________________
ક્લેશ વિનાનું જીવન
ક્લેશ વિનાનું જીવન
પ્રશ્નકર્તા : આ બધું બરાબર છે, પણ અત્યારે સંસારમાં જોઇએ તો દસમાંથી નવ જણાને દુ:ખ છે.
દાદાશ્રી : દસમાંથી નવ નહીં, હજારમાં બે જણ સુખી હશે, કંઇક શાંતિમાં હશે. બાકી બધું રાતદહાડો બળ્યા જ કરે છે. શક્કરિયાં ભરવાડમાં મૂક્યાં હોય તો કેટલી બાજુ બફાયા કરે ?
પ્રશ્નકર્તા : આ દુઃખ જે કાયમ છે એમાંથી ફાયદો કેમનો ઉઠાવવાનો ?
દાદાશ્રી : આ દુઃખને વિચારવા માંડે તો દુઃખ જેવું નહીં લાગે. દુ:ખનું જો યથાર્થ પ્રતિક્રમણ કરશો તો દુઃખ જેવું નહીં લાગે. આ વગર વિચારે ઠોકમઠોક કર્યું છે કે આ દુ:ખ છે, આ દુ:ખ છે ! એમ માનો ને, કે તમારે ત્યાં બહુ વખતના જૂના સોફાસેટ છે. હવે તમારા મિત્રને ઘેર સોફાસેટ હોય જ નહીં એટલે તે આજે એ નવી જાતના સોફાસેટ લાવ્યા. એ તમારા ‘વાઇફ' જોઇ આવ્યાં. પછી ઘેર આવીને કહે કે, ‘તમારા ભાઇબંધને ઘેર કેવા સરસ સોફાસેટ છે ! ને આપણે ત્યાં ખરાબ થઇ ગયા છે.' તે આ દુઃખ આવ્યું !!! ઘરમાં દુ:ખ નહોતું તે જોવા ગયા ત્યાંથી દુ:ખ લઇને આવ્યા !
તમે બંગલો બાંધ્યો ના હોય ને તમારા ભાઇબંધે બંગલો બાંધ્યો ને તમારાં ‘વાઇફ' ત્યાં જાય, જુએ ને કહે કે, ‘કેવો સરસ બંગલો તેમણે બાંધ્યો ! અને આપણે તો બંગલા વગરનાં !” એ દુ:ખ આવ્યું !!! એટલે આ બધાં દુઃખો ઊભાં કરેલાં છે.
હું ન્યાયાધીશ હોઉં તો બધાંને સુખી કરીને સજા કરું. કોઈને એના ગુના માટે સજા કરવાની આવે તો પહેલાં તો હું એને પાંચ વર્ષથી ઓછી સજા થાય એવું નથી એવી વાત કરું. પછી વકીલ ઓછાં કરવાનું કહે ત્યારે ૪ વર્ષ, પછી ૩ વર્ષ, ૨ વર્ષ એમ કરતાં કરતાં છેલ્લે છ મહિનાની સજા કરું. આથી પેલો જેલમાં તો જાય અને સુખી થાય. મનમાં રાજી થાય કે છ મહિનામાં પત્યું, આ તો માન્યતાનું જ દુઃખ છે. જો તેને પહેલી જ છ મહિનાની સજા થશે એમ કહેવામાં આવે તો એને એ બહુ લાગે.
પેમેન્ટ'માં તો સમતા રખાય ! આ તમને ગાદીએ બેસો એવું સુખ છે, છતાં ભોગવતા ના આવડે ત્યારે શું થાય ? એંસી રૂપિયાના મણના ભાવના બાસમતી હોય તેની મહીં રેતી નાખે ! આ દુઃખ આવ્યું હોય તો એને જરા કહેવું તો જોઇએ ને કે, ‘અહીં કેમ આવ્યાં છો ? અમે તો દાદાના છીએ. તમારે અહીં આવવાનું નહીં. તમે જાઓ બીજી જગ્યાએ. અહીં ક્યાં આવ્યા તમે ? તમે ઘર ભૂલ્યા.” એટલું એમને કહીએ તો એ જતા રહે. આ તો તમે બિલકુલ અહિંસા કરી (!) દુઃખ આવે તો તેમને ય પેસવા દેવાના ? એમને તો કાઢી મૂકવાના, એમાં અહિંસા તૂટતી નથી. દુ:ખનું અપમાન કરીએ તો એ જતાં રહે. તમે તો તેનું અપમાને ય કરતા નથી. એટલા બધા અહિંસક ના થવાય.
પ્રશ્નકર્તા : દુ:ખને મનાવીએ તો ના જાય ?
દાદાશ્રી : ના. એને મનાવાય નહીં. એને પટાવીએ તો એ પટાવાય નહીં એવું છે. એને તો આંખ કાઢવી પડે. એ નાન્યતર જાતિ છે. એટલે એ જાતિનો સ્વભાવ જ એવો છે, એને અટાવીએ પટાવીએ તો એ વધારે તાબોટા પાડે અને આપણી પાસે ન પાસે આવતું જાય !
‘વારસ અહો મહાવીરના, શૂરવીરતા રેલાવજો, કાયર બનો ના કોઇ દી, કષ્ટો સદા કંપાવજો.’
આપણે ઘરમાં બેઠાં હોઇએ ને કષ્ટો આવે તો તે આપણને દેખીને કંપી જાય ને એ જાણે કે આપણે અહીં ક્યાં ફસાયા ! આપણે ઘર ભૂલ્યાં લાગે છે ! આ કષ્ટો આપણાં માલિક નથી, એ તો નોકરો છે.
જો કષ્ટો આપણાંથી ધ્રૂજે નહીં તો આપણે ‘દાદાનાં’ શેનાં ? કષ્ટને કહીએ કે, ‘બે જ કેમ આવ્યાં ? પાંચ થઇને આવો. હવે તમારાં બધાં જ પેમેન્ટ કરી દઇશું.” કોઇ આપણને ગાળ ભાંડે તો આપણું જ્ઞાન તેને શું કહે ? એ તો ‘તને' ઓળખતો જ નથી. ઊલટું તારે એને કહેવાનું કે, ‘ભાઈ, કંઈ ભૂલ થઇ હશે તેથી ગાળ ભાંડી ગયો. માટે શાંતિ રાખજે.” આટલું કર્યું કે તારું ‘પેમેન્ટ’ થઇ ગયું ! આ લોકો તો કષ્ટો આવે એટલે