________________
રાજગાદી પર બિરાજમાન થઇશ. આ મારી ભવિષ્યવાણી છે. જા, તારા મગજના પાના પર લખી રાખ.”
ગુરુદેવની આવી દઢતાભરી વાણી સાંભળી મને હવે કાંઇક ધરપત થઇ.
ઉદયન મંત્રી પાસે જ ઊભા હતા. તેઓ મને પોતાને ઘેર લઈ ગયા અને મને પ્રેમથી જમાડ્યો. મને લાગ્યું : હવે એ દુઃખના દિવસો ગયા. રઝળપાટના દિવસો પૂરા થયા. પણ હંમેશની જેમ ફરી એક વખત મારી આશા ઠગારી નીવડી.
મને કોઇએ આવીને કહ્યું : કુમારપાળ ! સાવધાન ! તું અહીં છે, તેની ખબર સિદ્ધરાજને પડી છે. તને મારવા માટે સૈનિકો આવી રહ્યા છે. જલદી-જલદી તારી સુરક્ષાનો બંદોબસ્ત કરી લે.
હું ખળભળી ઊઠ્યો. ખંભાતમાં મારે જવું ક્યાં ? દધિસ્થલીમાં ઘર હતું. પાટણમાં બેન-બનેવી હતા... પણ અહીં કોણ ? અરે... જેનું કોઇ નથી એના ભગવાન છે, ગુરુ છે. મારે ચિંતા શું કરવાની ? ભગવાનના પ્રતિનિધિ ગુરુદેવશ્રી હેમચન્દ્રસૂરિજી અહીં જ છે. એમનું જ શરણું પકડી લઉં... હું તરત જ ત્યાં પહોંચ્યો. ગુરુદેવ વસ્તુસ્થિતિ પામી ગયા. કહ્યું: ચિંતા ન કર. બધા સારાં વાનાં થશે. અંબિકા દેવીનું વચન કદી અસત્ય નહિ થાય. ચાલ, મારી સાથે. હું કહું ત્યાં છુપાઇ જા. હું એમની સાથે ઉપાશ્રયની નીચેના ભોંયરામાં ગયો. ત્યાં પુષ્કળ તાડપત્રીય ગ્રંથો અને તાડપત્રોનો ઢગલો પડ્યો હતો. તમે એ તો જાણતા જ હશો કે હેમચન્દ્રસૂરિજી તો મહાન ગ્રંથકાર હતા. ગ્રંથો જ એમનું જીવન હતું. એમની પાસે જ્યારે જઇએ ત્યારે ગ્રંથોનું કાંઇને કાંઇ કામ ચાલતું જ હોય. એના માટે તાડપત્રો વગેરે પણ પડ્યા જ હોય. તાડપત્રોનો આવો સામાન ભોયરામાં પડ્યો હતો. મને તેમણે કહ્યું : તાડપત્રોના અને ગ્રંથોના ઢગલામાં છૂપાઇ જા. અમે તારી ઉપર અને આસપાસ પુસ્તકો અને તાડપત્રો ગોઠવી દઇશું. હું ભગવાનનું નામ લઇ ત્યાં બેસી ગયો.
થોડી જ વારમાં સિદ્ધરાજના સૈનિકો આવી પહોંચ્યા. ખંભાતમાં બધે જ તપાસ કરતા-કરતા આખરે ઉપાશ્રયે આવ્યા. પૂછ્યું : “ક્યાં છે કુમારપાળ ?'
આત્મ કથાઓ • ૩૯૮
સૂરિજીએ પૂરી સ્વસ્થતાથી કહ્યું : કુમારપાળ ? અહીં કુમારપાળ કેવો ને વાત કેવી ? તમને કોઇએ જૂઠી વાત કહી લાગે છે.
- આચાર્યશ્રીએ જીવનભર અસત્યનો ત્યાગ કર્યો હતો, છતાં આજે તેઓ જૂઠું બોલ્યા હતા. તમે કહેશો : આમ કેમ ? શું જૂઠું બોલવાથી આચાર્યશ્રીના સત્યવ્રતનું ખંડન ન થયું ? ના... જરાય નહિ. ઉલટું સત્યવ્રત વધુ મજબૂત થયું. સત્યવ્રતનો અર્થ એ નથી કે બધી સાચી વાતો કહી દેવી. કાણાને કાણો, આંધળાને આંધળો, સાચું છે તોય ન કહેવાય, સત્ય પણ અહિતકર, હિંસાવર્ધક કે અપ્રિય હોય તો કહી શકાય નહિ. માની લો કે જંગલમાં શિકારીએ એક માણસને હરણ ક્યાં ગયા છે ? એમ પૂછ્યું - ને પેલો તેના જવાબમાં, ‘પોતે જોયા હોવા છતાં મેં નથી જોયા’ એમ કહે તો જૂઠું બોલ્યો કહેવાય ? આ જૂઠું હોવા છતાં જૂઠું નથી. અસત્ય બોલવા છતાં સત્યવ્રત મજબૂત કર્યું કહેવાય. મારા પૂજ્ય ગુરુદેવશ્રી તો અગાધ જ્ઞાની હતા. અનુપમ ગીતાર્થ હતા. એમણે જે જૂઠા વચનનો પ્રયોગ કર્યો એ પણ સત્યની રક્ષા માટે. એ એમના જ્ઞાનમાં મને ધાર્મિક રાજા તરીકે જોઇ રહ્યા હતા. જૈન શાસનની મહાન પ્રભાવના જોઇ રહ્યા હતા. જ્યાં આવડો મોટો લાભ દેખાતો હોય ત્યાં નાનકડું અસત્ય, “અસત્યશી રીતે ગણાય ? માણસને જ નહિ, પશુઓને બચાવવા પણ કદાચ જૂઠું બોલવું પડે તો પણ તે ધર્મ છે તો માણસને... માણસમાં પણ ભવિષ્યમાં ધાર્મિક રાજા બનનારને બચાવવાની બાબતમાં તો પૂછવું જ શું ?
સૈનિકોએ ઉપાશ્રય જોયો. ભોંયરામાં પણ આવ્યા, પરંતુ પુસ્તકોના ઢગલા જોઇ, ‘આમાં કુમારપાળ શી રીતે હોઇ શકે ?' વિચારીને પાછા ગયા. મારા હૈયે શાંતિ થઇ.
મેં ગુરુદેવના ચરણે માથું નમાવ્યું અને આંસુ સારતાં કહ્યું : ગુરુદેવ ! આપ મારા પરમ હિતકર છો. આપનો દયામય જૈન ધર્મ કેવો હોય તેનો નમૂનો આજે મને જોવા મળ્યો છે. આપે મારા પ્રાણ બચાવ્યા. આપનો બદલો હું શી રીતે ચૂકવું? છતાં એટલું કહું છું કે જો હું પાટણની ગાદીએ બેસીશ તો અવશ્ય આપને ગુરુ બનાવીશ.
હું કુમારપાળ : ૩૯૯