________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થાય, પણ એ બત્રીસ મુગ્ધાઓના ભવિષ્યનું શું? એમનું ભરપુર યૌવન છે, અનુપમ રૂપ-લાવણય છે.. ભીતરમાં અનેક વૈષયિક ઇચ્છાઓ પડી હશે. એ ઇચ્છાઓનો નિગ્રહ કરવા શું એ સમર્થ બની શકશે? હા, પ્રભુ વીરનો ઉપદેશ એમનાં હૃદયને સ્પર્શે, એ કરુણાવંતની કરુણતાભરી દૃષ્ટિ એમના પર પડે...અને એ મારી પુત્રવધૂઓ ચારિત્ર લેવા તત્પર બની જાય, તો એમનું વૈધવ્ય એમના માટે આશીર્વાદરૂપ બની જાય. મારે પ્રભુની પ્રતીક્ષા કરવી રહી.
એક દિવસ રાજમહેલમાંથી મહારાણી ચલણાનો સંદેશો આવ્યો : ‘દેવી, મારી તીવ્ર ઇચ્છા તમને મળવાની છે. તમે જો અહીં ના આવી શકો તો હું તમારી પાસે આવું!' જોકે આ સંદેશો અનપેક્ષિત હતો, છતાં મને નવાઈ ન લાગી. મહારાજાએ મારા બત્રીસ પુત્રોના મૃત્યુની વાત નવી રાણીને કરી જ હશે. અને એ કોમળ હૃદયની રાણી કકળી ઊઠી હશે. એ મને આશ્વાસન આપવા ઇચ્છતી હશે મેં વિચાર્યું કે જો ચેલણા અહીં આવે તો મારી પુત્રવધૂઓ સાથે પણ વાર્તાલાપ કરી, એમને શાંતિ આપી શકે. એટલે હું રાણીને અહીં જ બોલાવું.” મે સંદેશો મોકલ્યો કે અત્યારે શોકનું વાતાવરણ હોવાથી હું ત્યાં નહીં આવી શકું. આપ મારી હવેલીને પાવન કરો.”
થોડી જ વારમાં રાજમહેલનો રથ મારી હવેલીના દ્વારે આવીને ઊભો. મેં રાણીનું આદરપૂર્વક સ્વાગત કર્યું. રાણીને હું મારી સાથે હવેલીના મધ્યખંડમાં લઈ આવી. એક સુંદર આસન પર બેસાડ્યાં.
આપને અહીં આવવા માટે તસ્દી આપવી પડી, તેનો મને ખેદ છે, પણ હું લાચાર હતી...”
દેવી, તમારી લાચારી હું જાણું છું. મહારાજાએ પોતે મને બધી વાત કરી. તેઓ ખૂબ દુઃખી છે. પોતાના બત્રીસ મિત્રોને યાદ કરીને આંસુ પાડે છે...એમના ગુણો અને પરાક્રમો ગાતાં ધરાતા નથી. તેઓ તીવ્ર ગ્લાનિ સાથે કહે છે : “મારી વિષયતૃષ્ણાના પાપે મારા રાજ કુમાર જેવા બત્રીસ મિત્રો, અંગરક્ષકો રણમાં રોળાઈ ગયા. મારા ઉલ્લાસભર્યા મનનાં ચીંથરાં ઊડી ગયાં. કોઈએ તલવારના એક ઝાટકે મારું મસ્તક ધડથી જુદું કરી દીધું હોત તો મને એનું આટલું દુઃખ ન થાત. આટલી
૧૪૪
સુલાસા
For Private And Personal Use Only