________________
જૈન મુનિઓ હોવા જોઇએ. મારી ધારણા સાચી પડી. સાચે જ તેઓ જૈન મુનિઓ હતા. વચ્ચે ચાલતા આધેડ વયના સૌમ્ય તેજથી ઝળહળતા, બધાના ગુરુદેવ હોય તેવું લાગતું હતું. એમના ચહેરા પરથી જ એવું લાગતું હતું કે જાણે દુનિયાની બધી જ શાંતિ એકઠી થઇ અહીં રમી રહી હતી ! સંસારના દુઃખોના દાવાનળથી તપેલા માણસો અહીં આવવા સહેજે લલચાય એવી પ્રસન્ન તેમની અસ્મિતા હતી. હું તરત જ તેમની પાસે ગયો. મારી આપવીતી કહી સંભળાવી. પૂજય આચાર્યશ્રીના ચરણોમાં હું ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. પૂજ્યશ્રીએ મને આશ્વાસન આપ્યું. સત્ય માર્ગ બતાવ્યો. આહત ધર્મ સમજાવ્યો. દુઃખની ઉપકારકતા જણાવી. પૂજ્યશ્રીની મધુર વાણીથી મારું હૃદય આશ્વસ્ત બન્યું. ધગધગતી હૃદયની ભોમકા પર પૂજ્યશ્રીના વચનામૃતોની વૃષ્ટિ થતાં ટાઢક વળી. જૈન ધર્મનું શરણું સ્વીકાર્યું. દુઃખો પણ ઉપકારી હોય છે. આઘાતો પણ ઉંચે ઊઠવા માટે હોય છે, એવું પૂજ્યશ્રીનું તત્ત્વજ્ઞાન મેં મનમાં ઊંડે ઊતાર્યું.
દુઃખોથી માણસ ઘડાય છે. દુઃખોથી માણસને પ્રભુ યાદ આવે છે. દુઃખોથી પુરાણા પાપોનો નાશ થાય છે. દુઃખો આવે છે ત્યારે જ માણસને પોતાના જેવા બીજા દુઃખી જીવો યાદ આવે છે. આથી દુઃખોના માધ્યમે જીવો સાથે મૈત્રી, પ્રભુ સાથે પ્રીતિ થાય છે અને જાતનું શુદ્ધીકરણ થાય છે. દુઃખથી જ સુખની સંભાવનાના દ્વાર ખુલે છે. બી ધરતીમાં પડ્યા રહેવાનું દુઃખ અનુભવે નહિ ત્યાં સુધી તે ઝાડ બનવાનું સૌભાગ્ય પામી શકતું નથી. માટી નિભાડાની આગમાં ન પડે ત્યાં સુધી કુંભ બનવાનું સૌભાગ્ય પામી શકતી નથી. પથ્થર પણ શિલ્પીના ટાંકણા ન પડે ત્યાં સુધી તે પ્રતિમા બનવાનું સૌભાગ્ય પામી શકતો નથી. માણસ પર દુઃખના ડુંગર તૂટી ન પડે ત્યાં સુધી તેનું સત્ત્વ ખીલતું નથી, જીવનનો રાહ બદલાતો નથી. દુઃખથી માણસની ચેતના ઊર્ધ્વગામી બની શકે છે, તેના રાહ અને ચાહ પલટાઇ જઇ શકે છે. સીતા કે રામનાં જીવનમાં દુઃખો ન આવ્યા હોત તો, રામના મહિમાને લોકો જાણત શી રીતે ? પ્રભુશ્રી મહાવીર દેવના જીવનમાં દુઃખો ન આવ્યા હોત તો લોકો તેમનું મહાવીરત્વ' શી રીતે જાણી શકત ? ચંદનબાળાના જીવનમાં દુઃખો ન
આત્મ કથાઓ • ૩૭૮
આવ્યા હોત તો પ્રભુને પારણું કરાવવાનું સૌભાગ્ય કેવી રીતે મળ્યું હોત? રોહિણિયાને કાંટો ન વાગ્યો હોત તો પ્રભુશ્રીનાં વચનો શી રીતે સાંભળી શકત ? દુઃખ આવે છે ત્યારે માણસ બેબાકળો બની જાય છે, પણ જો શાણો થઇ પછીથી વિચારે તો દુઃખ એને મહાન ઉપકારક લાગે છે.” પૂજ્યશ્રીની આવી વાણી મારા કાનમાં કેટલાય વખત સુધી ગુંજતી રહી.
હવે મને લૂંટ-ફાટ તરફ સખત નફરત થઇ ગઇ હતી. માનવજીવનને સફળ બનાવવાના કોડ જાગ્યા હતા. મારી પલ્લીમાં પાછા જવાનું મન થતું ન હતું. ત્યાં જતાં જ મને લૂંટ-ફાટ, હત્યાના વિચારો આવી જાય તે સંભવિત હતું. ચારેબાજુ મેં લૂંટ અને હત્યામય જ વાતાવરણ બનાવી રાખ્યું હતું. એવા દૂષિત વાતાવરણને છોડીને હવે હું કોઈ નવા જ પ્રદેશમાં જઇ નવી જિંદગી શરૂ કરવા માંગતો હતો. હું ત્યાંથી નીકળી પડ્યો. એકલા-એકલો ચાલતા-ચાલતો હું દક્ષિણ ભારતમાં એકશિલા નગરમાં જઇ પહોંચ્યો. એકશિલામાં ક્યાં ઊભા રહેવું? શું કરવું ? આ બધા પ્રશ્નો તો હતા જ, પણ એક દયાળુ શેઠે મને પોતાને ત્યાં નોકરીએ રાખી લેતાં એ પ્રશ્નો હલ થઇ ગયા.
મારા જીવનનું ઉત્થાન હવે શરૂ થઇ ગયું હતું. મને નિમિત્તો સારા મળતા રહ્યા. એક દિવસે એકશિલામાં એ જ પૂજ્ય આચાર્ય યશોભદ્રસૂરિજી ભગવંત પધાર્યા. હું તો પૂર્વપરિચિત હતો જ, મારા શેઠ પણ પૂજ્યશ્રીના પરિચયમાં આવતાં જૈનધર્મી બન્યા. આખું કુટુંબ ધર્મના રંગે રંગાયું. ધર્મ આવતાં હવે મારા જીવનની બધી જ હતાશા ખંખેરાઇ ગઇ હતી. નવો ઉત્સાહ, નવો આનંદ, નવી ઉષ્મા, નવું ચૈતન્ય - મારા માટે બધું હવે નવું નવું જ હતું.
એક વખતે ગામમાં ઉજાણીનો પ્રસંગ આવ્યો. મારા દયાળુ શેઠે ઉજાણીમાં વાપરવા માટે મને પાંચ કોડી આપી. આખું ગામ ઉજાણી કરે અને મારે ત્યાં નોકરી કરતો નોકર એમને એમ રહે એમ કેમ ચાલે ? શેઠે દયા-ભાવથી પાંચ કોડી આપેલી. પણ મને વિચાર આવ્યો, ઉજાણીમાં પાંચ કોડી ખર્ચવાથી શું મળવાનું ? ક્ષણ ભરનો આનંદ જ ને ? આવા ક્ષણભંગુર આનંદમાં પૈસા વેડફવા એના કરતાં કોઈ ઉમદા કામ ન કરું ?
હું કુમારપાળ • ૩૭૯