________________
યુદ્ધમાં હારી ચૂકેલાં શત્રુઓના હાથીના ગંડસ્થળને ચીરવા દ્વારા લોહિયાળ બનેલાં પોતાનાં શસ્ત્રોને, વિજયી સૈનિકો આ નદીમાં ઝબકોળીને સ્વચ્છ બનાવે છે. માટે આ નદીનાં પાણી સૂકાતાં નથી. ૩૭.
શિપ્રા નદીના કાંઠે ઉજજૈન નામનું નગર છે.
જગતનો ઉપહાસ કરવા માટે આ નગરે પોતાનો વિસ્તાર અમાપ બનાવ્યો છે, ધરતીનું માપ લેવા માટે આ નગરે પોતાની સીમાને અનંત બનાવી છે, યમરાજને રોકી રાખવા માટે આ નગરીએ ઊંચો કિલ્લો બનાવી રાખ્યો છે, આકાશને ટેકો આપવા માટે આ નગરીએ કિલ્લાના પ્રવેશદ્વારોને એકદમ ઊંચાં બનાવ્યાં છે. ૩૮.
આ નગરમાં હિમાલય નથી તેમ છતાં શંકરનું ઘર (મહાકાલ પ્રાસાદ) છે. આવી વિરોધાભાસી વિશેષતા ધરાવતી આ નગરીને શત્રુઓ બાધા પહોંચાડી શકતા નથી. મહાકાવ્યોનો મુખ્ય રસ એક હોય જયારે આ નગરીમાં નવે નવ રસ વિલસે છે. ૩૯.
આ નગરમાં રસ્તો ભૂલી જવાનો ભ્રમ થતો નથી, વિલાસવંતી નારીઓનો તોટો નથી, દંપતીઓને વિજોગનું દુ:ખ નથી, રાજાને સંપત્તિ અર્પિત કરવા સૌ તૈયાર છે. ૪૦.
ઉદ્યાનોમાંથી ઉડતાં શુકનવંતા પંખીઓ અને આશ્રમોમાંથી નીકળતા યજ્ઞના હૂંફાળા ધુમાડા આસમાન સુધી પહોંચીને વાદળા વિના જ સુરજને ઢાંકી દે છે. ૪૧.
આ નગરમાં - સમૃદ્ધિ, સજજનો, સહસ્રમલ્લ યોદ્ધાઓ, સરોવરો, મહામાર્ગો, સભાગૃહો અને સુંદરમજાનાં ઘરો છે. ૪૨.
શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૧
૧૫