________________
પર્વના દિવસો
સિઝનમાં ધંધો વધે છે તેમ પર્વમાં ધર્મ વધે છે. દેરાસરો અને ઉપાશ્રયોમાં
ભીડ છલકાય છે. તપસ્યા વધે છે. મંદિરોમાં ઘંટનાદની સમયમર્યાદા વધી જાય છે. પર્વના દિવસો મજાના હોય છે. બધા જ લોકો ધર્મમાં તરબોળ હોય ત્યારે આપણે આ પ્રવાહમાં આપોઆપ વહી જઈએ છીએ. પર્વના દિવસો થોડા હોય છે. ભલે. આ દિવસો આખા વરસને ભરપૂર સમૃદ્ધિ બક્ષવા આવે છે.
પર્વના દિવસોમાં સુંદર વાતો સાંભળવા મળે છે. ગુરુ ભગવંતો ધર્મશાસ્ત્રની અઢકળ રહસ્યમય બાબતો પર પ્રકાશ પાથરે છે. આખી જિંદગી સુધી ચાલે એટલાં બધાં ઉત્તમ કાર્યો ગુરુભગવંતો ઉપદેશે છે. ધર્મને વિચારી સમજીને જીવનમાં ઉતારવાની તક પ્રવચનવાણી દ્વારા સાંપડે છે. કરવા ખાતર ધર્મ કરી લેવાથી આત્માને ખાસ કશો લાભ થતો નથી. ધર્મ શરીરનાં સ્તરે થનારી પ્રવૃત્તિઓ પૂરતો મર્યાદિત નથી. ધર્મ તો છેક આત્માનાં ઊંડાણ સુધીની હલચલ ઊભી કરે છે. સમજયા વિના કરેલો ધર્મ અધૂરો રહે છે. પર્વના દિવસોની સૌથી મજેદાર ઘટના પ્રવચનવાણી છે.
પર્વના દિવસોમાં ચારેકોર ઉતાવળ હોય છે. દિવસ દરમ્યાન ઘણાબધાં અનુષ્ઠાનો સાધવાના છે. દરેકનો લાભ લેવો છે. કાંઈ ચૂકવું નથી. કોઈ વાત ભૂલાઈ નથી. બધી જ ક્રિયાઓમાં જોડાઈ જવું છે. ખાવાપીવાની વાતો ઉપેક્ષાપાત્ર બની જાય છે. ઉપવાસોની હારમાળા સર્જાય છે. રસોઈ ઝટપટ બનાવી લેવાય છે. જમવામાં સમય ઓછો બરબાદ થાય છે. ધંધો ગૌણ બની જાય છે. પરિવાર સાથે બેસવાનો સમય રહેતો નથી. પર્વના દિવસો સખત વ્યસ્તતા લઈને આવે છે.
પર્વના દિવસોની સવાર વહેલી ઉગે છે. નહાઈને તરત ભગવાન સમક્ષ જવાનું. નવો તરવરાટ અને નવો ઉત્સાહ હોય છે. ગયાં વરસની તુલનામાં
* ૪૯
વિશેષ આરાધના કરવાની જ વાત છે. ઉછામણીઓ બોલાય છે. પ્રભુનાં ચરણે સંપત્તિ અને સર્વસ્વનું સમર્પણ કરી દેવાની મીઠી સ્પર્ધા ઊભી થાય છે. જે છોડે છે તે જીતે છે. જે આપે છે તે પામે છે. જે સમર્પણ કરે છે તે સમજદાર પૂરવાર થાય છે. પર્વના દિવસોમાં થાક નથી. કંટાળો નથી. આળસ નથી. પર્વના દિવસોમાં બધું જ નવુ લાગે છે. મન અને જીવન પણ. પર્વના દિવસોમાં રાજીપો ખૂબ હોય છે. બધાની સાથે મળીને ભરચક આરાધના કરવાની છે તેનો અઢળક આનંદ હોય છે. પર્વના દિવસો સામે કાળદેવતાનું કશું ચાલતું નથી. પર્વના દિવસો તો સદાબહાર સ્મિતમુદ્રા લઈને આવે છે. બાળકો, યુવાનો, બહેનો અને વડીલો સૌ પોતપોતાની શક્તિને લેખે લગાડે છે. પર્વના દિવસોમાં દુનિયાદારીનું બજાર ટાઢું પડે છે. પર્વના દિવસોમાં બજાર અને હાટડીને થાક અડે છે. પર્વના દિવસોમાં આરંભ અને સમારંભ પર અંકુશ આવે છે.
ઓટ પછી આવતી ભરતીની જેમ પર્વના દિવસોમાં અસાધારણ ઉલ્લાસ હોય છે. ભરતીનાં પાણી તો ખારાં હોય છે. પર્વના દિવસો મધુરા હોય છે. એની મીઠાશ ગજવે ભરી લઈશું તો આખું વરસ ન્યાલ થઈ જશે.
૫૦.