________________
લબ્ધિધર અષાઢાભૂતિ મુનિવર !
આજે મધ્યાહ્નકાળે તમે ગુરુદેવની આજ્ઞા લઈને મહદ્ધિક નામના નટના ઘરમાં ગોચરી આવી ગયા છો. એ નટની બે કન્યાઓ છે, એકનું નામ છે ભુવનસુંદરી જ્યારે બીજીનું નામ છે જયસુંદરી. એ બંને કન્યાઓએ ભેગા મળીને આપના પાત્રામાં સુગંધી દ્રવ્યોવાળો એક મોદક વહોરાવ્યો છે.
એ મોદક લઈને આપ ઘરની બહાર આવી તો ગયા છો પણ આપના મનમાં એક વિચાર આવી ગયો છે.
આ મોદક તો મારે ગુરુદેવને જ આપવો પડશે. મારા ભાગે તો કાંઈ જ નહીં આવે. લાવ, યુવાવસ્થાના સાધુનું રૂપ કરીને હું ફરીવાર આ ઘરમાં જાઉં અને બીજો મોદક વહોરી આવું.'
આપ એ રૂપ કરીને પુનઃ નટના ઘરમાં દાખલ થયા અને નટકન્યાઓએ પુનઃ આપના પાત્રમાં એક મોદક વહોરાવ્યો. એ મોદક વહોરીને ઘરની બહાર નીકળી જઈને આપ છેક પોળના દરવાજા સુધી આવી ગયા અને આપના મનમાં પુનઃ એક વિચાર આવી ગયો.
“આ બીજો મોદક તો મારે ધર્માચાર્યને આપવો પડશે. મારા ભાગે શું? લાવ, કાણી આંખવાળા અતિ વૃદ્ધ સાધુનું રૂપ કરીને હું ફરીવાર એ ઘરમાં જઈને ત્રીજો મોદક વહોરી આવું.'
આપ એ રૂપ કરીને ત્રીજી વાર એ નટના ઘરમાં દાખલ થઈને ત્રીજો મોદક વહોરીને બહાર તો આવ્યા પણ પુનઃ આપના મનમાં એક વિચાર કબજો જમાવી લીધો.
‘આ ત્રીજો મોદક તો મારે ઉપાધ્યાયને આપવો પડશે. મારા માટે તો કાંઈ જ નહીં બચે. લાવ, કૂબડા સાધુનું રૂપ કરીને એ ઘરમાં જઈને પુનઃ એક મોદક વહોરી આવું.”
એ રૂપ કરીને ચોથો મોદક વહોરી આવવામાં ય આપને કોઈ તકલીફ તો ન પડી પણ પુનઃ એક નબળા વિચારે આપના મનનો કબજો લઈ લીધો.
આ ચોથો મોદક પણ મારા ભાગે તો નથી જ આવવાનો કારણ કે એ મારે મારા વડીલ ગુરુભાઈને આપવો પડશે. લાવ, કોઢીયા સાધુનું રૂપ કરીને હું પાંચમો મોદક વહોરી આવું.'
એ પાંચમો મોદક પણ નટકન્યાઓએ આપને વહોરાવી દીધો પણ આપનું મન પુનઃ વિચારમાં ચડી ગયું.
આ મોદક પણ મને નથી લાગતું કે મારા પેટ સુધી પહોંચે કારણ કે સંઘાડાના એક સાધુને તો મારે મોદક આપવો જ પડશે. લાવ, હજી એક બાળમુનિનું નવું રૂપ કરીને એ ઘરમાં જઈને મોદક વહોરી આવું.'
અને એ રૂપ કરીને આપ છઠ્ઠો મોદક વહોરી તો આવ્યા પણ એ ઘરની બારી પાસે બેઠેલા મહદ્ધિક નટે આપનું આ સર્વ ચરિત્ર જોઈ લીધું છે અને એને થઈ ગયું છે કે “આ સાધુ ખૂબ કુશળ નટ થઈ શકે તેમ છે જો એ આ સંસારમાં આવી જાય તો !'
મનની આ ભાવના પોતાની કન્યાઓ આગળ રજૂ કરતાં એણે એટલું જ કહ્યું છે કે “આ સાધુને સારી સારી ગોચરી વહોરાવતા રહીને તમે એને એવો આવર્જિત કરી દેજો કે રોજ એ આપણે ત્યાં ગોચરી વહોરવા આવતો જ રહે. કેમકે તે આપણા માટે સુવર્ણપુરુષ છે. તે અનેક રીતે રૂપનું પરાવર્તન કરવાની લબ્ધિ જાણે છે. આમે ય એ સાધુ રસનો લોભી છે. એટલે તરત ફસાઈ જશે. માયાવીને માયા જ બતાવવી.'
૧ ૨