________________
सुखस्यानन्तरं दुःखम् दुःखस्यानन्तरं सुखम्। न नित्यं लभते दुःखं न नित्यं लभते सुखम्॥
[સુખ પછી દુઃખ આવે છે અને દુઃખ પછી સુખ આવે છે. કોઈને રોજેરોજ સુખ ન મળે કે કોઈને રોજેરોજ દુઃખ ન મળે.]
सुखार्थी वा त्यजेत विद्या विद्यार्थी वा त्यजेत सुखम। सुखार्थिनः कुतो विद्या विद्यार्थिनः कुतो सुखम॥
[વિદ્યાપ્રાપ્તિ છોડી સુખની પાછળ ભાગવું કે સુખને છોડી વિદ્યાપ્રાપ્તિ પાછળ પાગલ બનવું બન્ને એકાંગી માર્ગ છે. આ રીતે જેને સુખ જોઈતું હોય તેને કદી વિદ્યા ન મળે અને માત્ર વિદ્યા પાછળ દોડનાર કદી સુખી ન બની શકે.]
सुलभाः पुरुषा राजन् सततं प्रियवादिनः। अप्रियस्य च पथ्यस्य वक्ता श्रोता च दुर्लभः॥
[વાલ્મિકી રામાયણ અરણ્યકાંડ શ્લોક ૩૭-૨. હે રાજન સતત મીઠું મીઠું બોલનારા માણસો સહેલાઈથી મળી આવે છે પણ કડવી છતાં હિતની વાત કરનારા અને સાંભળનારા આ જગતમાં બહુ ઓછા છે.].
सूतो वा सूतपुत्रो वा यो वा को वा भवाम्यहम्। दैवायत्तं कुले जन्म मदायत्तं तु पौरुषम्॥
[મહાભારતમાં કર્ણ આ શ્લોક બોલે છે અને કહે છે કે ભલે હું સામાન્ય રથ હાંકનાર હોઉં કે રથ હાંકનારનો પુત્ર હોઉં કે ગમે તે હોઉં. આ બધી વાત ક્ષુલ્લક છે. ક્યા કુળમાં જન્મ લેવો એ મારા હાથની વાત નથી. મારા હાથની વાત તો મારું સાહસ અને પરાક્રમ છે.]
स्थानभ्रष्टा न शोभन्ते दन्ताः केशा नखा नराः। इति विज्ञाय मतिमान् स्वस्थानं न परित्यजेत्॥
[દાંત, વાળ, નખ અને પુરુષ પોતાનું સ્થાન ગુમાવી દે પછી શોભતા નથી એ વાત ધ્યાનમાં રાખી ડાહ્યા માણસોએ પોતાના સ્થાન પર સ્થિર રહેવું જોઈએ.]