________________
બાર પ્રકારની હિંસાઓ
૧૭૫
સંઘ (સત્તા) હિંસા
(૯) સંઘ એટલે ચતુર્વિધ જૈન-સંઘ : તેની સત્તા. એ સંઘસત્તા, લોકસત્તા દ્વારા ખતમ કરાઈ રહી છે, તારક તીર્થંકરદેવોએ સ્થાપેલા સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાના ચતુર્વિધ સંઘમાં શ્રમણની પ્રધાનતા છે. શ્રમણોમાં આચાર્યની પ્રધાનતા છે. આથી આ સંઘ આચાર્યપ્રધાન-શ્રમણપ્રધાન ચતુર્વિધ સંઘ કહેવાય. - આ શ્રીસંઘનો સભ્ય તે જ ગણાય જેણે તારક તીર્થંકરદેવની તમામ આજ્ઞાઓને માથે ચડાવી હોય. હા. તે બધી આજ્ઞાઓનો પાલક ન પણ હોય; તો ય તે આજ્ઞાઓનો કટ્ટર પક્ષપાતી તો હોય જ. આ સંઘનો સભ્ય પ્રભુ-આજ્ઞા મુજબ રાત્રિભોજન કરે જ નહિ; અને જો કરે તો ય રાત્રિભોજનત્યાગનો જ તે કટ્ટર પક્ષપાતી હોય. આવો યથાશક્તિ પાલક; અને શેષમાં કટ્ટર પક્ષકાર તે જૈનસંઘનો સભ્ય ગણાય.
જે કહેવાતા જૈનો આવા પાલક : પક્ષકાર નથી તેમનો બનેલો સંઘ તે સંઘ નથી. તે તો માત્ર હાડપિંજર છે!” એમ સંબોધસિત્તરિમાં કહેવામાં આવ્યું છે. એકેક જ સાચા-સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાનો પણ સંઘ હોઈ શકે. પાંચમા આરાના છેડે આવો જ સંઘ રહેવાનો છે.
આવો સાચો જૈન-સંઘ એ ચોવીસ જિનેશ્વરદેવોની ગેરહાજરીમાં પચ્ચીસમાં તીર્થકરની તુલ્ય મનાયો છે. તેની આણ કોઈથી લોપી શકાય નહિ.
નેપાળમાં સાધના કરી રહેલા ભદ્રબાહુસ્વામીને સંઘે પટણા આવીને ભુલાએલું શ્રુત સાધુઓને આપીને અખંડિત કરવા માટે જણાવ્યું ત્યારે આચાર્યદેવ પોતાની સાધનાનો ભંગ થવાના કારણે ના પાડી ત્યારે શ્રીસંઘે ફરી માણસ મોકલીને પુછાવ્યું કે “સંઘની આજ્ઞા માન્ય ન કરે તેને શું પ્રાયશ્ચિત આવે?'' અને.... આચાર્યદેવને પોતાની ભૂલ સમજાઈ તેમણે માફી માંગવા સાથે એવો રસ્તો કાઢ્યો, જેમાં બન્ને બાબતો સચવાઈ ગઈ.