૦