________________
asta/aanada/2nd proof
બોજો રહેતો હતો તે હવે હલકું ફૂલ લાગે છે. પોતે પામર હતા તે આજ પરમના સંગે આવી ઊભા છીએ. બે સમદુખિયા પોતાનાં દુઃખને બરોબર સમજાવી શકે, અરસપરસ. બે સમસુખિયા, સુખ વાંચી શકે, અરસપરસ.
કલ્પના થાય છે : એક કેવળજ્ઞાની, અન્ય કેવળજ્ઞાનીનાં કેવળજ્ઞાનને કંઈ નજરે જુએ ? અજ્ઞાનની ભાષામાં કલ્પના છે. એક કેવળજ્ઞાની, અન્ય સર્વ કેવળજ્ઞાનીનાં કેવળજ્ઞાનને સહજ નજરે જુએ. સંસાર જેવો છે તેવો જુએ. કેવળ જ્ઞાન જેવું છે તેવું જુએ. પોતે જુએ તે પોતાનાં કેવળજ્ઞાન દ્વારા. અન્યનાં કેવળજ્ઞાનને જુએ તેનો મતલબ વિશ્વને તે કેવળજ્ઞાનમાં પ્રતિબિંબ રૂપે જુએ. પોતે પોતાનાં જ્ઞાનમાં જોયું તે વિષયરૂપે. અન્યનાં જ્ઞાનમાં જોયું તે પ્રતિબિંબરૂપે. જ્ઞેય એ જ છે. પર્યાય બદલાય છે. જ્ઞાનીને સમજવા જ્ઞાની થવું પડે. જ્ઞાની થાય તેને જ જ્ઞાનીની ગરિમા સમજાય.
રાગદ્વેષ જીતી લે તેને રાગદ્વેષના વિજેતાની તાકાત ખબર હોય. દરિયો તરી જાય તેને સાયરના તરવૈયાની સાચી કદર હોય.
સાધના કરી અને સાધનાનું ફળ ચાખ્યું તેને અન્યની સાધના અને સાધનાનું ફળ સારી રીતે સમજાય.
रहत आनंद सुमति संग
સાધકને પોતાની સાત્ત્વિક પ્રસન્નતાની જાણ છે. એને આ પ્રસન્નતા મળ્યાનો સંતોષ પણ છે. પોતાની જેવા જ સાધકની સાત્ત્વિક પ્રસન્નતા વાંચીને સાધક અઢળક ઉમંગ અનુભવે. કેટલો પુરુષાર્થ કર્યો હશે સાધકે, તેની સમજ પડે છે. પોતાને જે મથામણો થયેલી તેવી જ આમને થઈ હશે, તેનો ખ્યાલ આવે છે. અને અંતે–
~94~
જે શિખર પર પોતે છે તે શિખર પર આ છે એવો સાહચર્યભાવ અનુભવાય છે.
શિખર કયું ? સુમતિ સં.
ઉત્કટ સદ્વિચાર. શુદ્ધ આજ્ઞાનુસારી વિચાર. ઉત્કૃષ્ટ તત્ત્વચિંતન. દેહભાવથી ઉપરક્ત બનેલો વિચાર. વિભાવદશામાંથી આવનારો વિચાર નામશેષ. કર્મોદયથી સર્વાંશે પ્રભાવિત વિચાર નથી. મોહનીય કર્મના ક્ષયોપશમમાંથી જાગેલો વિચાર છે. શાંત અને ઉદાત્ત માનસિકતા છે. અપેક્ષા નથી માટે અપેક્ષાભંગજનિત દુઃખ નથી, આનંદ છે. અહંકાર નથી માટે સ્પર્ધાદિજનિત દુ:ખ નથી, આનંદ છે. આસક્તિ નથી માટે સંયોગસાપેક્ષ દુઃખ નથી, આનંદ છે.
रहत आनंद सुमति संग
सुमति सखि और नवल आनंदघन मिल रहे गंग तरंग
શુભવિચારનો પ્રવેશ, શુદ્ધ આનંદનો પ્રકાશ લઈને થાય છે. વિચારનું શુભ તત્ત્વ પ્રવર્ધમાન. આનંદનું શુદ્ધ તત્ત્વ પ્રગતિમાન. ગંગામાં પાણી જેમ વધે, તેમ તેનાં મોજાં ઉછળે. પાણીનું ઊંડાણ મોજાને ઉછાળ આપતું હોય છે. વિચારની ગહનતા આનંદને પ્રકર્ષ આપતી હોય છે. આ પિંજરમાંથી મુક્ત ઉડાન ભરી રહેલા પંખીનો આનંદ છે. આ આનંદ શબ્દોમાંથી વંચાતો નથી, શબ્દોમાં લખાતો નથી. આ આનંદ કેવળ સંવેદિત થાય છે. બીજા વાતો કરે. સાધક અનુભવ કરે.
-૧૬