________________
विषादप्यमृतं ग्रामं बालादपि सुभाषितम्। अमित्रादपि सद्वृत्तं अमेध्यादपि कांचनम्॥
[ઝેરમાંથી અમૃત મળતું હોય તે લઈ લેવું જોઈએ, એક નાના બાળક પાસેથી પણ જો કોઈ બોધવાક્ય સાંભળવા મળે તો તેનો સ્વીકાર કરી લેવો જોઈએ, દુશ્મન પાસેથી પણ સગુણ ગ્રહણ કરવા મળે તો ગ્રહણ કરી લેવા જોઈએ. સોનું કચરાની વચ્ચે પડ્યું હોય તો પણ તેને તરછોડાય નહિ].
वीरभोग्या वसुन्धरा। [જમીનનો ભોગવટો બહાદૂર માણસ જ કરી શકે. ધરતીના ધણી થવું ખાવાનો ખેલ નથી]
वृथा वृष्टिः समुद्रेषु वृथा तृप्तेषु भोजनम्। वृथा दानं धनाढ्येषु वृथा दीपो दिवाऽपि च॥
[દરિયામાં વરસાદ પડે તે નકામો જાય. જેનું પેટ ભરેલું છે તેને ખવડાવવાનો કોઈ અર્થ નથી. જેની પાસે ધનના ઢગલા હોય તેને દાન આપવાથી શું વળે ? જ્યાં ખૂબ અજવાળું હોય ત્યાં દીવા ન સળગાવાય.]
वृच्शिकस्य विषं पृच्छे मक्षिकायाः मुखे विषम्। तक्षकस्य विषं दन्ते सर्वांगे दुर्जनस्य तत्॥
[વીંછીનું ઝેર એની પૂંછડીમાં હોય છે. માખીના મોઢામાં ઝેર હોય છે, સાપના દાંતમાં ઝેર હોય છે પણ દુર્જનના દરેકેદરેક અંગમાં ઝેર ભરેલું હોય છે.]
वैद्यराज नमस्तुभ्यं यमराजसहोदर। यमस्तु हरति प्राणान् वैद्यो प्राणान् धनानि च॥ [ચેતવણીઃ નબળું હૃદય ધરાવતા દાક્તરોએ આ જોખમી પ્રાચીન સુભાષિત વાંચવું નહિ! હે વૈદરાજ, તને પગે લાગીએ છીએ. તું આમ તો જમરાજાનો ભાઈ છો પણ જમરાજા કરતાં ક્યાંય ચડી જાય તેવો છે. જમરાજા તો માત્ર પ્રાણ લઈને ચાલતા થાય છે પણ તું તો અમારો પ્રાણ અને પૈસા બન્ને લીધા પછી જ અમને છોડે છે !]