SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ પોઈન્ટની કોઈને ય ખબર પડે એમ નથી. એક શેઠ પાસે એક સંસ્થાવાળા ટ્રસ્ટીઓ ધર્માદા માટે દાન આપવા દબાણ કરે છે તેથી શેઠ પાંચ લાખ રૂપિયા દાનમાં આપે છે. ત્યાર પછી એ શેઠના મિત્ર શેઠને પૂછે છે કે અલ્યા, આ લોકોને તેં કયાં આપ્યા ? આ બધા ચોર છે, ખાઈ જશે તારા પૈસા.' ત્યારે શેઠ કહે છે, એ બધાંને, એકે એકને હું સારી રીતે ઓળખું પણ શું કરું એ સંસ્થાના ચેરમેન મારા વેવાઈ થાય તે તેમના દબાણથી આપવા પડ્યા, નહીં તો હું પાંચ રૂપિયા ય આપું એવો નથી !’ હવે પાંચ લાખ રૂપિયા દાનમાં આપ્યા તે બહાર લોકોને શેઠ માટે ધન્ય ધન્ય થઈ ગયું પણ એ એમનું ડિસ્ચાર્જ કર્મ હતું, અને ચાર્જ શું કર્યું શેઠે ? પાંચ રૂપિયા ય ના આપું ! તે મહીં સૂક્ષ્મમાં અવળું ચાર્જ કરે છે. તે આવતા ભવમાં પાંચ રૂપિયા ય નહીં આપી શકે કોઈને ! અને બીજો ગરીબ માણસ એ જ સંસ્થાના લોકોને પાંચ જ રૂપિયા આપે છે ને કહે છે કે મારી પાસે પાંચ લાખ હોત તો તે બધા જ આપી દેત ! જે દિલથી આપે છે તે આવતા ભવે પાંચ લાખ આપી શકે. આમ બહાર દેખાય છે તે તો ફળ છે ને મહીં સૂક્ષ્મમાં બીજ નંખાય છે તે કોઈને ય ખબર પડે એમ નથી. એ તો અંતર્મુખ દ્રષ્ટિ થાય ત્યારે દેખાય. હવે આ સમજાય તો ભાવ બગાડવાના રહે ? ગયા ભવમાં, ખાઈ પીને મઝા કરવી છે એવા કર્મ બાંધીને લાવ્યો તે સંચિત કર્મ. તે સૂક્ષ્મમાં સ્ટોકમાં હોય છે તે ફળ આપવા સન્મુખ થાય ત્યારે જંગ ફૂડ (કચરો) ખાવા પ્રેરાય અને ખાઈ નાખે તે પ્રારબ્ધ કર્મ અને એનું પાછું ફળ આવે એટલે કે ઈફેક્ટની ઈફેક્ટ આવે કે એને મરડો થઈ જાય, માંદો પડે એ ક્રિયમાણ કર્મ ! પરમ પૂજ્ય દાદાશ્રીએ કર્મના સિદ્ધાંતની આગળ વ્યવસ્થિત શક્તિને જગત નિયંતા કહી છે, જેનો કર્મ તો અંશ માત્ર કહેવાય. ‘વ્યવસ્થિત’માં કર્મ સમાય પણ કર્મમાં ‘વ્યવસ્થિત’ ના સમાય. કર્મ તો બી સ્વરૂપે આપણે સૂક્ષ્મમાં પૂર્વભવથી બાંધીને લાવ્યા તે. હવે એટલાથી કંઈ ના પતે. એ કર્મનું ફળ આવે એટલે કે બીમાંથી ઝાડ થાય ને ફળ આવે ત્યાં સુધી બીજા કેટલાં ય સંયોગોની એમાં જરૂર પડે છે. બી માટે જમીન, પાણી, ખાતર, ટાઢ, તડકો, ટાઈમ બધાં સંજોગો ભેગાં થાય પછી કેરી પાકે ને આંબો મળે ! દાદાશ્રીએ ખૂબ જ સુંદર ફોડ પાડ્યો કે આ બધું તો ફળ છે. કર્મબીજ તો મહીં સૂક્ષ્મમાં કામ કરે છે ! ઘણાંને પ્રશ્ન એ થાય છે કે પહેલું કર્મ કેવી રીતે બંધાયું ? પહેલા દેહ કે પહેલું કર્મ ? પહેલું ઇંડુ કે પહેલી મરઘી ? એના જેવી આ વાત થઈ ! ખરેખર વાસ્તવિકતામાં પહેલું કર્મ જેવી વસ્તુ જ નથી વર્લ્ડમાં કોઈ ! કર્મ અને આત્મા બધા અનાદિ કાળથી છે. જેને આપણે કર્મ કહીએ છીએ એ જડ તત્ત્વનું છે અને આત્મા ચેતન તત્ત્વ છે. બન્ને તત્ત્વો જુદા જ છે અને તત્ત્વ એટલે સનાતન વસ્તુ કહેવાય. જે સનાતન હોય તેના આદિ ક્યાંથી ? આ તો આત્મા ને જડ તત્ત્વનો સંયોગ થયો ને તેમાં આરોપીત ભાવોનું આરોપણ થયા જ કર્યું. તેનું આ ફળ આવીને ઊભું રહ્યું. સંયોગ વિયોગી સ્વભાવના છે. તેથી સંયોગો આવે ને જાય. તેથી જાત જાતની અવસ્થાઓ ઊભી થાય ને જાય. તેમાં રોંગ બિલીફ ઊભી થાય છે કે ‘આ હું છું ને આ મારું છે.’ તેનાથી તેનું આ રુપી જગત ભાસ્યમાન થાય છે. આ રહસ્ય સમજાય તો શુદ્ધાત્મા ને સંયોગ બે જ વસ્તુ છે જગતમાં. આટલું નહીં સમજાવાથી જાત જાતની જાડી ભાષામાં કર્મ, નસીબ પ્રારબ્ધ બધું કહેવું પડ્યું છે. પણ વિજ્ઞાન આટલું જ કહે છે. માત્ર સંયોગો જે છે બધાં એમાંથી પર થાય તો આત્મામાં જ રહી શકે ! તો પછી કર્મ જેવું કશું જ નથી. કર્મ કેવી રીતે બંધાય ? કર્તાભાવથી કર્મ બંધાય. કર્તાભાવ કોને કહેવાય ? કરે કોઈ ને માને ‘હું કરું છું' એનું નામ કર્તાભાવ. કર્તાભાવ શેનાથી થાય ? અહંકારથી. અહંકાર કોને કહેવાય ? જે પોતે નથી ત્યાં આરોપ કરે ‘હું’પણાનો, એનું નામ અહંકાર. આરોપિત ભાવ એનું નામ અહંકાર, ‘હું ચંદુભાઈ છું’ એવું માને છે એ જ અહંકાર છે. ખરેખર પોતે ચંદુલાલ છે ? કે ચંદુલાલ નામ છે ? નામને
SR No.008855
Book TitleKarma Nu Vigyan
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2003
Total Pages46
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size381 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy