________________
‘જગતના જીવન, જગતના પ્રિયતમ મારા ભગવાન છે. એનું મુખ જોતાં સુખ ઉત્પન્ન થાય છે. એનું દર્શન મારા માટે આનંદનું વર્ષણ છે.’ અહીં સ્પષ્ટપણે પ્રભુ-પ્રેમ દેખાય છે.
પૂ.શ્રી આનંદઘનજીની ચોવીશીનું પ્રથમ સ્તવન : ઋષભજિનેશ્વર પ્રીતમ માહરો રે, ઓર ન ચાહું રે કંત; રીઝયો સાહિબ સંગ ન પરિહરે રે, ભાંગે સાદિ અનંત.’ ઋષભદેવ ભગવાન મારા પ્રિયતમ છે. બીજા કોઇ પ્રિયતમને હું સ્વીકારતો નથી. કારણ કે પ્રસન્ન થયેલા મારા આ પ્રિયતમ ક્યારેય મને છેહ દેતા નથી કે ક્યારેય તેમનો વિયોગ થતો નથી. અનંતકાળ સુધી - હંમેશ માટે પ્રભુ સાથે ને સાથે જ. (જ્યારે સંસારના બીજા પ્રિયતમો છેહ દઇ શકે છે, છોડી શકે છે. છેવટે કાંઇ નહિ તો મૃત્યુ, વિયોગ કરાવે જ છે. આવા ક્ષણભંગુર પ્રેમ માટે જીવન શા માટે વેડફી નાખવું ?)’
પૂ. શ્રીદેવચંદ્રજીની ચોવીશીનું પ્રથમ સ્તવન :
ઋષભજિણંદ શું પ્રીતડી, કિમ કીજે હો કહો ચતુર વિચાર; પ્રભુજી જઇ અળગા વસ્યા, તિહાંકણે નવિ હો કોઇ વચન ઉચ્ચાર.’
‘મારે મારા ભગવાન સાથે પ્રેમ કરવો છે. પણ થાય શી રીતે ? મારા ભગવાન તો સાત રાજલોક દૂર છે. તેમની સાથે કોઇ વાતચીત થઇ શકતી નથી. કેમ કરીને કરવો પ્રભુ સાથે પ્રેમ ?’
આ ત્રણેય ચોવીશીના કર્તાઓ એકીસાથે આપણને સૌને પ્રથમ સ્તવન દ્વારા જાણે જણાવી રહ્યા છે ઃ પ્રભુને તમે ચાહો, ખૂબ જ ચાહો, ખૂબ ચાહો... અંતઃકરણથી ચાહો... રોમ-રોમથી ચાહો, આત્માના પ્રદેશે-પ્રદેશથી ચાહો... તમારા સમગ્ર અસ્તિત્વને પ્રભુથી રંગી નાખો. પ્રભુને ચાહ્યા પછી જ આગળનો માર્ગ મળી શકશે. એ સિવાય તમને કોઇ પણ અનુષ્ઠાન તારી શકશે નહિ. હા, માત્ર તમારા
ઉપદેશધારા * ૨૪૬
અહંકારને વધારી શકશે. બીજા અનુષ્ઠાનો મીંડા છે. પ્રભુ-ભક્તિ એ
આગળ રહેલો એકડો છે. એકડા વગરના મીંડાની કિંમત કેટલી ? એક વખત અકબરે બિરબલને પૂછ્યું : ૨૭માંથી ૧૦ જાય તો કેટલા ?
બિરબલે કહ્યું : એકેય નહિ.
બધા ખડખડાટ હસી પડ્યા ઃ નાનું છોકરું પણ જાણે છે કે ૨૭માંથી દસ જાય તો સત્તર રહે. બિરબલને આટલી પણ ખબર નથી ? બાદશાહે પૂછ્યું : શી રીતે ?
‘સાંભળો, જહાંપનાહ ! આકાશમાં અશ્વિનીથી માંડી રેવતી સુધીના સતાવીશ નક્ષત્રો છે. તેમાં આર્દ્રા નક્ષત્રથી સ્વાતિ નક્ષત્ર સુધીના દસ નક્ષત્રોમાં સૂર્ય હોય ત્યારે જ વરસાદ આવે. હવે આ નક્ષત્રોમાં સૂર્ય આવે જ નહિ તો વરસાદ શી રીતે પડે ? વરસાદ ન પડે તો તમે મોટા શહેનશાહ પણ શું કરી શકવાના છો ? વરસાદ વિના બધું શૂન્ય છે. માટે જ મેં કહ્યું : ૨૭માં એ દસ નથી તો કશું નથી.’ બિરબલનો સચોટ જવાબ સાંભળી બધા સ્તબ્ધ થઇ ગયા. અહીં પણ જીવનમાંથી ભક્તિ જાય તો શું રહે ? દસ નક્ષત્રોના સ્થાને પ્રભુ-ભક્તિ છે.
સિદ્ધસેન દિવાકરસૂરિજીએ કલ્યાણમંદિરમાં આ જ વાત કરી છે : ‘પ્રભુ ! મેં આપની દેશના ઘણીવાર સાંભળી છે. આપની મેં ઘણીવાર પૂજા કરી છે. આપના મેં ઘણીવાર દર્શન કર્યા છે. પણ કૃપાળુ ! મેં ભક્તિ-ભાવપૂર્વક આપને ક્યારેય મનમાં પ્રતિષ્ઠિત કર્યા નથી. એથી જ હું દુ:ખી થયો છું. આથી જ મારા અનુષ્ઠાનો ફળદાયી બનતા નથી.'
પ્રભુનો પ્રેમ સંસારનું અમૃત છે, જીવનનું રસાયણ છે, શાસ્ત્રોનો સાર છે, અનુભવીઓનો અર્ક છે.
પ્રભુપ્રેમમાં મસ્ત બનેલાના ઉદ્ગારો પણ કેવા વેધક હોય છે ? ભલે આપણામાં પ્રભુ-પ્રેમ પેદા ન થયો હોય, પણ પ્રભુ-પ્રેમીઓના ઉપદેશધારા * ૨૪૭