SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ (પ્રસ્તાવતા) ડૉ. નીરુબહેન અમીન નહિ. આપણાથી ભગવાન સીમંધરની મૂર્તિ ઘેર રખાય. એને કોઈ કાયદાઓ લાગુ નથી પડતા. આ તો જીવતા ભગવાન છે ! પ્રત્યક્ષ જ છે, મૂર્તિ નથી !' સંપૂજ્ય દાદાશ્રી કાયમ કહેતા કે મૂળનાયક સીમંધર સ્વામીના ઠેર ઠેર દેરાસરો બંધાશે, ભવ્ય દેરાસરો બંધાશે, ઘેર ઘેર સીમંધર સ્વામીની પૂજા-આરતીઓ થશે ત્યારે દુનિયાનો નકશો કંઈ ઓર થઈ ગયો હશે ! અને ભગવાન સીમંધરની ભક્તિ તેમના વિશે જરાક વાત કરતાં જ લોકોના હૃદયમાં ચાલુ થઈ જાય છે ! દિનરાત સીમંધર સ્વામીને દાદા ભગવાનની સાક્ષીએ નમસ્કાર કર્યા કરવાના. દરરોજ સીમંધર સ્વામીની આરતી, ૪૦ વખત નમસ્કાર વિધિ કરવાના. (બને તો ૪૦ વખત સાષ્ટાંગ દંડવત્ સાથે થાય તો ઉત્તમ એવું સહજ સૂચન.) સીમંધર સ્વામીની પ્રાર્થના, વિધિ અને સીમંધર સ્વામીના ચરણોમાં સદા મસ્તક રાખી અનન્ય શરણાંની સતત ભાવનામાં રહેવું. સંપૂજ્ય શ્રી દાદાશ્રીએ વારેવારે કહેલું છે કે અમે પણ સીમંધર સ્વામી પાસે જવાના ને તમે પણ ત્યાં જ પહોંચવાની તૈયારી કરો. એ સિવાય એકાવતારી કે બે અવતારી થવું મુશ્કેલ છે ! ફરી પાછો જન્મ જો આ જ ભરતભૂમિમાં થાય તો હળહળતો પાંચમો આરો ચાલતો હોય ત્યાં મોક્ષની વાત તો બાજુએ રહી પણ પાછો મનુષ્યભવ મળવો પણ દુર્લભ છે ! એવા સંજોગોમાં અત્યારથી જ ચેતીને, જ્ઞાનીઓએ બતાવેલા માર્ગને પકડી લઈને, એકાવતારી પદની જ પ્રાપ્તિ કરી લઈએ ! ફરી ફરી આવો તાલ ખાય એવો નથી. વહેતાં પાણીના વહેણને ફરી પકડાય નહિ, વહેતો સમય પાછો પકડાય નહિ. આવેલી તક ગુમાવે, તેને ફરી તક મળવાનો તાલ ખાય નહિ, માટે આજથી જ મંડી પડીએ ને ગાયા કરીએ.... ‘શ્રી સીમંધર સ્વામીના અસીમ જય જયકાર હો !” સીમંધર સ્વામી કોણ ? ક્યાં છે ? કેવા છે ? એનું ક્યું પદ છે ? તેમજ તેમનું મહત્ત્વ કેટલું છે તેની સમગ્ર શક્ય તેટલી માહિતીઓ પૂજ્યશ્રી દાદાશ્રી સ્વમુખે નીકળેલી, તેનું અત્રે સંકલન થઈ પ્રકાશિત થાય છે. જે મોક્ષમાર્ગીઓને એમની આરાધના માટે અતિ અતિ ઉપયોગી નિવડશે ! - જય સચ્ચિદાનંદ પંચમ્ આરામાં મોક્ષની અંતિમ કડી ! અનંત ચોવીસીઓ આવી ને છતાં આ જીવ ના બૂઝયો, એ રઝળપાટનો આરો ન આવ્યો ! હવે લાખ માથા પછાડીએ, તો પણ સિદ્ધશિલાએ બિરાજેલા અનંત તીર્થંકરો શું કરે ? તે પ્રત્યક્ષ હતા ત્યારે આપણો આત્મા પણ ભટકતો ભટકતો તેમને ભેટ્યો તો હશે જ ને ? આમ છતાં આપણી આંખો ખૂલી નહિ. આજે જ્યારે આપણે તીર્થકરોના સ્વરૂપને તેમની સત્તાને તથા તેમની મહત્તાને સમજી શક્યા છીએ, ત્યારે આ કાળે, આ ક્ષેત્રે કોઈ તીર્થંકર વિદ્યમાન નથી ! આને પંચમકાળના જીવોનું હભાગ્ય નહિ, તો બીજું શું કહેવું ? શું ત્યારે આ મનુષ્યભવ એળે જવાનો ? મોક્ષનો અર્થ, મોક્ષનો ઉપાય, મોક્ષનો માર્ગ તથા મોક્ષની મહત્તા સમજ્યા છતાં ય આ જીવને કંઈ પ્રકાશ લાધી ન શકે શું ? આ પંચમ્ આરામાં એકાદ છેલ્લી તક મળી ન શકે શું ? જ્ઞાની પુરુષો આ રૂંધાયેલા માર્ગને મોકળો કરી આપે છે. છેલ્લી તક દેખાડી દે છે. વિદ્યમાન તીર્થંકર કે જે આ કાળે આ ક્ષેત્રે નથી, પણ અન્ય ક્ષેત્રે એટલે કે મહાવિદેહ ક્ષેત્રમાં વર્તમાને વિહરમાન છે. એવાં દેવાધિદેવ, ચૌદલોકના નાથ, સમગ્ર બ્રહ્માંડને પ્રકાશમાન કરનારા, કેવળજ્ઞાની ભગવાન શ્રી સીમંધર સ્વામીનું સંધાન પ્રગટ જ્ઞાની પુરુષ કરાવી દે છે. આ કાળે, આ ક્ષેત્રથી સીધો મોક્ષ શક્ય નથી, તો વાયા મહાવિદેહ ક્ષેત્રથી અશક્ય પણ નથી. આ માર્ગ જેમણે જોયો છે, એવા લોકો જ તે બતાવી શકે. શબ્દોથી નહિ, અંતઃકરણથી જ એવી અનુભૂતિ થઈ જાય કે મોક્ષ નજીકમાં જ છે ! ભગવાન શ્રી સીમંધર સ્વામી પ્રભુનું સંધાન આ કાળે આ ક્ષેત્રમાં રહીને પણ થઈ શકે છે. આત્મજ્ઞાની પુરુષો આવું સંધાન કરી શકે છે અને આપણને પણ કરાવી શકે છે. આવી અનુભૂતિ અનેક લોકો કરી ચૂક્યા છે. ભૂતકાળમાં ભગવાન શ્રી કુંદકુંદાચાર્ય, શ્રીમદ્ રાજચંદ્ર તથા વર્તમાન જ્ઞાની પુરુષ શ્રી ‘દાદા ભગવાન', શ્રી સીમંધર સ્વામીના સંધાનમાં રહી અન્યોને મોક્ષમાર્ગ ખુલ્લો કરી આપે છે.
SR No.008877
Book TitleVartaman Tirthankar Shri Simandhar Swami
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1197
Total Pages81
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size53 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy