________________
ક્લેશ વિનાનું જીવન
ક્લેશ વિનાનું જીવન
દાદાશ્રી : આ ઝાડ-પાન એ તો મનુષ્યોને ફળ આપવા માટે મનુષ્યોની સેવામાં છે. હવે ઝાડોને શું મળે છે ? એમની ગતિ ઊંચી જાય છે, અને મનુષ્યો આગળ વધે છે-એમની હેલ્પ લઇને ! એમ માનો ને, કે આપણે કેરી ખાધી. એ આંબાના ઝાડનું શું ગયું ? અને આપણને શું મળ્યું ? આપણે કેરી ખાધી એટલે આપણને આનંદ થયો. એનાથી આપણી વૃત્તિઓ જે બદલાઈ તેનાથી આપણે સો રૂપિયા આધ્યાત્મિક કમાઇએ. હવે કેરી ખાધી એટલે તેમાંથી પાંચ ટકા આંબાને તમારામાંથી જાય અને પંચાણું ટકા તમારે ભાગે રહે. એટલે એ લોકો આપણા ભાગમાંથી પડાવે. પાંચ ટકા પડાવે ને એ બિચારાં ઊંચી ગતિમાં આવે અને આપણી અધોગતિ થતી નથી, આપણે પણ વધીએ. એટલે આ ઝાડો કહે છે કે અમારું બધું ભોગવો, દરેક જાતનાં ફળ ફૂલ ભોગવો.
માટે આ જગત તમને પોષાતું હોય, જગત જો તમને ગમતું હોય, જગતની ચીજોની ઇચ્છા હોય, જગતના વિષયોની વાંછના હોય તો આટલું કરો, ‘યોગ-ઉપયોગો પરોપકારાય.’ યોગ એટલે આ મન, વચન, કાયાનો યોગ અને ઉપયોગ એટલે બુદ્ધિ વાપરવી, મન વાપરવું, ચિત્ત વાપરવુંએ બધું જ પારકાને માટે વાપર અને પારકાને માટે ના વપરાય તો આપણા લોકો છેવટે ઘરનાં માટે પણ વાપરે છે ને ! આ કૂતરીને ખાવાનું કેમ મળે છે ? એ બચ્ચાની મહીં ભગવાન રહેલા છે. તે બચ્ચાંની સેવા કરે છે તેનાથી એને બધું મળી રહે છે. આ આધારે જગત બધું ચાલી રહ્યું છે. આ ઝાડને ક્યાંથી ખોરાક મળે છે ? આ ઝાડોએ કંઇ પુરુષાર્થ કર્યો છે ? એ તો જરાય ‘ઇમોશનલ’ નથી. એ કોઇ દહાડો ‘ઇમોશનલ' થાય છે? એ તો કોઇ દહાડો આઘાં-પાછાં થતાં જ નથી. એમને કોઇ દહાડો થતું નથી કે લાવ અહીંથી માઇલ છેટે વિશ્વામિત્રી છે તે ત્યાં જઇને પાણી પી આવું !
બધાં પારકા માટે પોતાનાં ફળ આપે છે. તમે તમારાં ફળ પારકાને આપી દો. તમને તમારા ફળ મળ્યા કરશે. તમારાં જે ફળ ઉત્પન્ન થાય-દૈહિક ફળ, માનસિક ફળ, વાચિક ફળ, ‘ફ્રી ઓફ કોસ્ટ’ લોકોને આપ્યા કરો તો તમને તમારી દરેક વસ્તુ મળી આવશે, તમારી જીવન-જરૂરિયાતમાં કિંચિત્ માત્ર અડચણ નહીં પડે. અને જ્યારે એ ફળ તમે તમારી મેળે ખાઇ જશો તો અડચણ આવી મળશે. આ આંબો એનાં ફળ ખાઇ જાય તો એનો માલિક જે હોય તે શું કરે ? એને કાપી નાખે ને ? તેમ આ લોકો પોતાનાં ફળ પોતે જ ખાઇ જાય છે, એટલું જ નહીં ઉપરથી ફી માંગે છે ! એક અરજી લખી આપવાના બાવીસ રૂપિયા માંગે છે ! જે દેશમાં ‘ફ્રી ઓફ કોસ્ટ’ વકીલાત કરતા, અને ઉપરથી ઘરનું જમાડીને વકીલાત કરતાં ત્યાં આ દશા થઇ . ગામમાં વઢવાડ થઇ હોય, તો નગરશેઠ હોય તે પેલા બે લઢવાવાળાને કહેશે, ‘ભાઇ ચંદુલાલ, તમે આજે સાડા દસ વાગે ઘેર આવજો અને નગીનદાસ, તમે પણ તે ટાઇમે ઘેર આવજો;' અને નગીનદાસની જગ્યાએ કોઇ મજૂર હોય કે ખેડૂત હોય કે જે વઢતા હોય તેમને ઘેર બોલાવી જાય. બેઉને બેસાડે, બેઉને સહમત કરે. જેના પૈસા ચૂકવવાના હોય તેને થોડા રોકડા અપાવી, બાકીના હપ્તા બંધાવી આપે. પછી બેઉ જણને કહેશે, ચાલો, મારી જોડે જમવા બેસી જાઓ. બન્નેને જમાડીને પછી ઘેર મોકલી આપે ! છે. અત્યારે આવા વકીલ ? માટે સમજો, અને સમયને ઓળખીને ચાલો. અને જો પોતાની જાતને પોતા માટે જ વાપરે તો મરણ વખત દુ:ખી થવાય. જીવ નીકળે નહીં ! ને બંગલા મોટર છોડીને જવાય નહીં !
અને આ લાઇફ જો પરોપકાર માટે જશે તો તમને કશી ય ખોટ નહીં આવે, કોઇ જાતની તમને અડચણ નહીં આવે, તમારી જે જે ઇચ્છાઓ છે તે બધી જ પૂરી થશે. અને આમ કૂદાકૂદ કરશો તો એકે ય ઇચ્છા પૂરી નહીં થાય, કારણ કે એ રીત તમને ઊંઘ જ નહીં આવવા દે, આ શેઠિયાઓને તો ઊંઘ જ નથી આવતી, ત્રણ-ત્રણ, ચાર-ચાર દિવસ સુધી ઊંધી નથી શકતા. કારણ કે લૂંટબાજી જ કરી છે જેની ને તેની.
પ્રશ્નકર્તા : પરોપકારી માણસ લોકોના સારા માટે કહે તો પણ લોકો તે સમજવાને તૈયાર જ નથી, તેનું શું ?
દાદાશ્રી : એવું છે, કે પરોપકાર કરનાર જો સામાની સમજણ જુએ
પરોપકાર, પરિણામે લાભ જ ! પ્રશ્નકર્તા: આ જગતમાં સારાં કૃત્યો ક્યાં કહેવાય ? એની વ્યાખ્યા આપી શકાય ?
દાદાશ્રી : હા, સારાં કૃત્યો તો આ ઝાડ કરે, બધાં કરે છે એ તદ્દન સારાં કૃત્યો કરે છે. પણ એ પોતે કર્તાભાવે નથી. આ ઝાડ જીવવાળાં છે.