________________
મહત્ત્વના મમત્વથી મન મુક્ત ખરું?
મન ન બગાડવું આપણા જ
- હાથમાં છે
જે સ્વજનોનો ત્યાગ કરીને આપણે આ સંયમના માર્ગે આવી ગયા છીએ એ સંયમજીવનમાં એ સ્વજનો પ્રત્યે લેશ મમત્વ ઊભું ન રહ્યું હોય એ સમજાય તેવી વાત છે.
તપશ્ચર્યાના રસ્તે હરણફાળ ભરતા રહીને શરીર પ્રત્યેના મમત્વને આપણે આ જીવનમાં તોડી રહ્યા હોઈએ એ ય સમજાય તેવી વાત છે.
પણ એક વાત પૂછું? મન મહત્ત્વના મમત્વથી મુક્ત થઈ જ ગયું છે એવું લાગે છે ખરું ? “મને આદર મળવો જ જોઈએ? મારી કદર થવી જ જોઈએ’ ‘મારી ઉપસ્થિતિની નોંધ લેવાવી જ જોઈએ’ આ બધા ભાવો મહત્ત્વના મમત્વના સૂચક છે.
જો એ મમત્વથી આપણે મુક્ત નથી બની શક્યો, નથી બનવા માગતા તો સમજી રાખવું કે સંયમનાં પરિણામ આપણાં જોખમમાં છે.
કાયાને આપણે ન બગડવા દેવા માગતા હોઈએ તો ય એ આપણા હાથની વાત નથી. રોગ શરીરમાં ગમે ત્યારે પેદા થઈ જાય છે અને કાયા રોગગ્રસ્ત બની જાય છે.
વચનને જીવનભર માટે આપણે કોમળ અને મધુર રાખવા માગતા હોઈએ તોય એ આપણા હાથમાં નથી, કોક ગલત નિમિત્ત ઊભું થઈ જાય છે, પરિસ્થિતિ જ એવી નિર્માણ થઈ જાય છે કે આપણા મુખમાંથી કર્કશવચનો નીકળી જ જાય છે.
મન ન બગાડવું હોય તો એ આપણાં જ હાથની વાત છે. વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ ગમે તેવા પ્રતિકૂળ આવે, ધારીએ તો મનને આપણે નિર્મળ રાખી જ શકીએ છીએ અને છતાં દુઃખદ કરુણતા એ છે કે મનને આપણે બગાડતા જ રહીએ છીએ. એ ય સામે ચડીને અને અફસોસ વિના! શું થશે આપણું?