________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાગ અને દ્વેષ
Te
અનાદિકાળથી આત્મભૂમિમાં આ રાગ-દ્વેષનાં મૂળ જામેલાં છે; એનો ઉચ્છેદ કરવા પૂર્વે એ રાગદ્વેષને એના સ્વરૂપે ઓળખી લેવાં જરૂરી છે. તે માટે અહીં ગ્રંથકાર મહાત્મા એની ઓળખાણ કરાવે છે. હજુ વિશેષ ઓળખાણ કરાવવા એક વધુ કારિકા કહે છે :
मायालोभकषायश्चेत्येतद्रागसंज्ञितं द्वन्द्वम् ।
क्रोधो मानश्च पुनद्वेष इति समासनिर्दिष्टः ||३२||
અર્થ : માયા અને લોભનું જોડલું રાગ છે અને ક્રોધ-માનનું જોડલું દ્રુપ છે એમ સંક્ષેપમાં કહી શકાય.
વિવેચન : ચાર કષાયોનું સંક્ષેપીકરણ રાગ અને દ્વેષમાં થાય છે. જ્યારે જ્યારે ‘રાગ' શબ્દ સામે આવે ત્યારે ત્યારે ‘માયા' અને ‘લોભ' કલ્પનામાં ઊપસી આવવાં જોઈએ. એવી રીતે માયા કે લોભનું આચરણ થયું કે તુરત જ ‘મૈં રાગ કર્યો,’ આ વાત સમજાઈ જવી જોઈએ.
‘દ્વેષ’ શબ્દ કાને પડતાં જ ‘ક્રોધ’ અને ‘માન' ની કલ્પના આવી જવી જોઈએ. ક્રોધથી તો દ્વેષ સમજાઈ જાય છે. અર્થાત્ ક્રોધ તો દ્વેષરૂપે પ્રસિદ્ધ છે, પરંતુ અભિમાન દ્વેષરૂપે પ્રસિદ્ધ નથી; એટલે અભિમાન કરવા છતાં ‘મેં દ્વેપ કર્યો,' આ કલ્પના આવતી નથી. જો કે અભિમાન આવે છે એટલે ક્રોધનું કોઈ ને કોઈ રૂપ આવી જ જાય છે. છતાંય સામાન્ય બુદ્ધિનો મનુષ્ય ‘માન’ને ‘દ્વેષ’ સમજી શકતો નથી.
‘અભિમાન એ દ્વેષ છે,' આ વાત અહીં સ્પષ્ટ કરીને ભગવાન ઉમાસ્વાતિજી દ્વેષ અને માનની પ્રગાઢ મૈત્રી બતાવે છે! ક્રોધી અભિમાની હોય જ! અને અભિમાની ક્રોધી હોય જ! ક્રોધ હોય ત્યાં અભિમાન અને અભિમાન હોય ત્યાં ક્રોધ! બંને છે દ્વેષ!
એવી જ રીતે માયા અને લોભ, રાગ વિના માયા નહીં અને રાગ વિના લોભ નહીં. રાગ હોય તો જ માયા અને રાગ હોય તો જ લોભ! લોભી માયાવી હોવાનો જ. માયાવી લોભી હોવાનો. લોભવૃત્તિ જીવાત્માને માયાકપટ કરવા પ્રેરે છે; અને માયા-કપટ જીવ ત્યારે જ કરે છે, જ્યારે એને કોઈ ને કોઈ વિષયનો લોભ જાગેલો હોય છે.
ગ્રંથકાર હવે આગળ ચાર કષાયોના બદલે એનું ટૂંકું રૂપ ‘રાગ-દ્વેષ’ ઉપયોગમાં લેવાના છે; તેનો અર્થ આપણે ક્રોધ-માન-માયા અને લોભ સમજવાનો. તે રાગ અને દ્વેષ, કર્મબંધમાં કેવી રીતે નિમિત્ત બને છે, તે સમજાવવા ગ્રંથકાર આગળ વધે છે -
For Private And Personal Use Only