SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ આજકાલ શું વાંચો છો ? તમારા ધંધાપાણીની ખબર પૂછનારા મિત્રો તમારા વાંચનપાણીની બાબતમાં માથું મારતા નથી. તમે પૈસા ન કમાઓ એ ખોટું. ઓછું કમાઓ એ પણ ખોટું. તમે વાંચન ન કરો એ ખોટું નથી ? તમે ઓછું વાંચન કરો તે ખોટું નથી ? તમારા વિચારો સાથે ગોઠવાઈ શકે તેવા ઢગલાબંધ મુદ્દા વાંચનના અભાવે તમે ગુમાવો છો. તમને નવું વાંચતા રહેવાની ગંભીરતા નથી મળી. તમે ચવાયેલું ચવાણું થઈ ગયેલી વાતોને વાગોળો છો અને એનું વતેસર કરતા રહો છો. તમારી પાસે આવીને બેસે તેને નવીનક્કોર વાતો સાંભળવા મળે તેવું બને છે ? તમને જ નવી વાતો મેળવવાનું ગમતું નથી તો બીજાને ચાંથી આપવાના હતા તમે ? તમે એવા લોકોને મળો છો જેમને ધંધા સિવાય કશું સૂઝતું નથી. તમારી બુદ્ધિમત્તાની પરીક્ષા થાય એવા પ્રશ્નો પર ચર્ચા કરવાનું તમને ફાવતું નથી. ગામગપાટા અને ચોવટ કરવામાં જીભ જ ચાલતી હોય છે, દિમાગ નહીં. તમારે વાંચન કરતા રહેવાનું છે. મહિનાની એક નવી ચોપડી તો વાંચવી જ જોઈએ. તમારા ખિસ્સામાં પૈસાની રેલમછેલ હોય છે તેમ તમારા દિમાગમાં વિચારોની રેલમછેલ હોવી જોઈએ. તમારું મન ત્રણ કામ કરે છે. સ્મૃતિ, વિચારણા અને કલ્પના. મનને પીરસો તે જ મન યાદ રાખે. મનને મળશે તેનો જ મન વિચાર કરશે અને મનને મળ્યું હશે તેના સહારે મનમાં કલ્પનાઓ જાગશે. તમારું મન સતત રિસીવ કરતું રહે છે. મનને યાદ રાખવાની ટેવ છે. મનને યાદ કર્યા કરવામાં મજા આવે છે. મનની સાથે આંખોએ દોસ્તી કરી હોય તો જ વાંચનમાં રસ પડે. હજારો દુકાનો ખૂલે છે. બધામાંથી ખરીદી થતી નથી. એકાદ બે દુકાનનું કાઉન્ટર તમને પરવડે છે. ચોપડીઓ સેંકડો બહાર પડે છે. તમારા ભાગે તો એક કે બે ચોપડી જ આવવાની છે. તમે બધી ચોપડી નથી વાંચી શકવાના. તમે કેટલી ચોપડી નવી વાંચો છો તે અગત્યનું છે તેથી વિશેષ તમે ચોપડી કેવી રીતે વાંચો છો તે અગત્યનું છે. Who will cry when you die ના લેખક રાહુલ શર્મા કહે છે * ૫ કે તમારાં જીવનમાં દશ શ્રેષ્ઠ પુસ્તકો હોવા જોઈએ. તમને તે પુસ્તકો પર રીતસરનો પ્રેમ હોય. એ પુસ્તકને વાંચ્યા કરવાની તમને ઘેલછા હોય. તમારા તંદુરસ્ત સ્વભાવ માટે આ ઉપયોગી છે. તમારાં મિત્રોની યાદી તમારી પાસે છે એમ તમને ગમતાં પુસ્તકોની યાદી તમારી પાસે હોવી જોઈએ. મિત્રો વિનાનું જીવન જો અધૂરું છે તો પુસ્તકોની પ્રીત વિનાનું મન અધૂરું છે. તમારી ભાષા અને તમારી વિચારશૈલી વાંચન દ્વારા ઘડાય છે. તમારી મૂર્ખતાઓને વાંચન દ્વારા ભૂંસી શકાય. વાંચન તમને તમારી ભૂલો સમજાવી દે. વાંચન તમારા સમયનો વેડફાટ બચાવે. વાંચન તમને લડવાના વ્યાજબી મુદ્દા આપે. વાંચન તમને તમારી બીબાઢાળ દુનિયાથી અલગ પાડે. વાંચન તમારી પરીક્ષા કરે. વાંચન દ્વારા તમે પાસ કે નાપાસ થયા તેની ખબર પડે. વાંચન એ માથે પડેલું ભણતર નથી. વાંચન તો વધાવવા જેવું વહેણ છે. વાંચન મગજને અગણિત દિશાઓ આપે છે. વાંચન દ્વારા તમારું મન શિસ્તબદ્ધ બને છે. વાંચન કર્યા પછીના કલાકોના કલાકો સુધી વાંચન મનમાં ઘોળાતું રહે છે. વાંચન માટેનું પુસ્તક પૂરું થાય તે પછી વંચાઈ ગયેલાં પાનાઓ પર નજર ફેરવીને બધું જ સહીસલામત મનોબદ્ધ કરવાની આત્મવિશ્વાસુ મજા તમારે મેળવવી જ જોઈએ. વાંચન કરીને નવું નવું શીખતા રહેવાની પ્રેરણા આપવા સુરેશ દલાલે સરસ ગીત લખ્યું છે. ક્યારનો હું તો સાદ દઉં છું બંધ બારીઓ ખોલો આજકાલ ? બહાર ઊભો રાહ જુએ છે એક હવાનો ઓળો. આ કવિ પુસ્તકોને વિશ્વ તરફ ઉઘડતી ક્ષિતિજ કહે છે. શું વાંચો છો, ૬.
SR No.009091
Book TitleVaheli Sawarno Shankhanad
Original Sutra AuthorN/A
AuthorPrashamrativijay
PublisherPravachan Prakashan Puna
Publication Year2006
Total Pages51
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy