________________
એકેક સુંઢમાં કમળ ! એકેક કમળમાં બત્રીસ પાંખડીઓ ! એકેક પાંખડીમાં નૃત્યો અને નાટકો ! શું મનોગ્રાહી દેશ્ય ! શું અપાર સમૃદ્ધિ ! મારી સમૃદ્ધિ એની આગળ તણખલાથી પણ તુચ્છ હતી ! ક્યાં સૂર્ય ? ક્યાં દીવો ? ક્યાં દરિયો ? ક્યાં કૂવો ?
મારા અહંકારને જબરદસ્ત ચોટ લાગી. અહંકારનો પારો ધડાક દઇને નીચે ઊતરી પડ્યો.
અહંકારી માણસ એમ જ માને છે કે મારા જેવો કોઇ નથી, પણ જ્યારે એ પોતાનાથી અધિક શક્તિશાળી માણસને જુએ છે ત્યારે એના મનની હાલત વિચિત્ર થઇ જાય છે ! દીવો અંધકાર વખતે અભિમાન કરે ત્યાં સુધી ઠીક છે. એનું અભિમાન જળવાઇ રહે છે, પણ સૂર્યોદય થતાં જ દીવાનો મહિમા ખતમ થઇ જાય છે. એના અહંકારને જબરદસ્ત ચોટ લાગે છે. એની આસપાસ ઘૂમનારા લોકો બંધ થઇ જાય છે. સારું છે કે દીવો સૂરજનો વિરોધ નથી કરતો... પણ આ જગ્યાએ માણસ હોય તો ? નથી લાગતું કે દીવો માણસથી વધારે સમજદાર છે ? દીવા પાસેથી જો આટલું શીખી લઇએ તો કેટલું સારું !
- ‘અભિમાન તો રાજા રાવણનું પણ નથી રહ્યું' એમ આપણે શા માટે કહીએ છીએ? કારણ કે ગમે તેવો મોટો માણસ હોય, પણ એથીય વિશેષ મોટો માણસ આ દુનિયામાં મળી જ રહેવાનો. શેરના માથે સવા શેર હોય જ ! રાવણ જેવા મોટા માણસનો પણ અહંકાર નથી રહ્યો તો બીજા કોનો રહેવાનો ? એક રીતે એ સારું જ છે. જેથી કોઇ માણસ પોતાને મળેલી વિશિષ્ટ શક્તિઓથી અત્યંત છકી ન જાય ! કુદરત એ રીતે બધાને નિયંત્રિત કરે છે, સમતુલા બનાવી રાખે છે ! જો એમ ન હોય તો માણસ કોઇનેય ગાંઠે નહિ !
ક્ષણવારમાં મારા અહંકારનો હિમાલય ઓગળી ગયો : અરેરે... મેં નકામો સમૃદ્ધિનો ગર્વ કર્યો. ક્યાં આ ઇન્દ્રની સાગર જેવી સમૃદ્ધિ ને ક્યાં મારી બિંદુ જેવી સમૃદ્ધિ ? કદાચ બિંદુ જેવી પણ નહિ ! આટલી સમૃદ્ધિ હોવા છતાં ઇન્દ્રમાં નમ્રતા કેટલી છે ? એ ભગવાનના દરેક અભિષેક વખતે બળદનું રૂપ લઇ અભિષેક કરે છે. ને જાણે ભગવાનને
આત્મ કથાઓ • ૭૨
કહે છે : ભગવન્! હું તો બળદીયો છું ! બુદ્ધિ વગરનો બળદીયો ! ઇન્દ્રની આવી નમ્રતા અને મારો આવો અહંકાર ? સાચે જ અધૂરો ઘડો છલકાય છે !
પૂરા સો છલકે નહિ છલકે સો અદ્ધા; ઘોડા સો ભૂકે નહિ કે સો ગદ્ધા //.
મારું અહંકાર પરનું ચિંતન આગળ ચાલ્યું. રાજ્યમાં પણ મને અહંકારનું પોષણ જ દેખાયું.
શું પડ્યું છે આ રાજ્યમાં ? અહંકારના પોષણ સિવાય રાજ્યસિંહાસનમાં બીજું કયું સુખ છે ? બધા લોકોને સમાન રીતે બે હાથ છે, બે પગ છે, બે આંખ છે, એક માથું છે. બધા મૂઠી ધાન જ ખાય છે. રાજા પણ કાંઇ એથી વધુ નથી ખાતો. બધા એક જોડી જ કપડા પહેરે છે. રાજા કાંઇ વધુ નથી પહેરતો. બધાને છ ફૂટની જ જમીન જોઇએ છે. રાજા કાંઇ વધુ નથી વાપરી શકતો. તો પછી રાજા બનવામાં સુખ શું ? ઊંડાણથી જોવા જઇએ તો સુખ તો નહિ, પણ દુઃખ જ છે. સતત ક્રૂર વિચારોમાં રહેવું ! યુદ્ધો કરવા ! સામ-દામ, દંડ, ભેદ આદિના વિચારોમાં રમ્યા કરવું ! સદા ટેન્શન લઇને ફરવું ! યુદ્ધો કરવા સજ્જ રહેવું ! કાવા-દાવા અને ખટપટો કર્યા જ કરવી ! લોકો તરફથી નિંદા સહવી ! સતત ચોકીદારોની વચ્ચે રહેવું ! મુક્તપણે ફરી ન શકવું ! નિર્ભયપણે ખાઇ ન શકવું ! શાંતિથી ઊંઘ કે ભોજન લઇ ન શકવા ! આમાં સુખ છે ક્યાં? એ તો કહો ! હા... વિવેકદૃષ્ટિ જ્યાં સુધી બિડાયેલી હોય છે ત્યાં સુધી આમાં પણ સુખ લાગે છે. પણ વિવેકદૃષ્ટિનો ઊઘાડ થતાં જ અહંકાર ઊભી પૂંછડીએ ભાગી છૂટે છે. અહંકાર ભાગતાં જ સુખની માન્યતાઓ પણ બદલાઇ જાય છે, સાચા અને નકલી સુખની પરખ થઈ જાય છે.
મારો અહંકાર ઓગળી ગયો હતો. વિવેકદૃષ્ટિનો ઉન્મેષ થઇ ગયો હતો અને સુખના સમીકરણો બદલાઇ ગયા હતા.
મેં વિચાર્યું : શા માટે અહંકારનો ભાર લઇને દુઃખી જીવન જીવવું? શા માટે અહંકારને અળગો મૂકી પ્રભુ-ચરણોમાં જીવન સમપિત ન
આત્મ કથાઓ • ૭૩