SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ક્લેશ વિનાનું જીવન દિવસ ! આ ‘દાદા’ ની સુખની દુકાન, તેમાં કોઇએ ઢેખાળો નાખ્યો હોય તો યે પાછા એને ગુલાબજાંબુ ખવડાવીએ. સામાને ઓછી ખબર છે કે આ સુખની દુકાન છે એટલે ત્યાં ઢેખાળો ના મરાય ? એમને તો, નિશાન તાક્યા વગર જ્યાં આવ્યું ત્યાં મારે. આપણે કોઇને દુઃખ નથી આપવું આવું નક્કી કર્યું તો ય આપનારો તો આપી જ જાય ને ? ત્યારે શું કરીશ તું ? જો હું તને એક રસ્તો બતાવું. તારે અઠવાડિયામાં એક દહાડો ‘પોસ્ટ ઓફિસ’ બંધ રાખવાની. તે દા'ડે કોઇનો મનીઓર્ડર સ્વીકારવો નહીં ને કોઇને મનીઓર્ડર કરવાનો નહીં. અને કોઇ મોકલે તો તેને બાજુએ મૂકી રાખવાનું ને કહેવાનું કે, ‘આજે પોસ્ટઓફિસ બંધ છે. કલ બાત કરેંગે.” અમારે તો કાયમ પોસ્ટ ઓફિસ બંધ જ હોય છે. આ દિવાળીને દહાડે બધા શા માટે ડાહ્યા થઇ જાય છે ? એમની ‘બિલીફ’ બદલાઇ જાય છે તેથી. આજે દિવાળીનો દહાડો છે, આનંદમાં ગાળવો છે એવું નક્કી કરે છે તેથી એમની બિલીફ બદલાઈ જાય છે, તેથી આનંદમાં રહે છે. ‘આપણે' માલિક એટલે ગોઠવણી કરી શકીએ. તે નક્કી કર્યું હોય કે “આજે તોછડાઇ કરવી નથી.’ તો તારાથી તોછડાઇ નહીં થાય. આ અઠવાડિયામાં એક દહાડો આપણે નિયમમાં રહેવાનું, પોસ્ટ ઓફિસ બંધ કરીને એક દહાડો બેસવાનું. પછી છો ને લોકો બૂમો પાડે કે આજે પોસ્ટ ઓફિસ બંધ છે ? વેર ખપે તે આનંદ પણ રહે ! આ જગતમાં કોઇપણ જીવને કિંચિત્માત્ર દુઃખ ન દેવાની ભાવના હોય તો જ કમાણી કહેવાય. એવી ભાવના રોજ સવારે કરવી. કોઇ ગાળ આપે તે આપણને ના ગમતી હોય તો તેને જમે જ કરવી, તપાસ ના કરવી કે મેં એને ક્યારે આપી હતી. આપણે તો તરત જ જમે કરી લેવી કે હિસાબ પતી ગયો. ને ચાર પાછી આપી તો ચોપડો ચાલુ રહે, એને ઋણાનુબંધ કહે છે. ચોપડો બંધ કર્યો એટલે ખાતું બંધ. આ લોક તો શું કરે કે પેલાએ એક ધીરી હોય તો આ ઉપરથી ચાર ધીરે ! ભગવાને શું કહ્યું છે કે, જે રકમ તને ગમતી હોય તે ધીર અને ના ગમતી હોય તો ક્લેશ વિનાનું જીવન ના ધીરીશ. કોઇ માણસ કહે કે, તમે બહુ સારા છો તો આપણે ય કહીએ કે “ભઇ, તમે ય બહુ સારા છો.” આવી ગમતી વાત ધીરો તો ચાલે. આ સંસાર બધો હિસાબ ચૂકવવાનું કારખાનું છે. વેર તો સાસુ થઇને, વહુ થઇને, છોકરો થઇને, છેવટે બળદ થઇને પણ ચૂકવવું પડે. બળદ લીધા પછી રૂપિયા બારસો ચૂકવ્યા પછી બીજે દિવસે એ મરી જાય ! એવું છે આ જગત !! અનંત અવતાર વેરમાં ને વેરમાં ગયા છે ! આ જગત વેરથી ખડું રહ્યું છે ! આ હિન્દુઓ તો ઘરમાં વેર બાંધે અને આ મુસ્લિમોને જુએ તો એ ઘરમાં વેર ના બાંધે, બહાર ઝઘડો કરી આવે. એ જાણે કે આપણે તો આની આ જ ઓરડીમાં આની જ જોડે રાત્રે પડી રહેવાનું છે, ત્યાં ઝઘડો કર્યો કેમ પાલવે ? જીવન જીવવાની કળા શું છે કે સંસારમાં વેર ના બંધાય ને છૂટી જવાય. તે નાસી તો આ બાવાબાવલીઓ જાય છે જ ને ? નાસી ના જવાય. આ તો જીવનસંગ્રામ છે, જન્મથી જ સંગ્રામ ચાલુ ! ત્યાં લોક મોજમઝામાં પડી ગયું છે ! ઘરનાં બધાં જોડે, આજુબાજુ, ઓફિસમાં બધાં જોડે ‘સમભાવે નિકાલ' કરજો. ઘરમાં ના ભાવતું થાળીમાં આવ્યું ત્યાં ‘સમભાવે નિકાલ કરજો. કોઇને છંછેડશો નહીં જે ભાણામાં આવે તે ખાજે. જે સામું આવ્યું તે સંયોગ છે ને ભગવાને કહ્યું છે કે સંયોગને ધક્કો મારીશ તો એ ધક્કો તને વાગશે ! એટલે અમને ના ભાવતી વસ્તુ મૂકી હોય તો ય અમે મહીંથી બે ચીજ ખાઇ લઇએ. ના ખાઇએ તો બે જણની જોડે ઝઘડા થાય. એક તો જે લાવ્યો હોય, જેણે બનાવ્યું હોય તેની જોડે ભાંજગડ પડે, તરછોડ વાગી જાય, અને બીજું ખાવાની ચીજ જોડે. ખાવાની ચીજ કહે છે કે, મેં શો ગુનો કર્યો ? હું તારી પાસે આવી છું, ને તું મારું અપમાન શું કામ કરે છે ? તને ઠીક લાગે તેટલું લે, પણ અપમાન ના કરીશ મારું. હવે એને આપણે માન ના આપવું જોઇએ ? અમને તો આપી જાય તો ય અમે તેને માન આપીએ. કારણ કે એક તો ભેગું થાય નહીં ને ભેગું થાય તો માન આપવું પડે. આ ખાવાની ચીજ આપી ને તેની તમે ખોડ કાઢી તો પહેલુ આમાં સુખ ઘટે કે વધે ? પ્રશ્નકર્તા : ઘટે.
SR No.008856
Book TitleKlesh Vina nu Jivan
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2004
Total Pages76
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size483 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy