________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૨૫૫
૨૫૪
મા-બાપ છોકરાંનો વ્યવહાર ‘અમારે શું લેવાદેવા ?” તુમચા ય નહીં ને આમચા ય નહીં, જગત માજા માજા કર્યા કરે છે. અમારે શું લેવાદેવા ? (તમારું ય નહીં ને અમારું ય નહીં. જગત મારું મારું કર્યા કરે છે !)
પ્રશ્નકર્તા : જ્યાં આગળ આસક્તિ હોય, ત્યાં આગળ જ શંકા થાય ને આપણને ?!
દાદાશ્રી : હા, ત્યાં જ. બીજી કોઈ જગ્યાએ નહીં. કોઈ પૈસા લઈ ગયો હોય તો શંકા થાય. કોઈ બાગમાંથી ફૂલાં લઈ ગયો હોય તો શંકા થાય. બધી બહુ જાતની શંકાઓ થાય.
શંકાઓ તો પાર વગરની થાય. અને આપણે ત્યાં તો બાબાને... મારો બાબો રૂપાળો, મારા બાબાને પેલા જોઈ લેશે, એની નજર લાગી જશે.” એવી શંકા પડે. તે કાળું ટપકું મારીને આવે અહીંયા આગળ. અલ્યા મૂઆ, શું કરવા નજર લાગે ! એ કંઈ ખાવાની ચીજ છે? કો'કને છોકરા ના હોય, ત્યારે પહેલાંના જમાનામાં એવું થતું હતું. અત્યારે કંઈ પડેલી નથી !
પછી મેં કહ્યું કે, અને તેમ છતાં ય છોડીને કોઈ જોડે પ્રેમ થઈ ગયો. તો એ પછી રાતે સાડા અગિયાર વાગે આવે, તો તમે કાઢી મૂકો ? ત્યારે એ કહે, ‘હા, હું તો ગેટ આઉટ કરી દઉં. એને ઘરમાં પેસવા જ ના દઉં.” મેં કહ્યું, ‘ના કરશો એવું. એ કોને ત્યાં જશે રાત્રે ? એ કોને ત્યાં આશરો લેશે ?’ એને કહીએ, ‘આવ, બેસ, સૂઈ જા.' પેલો કાયદો છે ને, કે નુકશાન તો ગયું, પણ હવે એથી વધુ નુકશાન ન જાય એટલા માટે સાચવવું જોઈએ. એ બેન કંઈક નુકશાન કરીને આવી અને વળી પાછા આપણે કાઢી મૂકીએ એટલે તો થઈ રહ્યું ને ! લાખો રૂપિયાની ખોટ તો જવા માંડી છે, પણ તેમાં ખોટ ઓછી જાય એવું કરીએ કે વધી જાય એવું કરીએ ? ખોટ જવા જ માંડી છે, તો એનો ઉપાય તો હોવો જ જોઈએ ને ? એટલે બહુ ખોટ કરીશ નહીં. તું તારી મેળે એને ઘેર સૂવાડી દેજે. અને પછી બીજે દહાડે સમજણ પાડી દઈએ કે ‘ટાઈમસર આવજે. મને બહુ દુઃખ થાય છે અને પછી નહીં તો મારું હાર્ટફેઈલ થઈ જશે.” કહીએ. એટલે એમ તેમ કરીને સમજાવી દેવાનું. પછી એ સમજી ગયો. રાતે કાઢી મેલે તો કોણ રાખે ? લોકો કંઈનું કંઈ કરી નાખે. પછી ખલાસ થઈ ગયું બધું. રાતે એક વાગે કાઢી મૂકે તો છોડી કેવી લાચારી અનુભવે બિચારી ?! અને આ કળિયુગનો મામલો, જરા વિચાર તો કરવો જોઈએ ને ?!
એટલે કોઈ ફેરો છોડી રાતે મોડી આવે તો પણ શંકા ના કરીએ, શંકા કાઢી નાખીએ, તો કેટલો ફાયદો કરે ? વગર કામની ભડક રાખ્યાનો શો અર્થ છે ? એક અવતારમાં કશો ફેરફાર થવાનો નથી. પેલી છોકરીઓને વગર કામનું દુઃખ દેશો નહીં, છોકરાઓને દુઃખ દેશો નહીં. ફક્ત મોંઢે એમ કહેવું ખરું કે, “બેન તું બહાર જાય છે તે મોડું ના થવું જોઈએ. આપણે ખાનદાન ગામનાં, આપણને આ શોભે નહીં. માટે આટલું મોડું ના કરશો.' આમતેમ બધી વાતચીત કરવી, સમજાવીએ કરીએ. પણ શંકા કર્યો પાલવે નહીં કે ‘કોની જોડે ફરતી હશે, શું કરતી હશે.” અને પછી રાતે બાર વાગે આવે તો ય પાછું બીજે દહાડે કહેવાનું કે, “બેન, આવું ના થવું જોઈએ !” તેને જો કાઢી મૂકીએ તો એ કોને ત્યાં જશે એનું ઠેકાણું નહીં. ફાયદો શેમાં ? ઓછામાં ઓછું નુકસાન થાય
છોડી મોડી રાત્રે આવે ઘેર; કાઢી ના મૂકાય, કળથી કર ફેર !
હવે એક ચાર છોડીઓનો બાપ સલાહ લેવા આવ્યો હતો. એ કહે છે, “મારી આ ચાર છોડીઓ કોલેજમાં ભણવા જાય છે, તે એ બધી શંકા તો આવે જ ને ! તો મારે શું કરવું આ ચાર છોડીઓનું ? છોડી બગડી જાય તો શું કરું ?” મેં કહ્યું, ‘પણ એકલી શંકા કરવાથી સુધરશે નહીં.” અલ્યા, શંકા ના લાવીશ. ઘેર આવે ત્યારે ઘેર બેઠાં બેઠાં એની જોડે કંઈ સારી વાતોચીતો કરીએ. આપણે ‘ફ્રેન્ડશીપ” કરીએ. એને આનંદ થાય એવી વાતો કરવી જોઈએ અને તું ફક્ત ધંધામાં, પૈસા માટે પડ્યો છે, એવું ના કરીશ. પહેલાં છોકરીઓનું સાચવ, એની જોડે ‘ફ્રેન્ડશીપ’ કરીએ. એની સાથે જરા નાસ્તો કરીએ, જરા ચા પીએ, તે પ્રેમ જેવું લાગે એને. આ પ્રેમ તો ઉપરચોટિંયો રાખો છે, એટલે પછી એ પ્રેમ બહાર ખોળે છે.