________________
પોતાના ઇષ્ટદેવનું નામ સ્મરણ કરવું. તથા સરખું, પહોળું અને ઘણું નીચું ઊંચું નહીં એવા સ્થિર આસન ઉપર બેસી પોતાની માસી, માતા, બહેન અથવા પત્નીવગેરે લોકોએ રાંધેલું તથા પવિત્ર અને ભોજન કરેલા લોકોએ આદરથી પીરસેલું ભોજન એકાંતમાં જમણો સ્વર વહેતો હોય ત્યારે આરોગવું. ભોજન કરતી વેળાએ મૌન રાખવું, તથા શરીર વાકુંચૂંકું નહીં રાખવું અને પ્રત્યેક ખાવા યોગ્ય વસ્તુ સુંઘવી, કેમકે, તેથી દૃષ્ટિદોષ ટળે છે. ઘણું ખારૂં, ખાટું, ઘણું ગરમ, તથા ઘણું ઠંડું અન્ન ખાવું નહીં. શાક ઘણું નહીં ખાવું. અતિશય મીઠી વસ્તુ નહીં ખાવી. તથા રુચિકર વસ્તુ પણ ઘણી નહીં ખાવી.
અતિશય ગરમ ભોજન રસનો નાશ કરે, અતિશય ખાટું અન્ન ઇંદ્રિયોની શક્તિ ઓછી કરે, અતિશય ખારું અન્ન નેત્રોને વિકાર કરે અને અતિશય ચીકણું અન્ન ગ્રહણીને (કોઠામાંની છઠ્ઠી કોથળીને) બગાડે. કડવા અને તીખા આહારથી કફનો, તૂરા અને મીઠા આહારથી પિત્તનો, સ્નિગ્ધ અને ઉષ્ણ આહારથી વાયુનો તથા ઉપવાસથી બાકીના રોગોનો નાશ થાય છે. જે પુરુષ શાકભાજી બહુ ન ખાય, ઘીની સાથે અન્ન ખાય, દૂધ આદિ વાપરે, બહુ પાણી ન પીએ, અજીર્ણ વખતે ભોજન ન કરે, એકી - બેકીની શંકા ન હોય ત્યારે આહાર કરે તથા ચાલતાં ખાય નહીં, અને ખાધેલું પચ્યા પછી અવસરે ભોજન કરે, તેને ઘણા ઓછા રોગ થાય છે.
નીતિના જ્ઞાતા પુરુષો પ્રથમ મધુર, વચ્ચે તીખું અને છેડે કડવું એવું દુર્જનની મૈત્રી સરખું ભોજન ઇચ્છે છે. (દુર્જનની મૈત્રી શરુમાં આનંદદાયક - મીઠી લાગે, પણ છેવટે પીડાકારક-કડવી થાય.) પ્રથમ મધુર અને સ્નિગ્ધ રસ યુક્તનું ભોજન કરવું, મધ્યે ખટાશ અને ખારાશયુક્ત પ્રવાહી વાપરવું. તથા અંતે કડવા અને તીખારસવાળું વાપરવું. પુરુષે પહેલા પ્રવાહી વચ્ચે કડવા રસ અને અંતે ફરી પ્રવાહી આહાર કરવો, તેથી બળ અને આરોગ્ય જળવાય છે.
- પાણી કેમ અને ક્યારે પીવું? ભોજનની શરૂઆતમાં પાણી પીએ તો અગ્નિ મંદ થાય. મધ્યભાગમાં પીએ તો રસાયન માફક પુષ્ટિ આપે અને અંતે પીએ તો ઝેરની જેમ નુકસાન કરે. માણસે ભોજન કરી રહ્યા પછી સર્વરસથી ખરડાયેલા હાથે પાણીનો એક ઘૂંટડો પીવો. (જેથી બધા રસ પેટમાં જાય.) પશુની જેમ ઘણું પાણી પીવું નહીં, પીતા જે બચે તે છોડી દેવું. તથા ખોબેથી પણ ન પીવું. કેમકે, પાણી પરિમિત પીવું તે જ હિતકારી છે. ભોજન કરી રહ્યા પછી ભીને હાથે બે ગાલને, ડાબા હાથને અથવા નેત્રોને સ્પર્શ ન કરવો. પરંતુ કલ્યાણ માટે બે ઢીંચણને હાથ લગાડવા.
ભોજન પછીના કૃત્યાકૃત્ય બુદ્ધિશાળી પુરુષે ભોજન કરી રહ્યા પછી અમુક સમય સુધી શરીરનું મર્દન, મળ-મૂત્રનો ત્યાગ, ભાર ઉપાડવો, બેસી રહેવું, નહાવું વગેરે કરવું નહીં. ભોજન કર્યા પછી તરત બેસી રહે તો પેટ મેદથી જાડું થાય, ચત્તો સૂઇ રહે, તો બળની વૃદ્ધિ થાય. ડાબે પડખે સુઇ રહે તો આયુષ્ય વધે, અને દોડે તો મૃત્યુ સામું આવે. ભોજન કરી રહ્યા પછી તુરત બે ઘડી ડાબે પડખે સૂઇ રહેવું, પણ ઉંઘવું નહીં. અથવા તો પગલાં ચાલવું. આ રીતે ભોજનનો લૌકિક વિધિ કહ્યો છે. સિદ્ધાંતમાં કહેલી વિધિ નીચે પ્રમાણે છે – ૨૦૨
શ્રાદ્ધવિધિ પ્રકરણ