________________
હવેલી જોઈ, ઝૂંપડું પાડવું નહીં
કોક અજ્ઞાત લેખકની આ પંક્તિઓ : માનવ-સંબંધના વ્યવહારોમાં આપણને હંમેશાં એક વ્યક્તિની બીજી વ્યક્તિ સાથે સરખામણી કર્યા કરવાની અને તે સરખામણીના આધારે જ મનુષ્યોનું મૂલ્યાંકન કરવાની અત્યંત વિકૃત આદત વારસામાં મળેલી છે
પરંતુ ખરેખર તો આપણે વ્યક્તિનું મૂલ્યાંકન
તેની પોતાની ક્ષમતાના પ્રમાણમાં
તે કેવો દેખાવ કરી રહી છે
તેને આધારે કરવું જોઈએ.
નહીં કે અન્યોની ક્ષમતાની સરખામણીમાં
ખબર નહીં કેમ, પણ માનવમનનો આ સ્વભાવ બની ગયો છે કે સતત એને અન્યના સુખ સાથે પોતાના સુખની સરખામણી કરતા રહ્યા વિના ચેન પડતું નથી. અને સરખામણી કરતા રહેવાની આ વૃત્તિનું પરિણામ એ આવે છે કે અન્યનું સુખ પોતાનું સુખ તો બનતું નથી પરંતુ પોતાની પાસે રહેલ સુખ પણ સુખરૂપ ન લાગતાં એને દુઃખરૂપ લાગવા માંડે છે.
હવેલી જોઈ બીજાની. એવી હવેલી બનાવવાનો પુરુષાર્થ તો શરૂ કર્યો પણ એ પુરુષાર્થને પુણ્યનું પીઠબળ ન મળવાના કારણે હવેલી બની તો નહીં પરંતુ પોતે જે ઝૂંપડીમાં રહેતો હતો એ ઝૂંપડી પણ એને અકારી લાગવા માંડી. પરિણામ ? બીજાનું સુખ પોતાનું સુખ બન્યું નહીં અને આજ સુધી જે સુખ પોતાની પાસે હતું જ એ ય એને માટે દુઃખરૂપ બની ગયું !
મનની એક ગજબનાક વિચિત્રતા ખ્યાલમાં છે ? એ પોતાનાં સુખની વધુ સુખીનાં સુખ સાથે સરખામણી તો કર્યા કરે છે પરંતુ પોતાનાં દુ:ખની, અન્ય વધુ
e
દુઃખીનાં દુ:ખ સાથે સરખામણી નથી કરતું તો એ જ રીતે પોતાના ગુણની, અન્ય વધુ ગુણીના ગુણ સાથે સરખામણી તો કરે છે પણ પોતાના વધુ દોષોની અન્યના ઓછા દોષ સાથે સરખામણી નથી કરતું !
‘કબૂલ, મને પેટમાં દર્દ છે પણ સામાને તો કૅન્સરની જાલિમ રિબામણ છે. કબૂલ, મારે ધંધામાં મંદી છે પણ સામાને તો પચાસ લાખનું દેવું થઈ ગયું છે. કબૂલ, મારો બાબો મંદબુદ્ધિનો છે પણ સામાના બાબાને તો ગાંડાની હૉસ્પિટલમાં દાખલ કરવો પડ્યો છે. કબૂલ, મારો દીકરો મારા કહ્યામાં નથી પણ સામાનો દીકરો તો રોજ એના બાપને મારી રહ્યો છે.’
મન જો આ સરખામણી કરવા તૈયાર થઈ જાય તો આજે દુઃખમાં એ અસમાધિનું જે રીતનું શિકાર બની રહ્યું છે એ અસમાધિ દૂર થઈ જાય અને સહજ રૂપે પોતાની સમાધિને એ અકબંધ રાખી શકે.
એ જ રીતે ‘મારામાં તો ઉદારતા જ છે પણ સામો તો ઉદારતા સાથે ક્ષમાને પણ લઈને બેઠો છે. હું પ્રભુપૂજા તો કરું જ છું પરંતુ સામો તો પ્રભુપૂજા ઉપરાંત સામાયિક પણ કરે છે. હું પ્રવચનમાં તો જાઉં છું પરંતુ સામો તો પ્રવચનશ્રવણ ઉપરાંત ગુરુદેવના
સાંનિધ્યને પણ માણતો રહે છે.
જો મન આ સરખામણી કરવા તૈયાર થઈ જાય તો ગુણક્ષેત્રે અત્યારે એ જે અસંતુષ્ટિ અનુભવતું જ નથી એ અસંતુષ્ટિ એનામાં પ્રગટી જાય અને આ અસંતુષ્ટિ એને ગુણ ઉઘાડના ક્ષેત્રે પ્રબળ પુરુષાર્થ કરાવવા પ્રોત્સાહક બનીને જ રહે.
આવો, અધિક સુખીને આંખ સામે રાખીને પ્રાપ્ત સુખને દુઃખમાં રૂપાંતરિત કરી દેવાની બાલિશતા દાખવવાનું બંધ કરીને જ રહીએ.